You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોનિયા ગાંધી કોવિડ સંબંધિત સમસ્યાઓને લીધે દિલ્હીની હૉસ્પિટલમાં દાખલ- પ્રેસ રિવ્યૂ
કૉંગ્રેસ પાર્ટીનાં અધ્યક્ષ સોનિયા ગાંધીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે કોવિડ સંબંધિત સમસ્યાઓના કારણે તેમને રવિવારે દિલ્હીની ગંગારામ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
તેમણે કહ્યું કે સોનિયા ગાંધીની તબિયત સ્થિર છે અને તેમને હૉસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યાં છે.
તેમણે કહ્યું, "અમે તમામ કૉંગ્રેસના કાર્યકરો અને શુભેચ્છકોનો તેમની શુભકામનાઓ માટે આભાર માનીએ છીએ."
યુપીમાં હિંસા મામલે અત્યાર સુધી 304ની ધરપકડ, ભારે સુરક્ષા વચ્ચે આરોપીના ઘર પર બુલડોઝર ફર્યું
પયગંબર મહમદ પર વિવાદિત ટિપ્પણી પછી હિંસા મામલે અત્યાર સુધી ઉત્તર પ્રદેશ પોલીસે 300થી વધારે લોકોની ધરપકડ કરી છે.
આ સિવાય અતિરિક્ત પ્રયાગરાજમાં થયેલી હિંસાના આરોપી જાવેદ અહેમદના ઘરે ગેર કાયદેસર નિર્માણને તોડવાની કાર્યવાહી પહેલાં ભારે સંખ્યામાં પોલીસબળ તહેનાત કરાયું હતું.
પ્રયાગરાજ વિકાસ પ્રાધિકરણ (પીડીએ)એ વેલફેયર પાર્ટીના નેતા જાવેદ અહેમદને રવિવાર સવારે 11 વાગ્યા સુધી ઘર ખાલી કરવાની નોટિસ આફી હતી. આ નોટિસ મુજબ અહેમદનું ઘર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યું હતું.
યુપી પોલીસે અહેમદને શક્રવારની હિંસાના 'માસ્ટરમાઇન્ડ' ગણાવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર યુપી પોલીસે ગત શુક્રવારના થયેલી હિંસા પછી અત્યાર સુધી આઠ જિલ્લાઓથી 304 લોકોની ધરપકડ કરી છે. તેમાં સૌથી વધારે ગિરફ્તારી પ્રયાગરાજથી જ થઈ છે.
રવિવાર સવાર સુધીની માહિતી અનુસાર, ફિરોઝાબાદથી 15, આંબેડકરનગરથી 34, મુરાદાબાદથી 34, સહારનપુરથી 71, પ્રયાગરાજથી 91, હાથરસથી 51, અલીગઢથી 6 અને જાલૌનથી બે લોકોની ધરપકડ કરી હતી.
પયગંબર મહમદ પર ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના વિવાદિત નિવેદનના વિરોધમાં દેશના અલગ-અલગ વિસ્તારોમાં શુક્રવારની નમાજ બાદ હિંસક પ્રદર્શન થયાં હતાં. યુપીમાં સૌથી વધારે હિંસા પ્રયાગરાજ અને સહારનપુરમાં થઈ હતી.
ગુજરાતમાં હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કરનાર 'માસ્ટર માઇન્ડ'ની ધરપકડ
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર હેડક્લાર્કની પરીક્ષાનું પેપરલીક કરનારા 'માસ્ટર માઇન્ડ' તુષાર મેરની પોલીસે સાબરકાંઠાના એક ગામમાંથી ધરપકડ કરી છે.
પોલીસના કહેવા પ્રમાણે આરોપી તુષાર મેરની ધરપકડ પ્રાંતિજ પોલીસે સોનપરી ગામમાં થી કરી હતી.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ડિસેમ્બર 2021માં હેડકલાર્કની ખાલી જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું પેપરલીક થતા પરીક્ષા રદ કરવામાં આવી હતી.
પરીક્ષા પહેલાં 10થી 15 લાખ રૂપિયાની રકમ લઈને લોકોને પરીક્ષાનાં પેપર આપવામાં આવ્યાં હતાં. આ કેસમાં હાલ સુધીમાં 36 આરોપીઓની ધરપકડ થઈ છે. જેમાના મોટા ભાગના ગાંધીનગર અને પ્રાંતિજના છે.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજાએ અમદાવાદમાં પ્રેસ કૉન્ફરન્સ કરીને દાવો કર્યો હતો કે તુષાર મેર પેપરલીક કાંડનો 'માસ્ટર માઇન્ડ' છે અને તે હાલ પણ ફરાર છે.
યુવરાજસિંહે વધુમાં કહ્યું હતું કે તુષાર મેરે જ ફાર્મ હાઉસમાં પરીક્ષાર્થીઓને પરીક્ષા પહેલાં જ પેપરના પ્રશ્નોના જવાબ આપી તૈયારી કરાવી હતી.
પ્રાંતિજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પીપી વાઘેલાએ કહ્યું, 'અમે આરોપીની ધરપકડ કરીને કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો અને 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જોકે અમને 6 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા.'
ગુજરાતના મુખ્ય સચિવ કોરોનાગ્રસ્ત, રાજ્યમાં રોજના કેસની સંખ્યા 150ને પાર
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ગુજરાત સરકારના મુખ્ય સચિવ પંકજ કુમાર કોરોના વાઇરસની ઝપેટમાં આવ્યા છે.
ગુજરાતમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે ગુજરાતમાં કોરોના વાઇરસના 154 નવા કેસ નોંધાયા હતા. જે છેલ્લા 102 દિવસમાં સૌથી વધારે છે.
ગુજરાતમાં ગત સોમવારે ઍૅક્ટિવ કેસની સંખ્યા 206 હતી જે શનિવારે વધીને 398એ પહોંચી હતી. શનિવારે જે 154 કેસ નોંધાયા છે, તેમાંથી 80 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે.
ગુજરાતમાં એક અઠવાડિયામાં ઍક્ટિવ કેસની સંખ્યામાં બે ગણો વધારો જોવા મળ્યો છે. વડોદરા શહેરમાં 12, સુરત શહેરમાં 12, ગાંધીનગરમાં 5 અને રાજકોટ શહેરમાં 4 કેસ નોંધાયા છે. વડોદરા ગ્રામિણમાં 11 કેસ પણ નોંધાયા છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં 5.4 કરોડ લોકોને કોરોના વાઇરસનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 5.29 કરોડ લોકોએ બંને ડોઝ લીધા છે.
રશિયા-યુક્રેન યુદ્ધની અસર ગુજરાતના હીરાઉદ્યોગ પર માઠી અસર
યુક્રેન રશિયા યુદ્ધની અસર ગુજરાતના હીરાઉદ્યોગમાં લાખો કારીગરોની રોજીરોટી પર પડી રહી છે. રશિયાથી નાના આકારના હીરાની પ્રોસેસિંગ અને પૉલિશિંગ માટે આયાત કરતા યુનિટ્સ જેનું સંચાલન સૌરાષ્ટ્રનાં કેટલાંક ગામમાંથી થાય છે, તેની પર આ યુદ્ધની ખાસ અસર પડી રહી છે.
સમાચાર સંસ્થા પીટીઆઈને ટાંકતા ફાઇનેન્શિયલ એક્સપ્રેસ લખે છે કે જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ્સના રિજનલ ચૅરમૅન દિનેશ નાવડિયાએ કહ્યું કે રાજ્યમાં હીરાઉદ્યોગમાંથી લગભગ 15 લાખ કારીગરોને રોજગાર મળે છે.
પરંતુ રશિયાની નાના આકારના હીરાની સપ્લાયમાં આવેલી અછતને કારણે હીરાઉદ્યોગમાં વેપારીઓને આફ્રિકાના દેશો અને અન્ય સ્થળોથી હીરા મગાવવા પડે છે જેથી તેમના નફા પર અસર પડે છે.
દિનેશ નાવડિયાએ કહ્યું કે, જેથી રાજ્યમાં હીરાઉદ્યોગમાં કારીગરો અને હીરાઘસુઓના કામકાજના કલાકો ઘટાડવામાં આવ્યા છે અને તેની અસર તેમને મળતા પગાર પર પડે છે.
મોટા આકારના હીરાના પ્રોસેસિંગનું કામ મોટાભાગે ગુજરાતના સુરત શહેરમાં થતું હોય છે.
ભારતમાં કટ અને પૉલિશ કરેલા હીરામાંથી 70 ટકા હીરા અમેરિકા મોકલવામાં આવે છે. અમેરિકાએ રશિયન કંપનીઓ પર પ્રતિબંધ લાદ્યો છે. દિનેશ નાવડિયાએ કહ્યું કે અમેરિકામાં કેટલીક મોટી કંપનીઓએ ઇમેલ મોકલીને કહ્યું છે કે તેઓ રશિયન મૂળના હીરા નહીં ખરીદે.
આ બધાની અસર ગુજરાતના હીરાઉદ્યોગના કારીગરો પર પડી રહી છે, ખાસ કરીને ભાવનગર અને રાજકોટ, અમરેલી તથા જૂનાગઢ જિલ્લામાં હીરાના કારીગરો પ્રભાવિત થઈ રહ્યા છે.
દિનેશ નાવડિયાના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં પણ હીરાના કારીગરો પર અસર થઈ છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો