IND A vs AFG A : ભારત A ટીમના 349 રન છતાં અફઘાનિસ્તાન Aનો વિજય કેવી રીતે થયો?

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

શ્રીલંકામાં રમાઈ રહેલી 'શ્રીલંકા A ટીમ ટ્રાઇ સિરીઝમાં ભારતનો અફઘાનિસ્તાન સામે ચાર રનથી પરાજય થયો હતો.

ભારતીય A ટીમે અફઘાનિસ્તાન A સામે પહેલી બેટિંગ કરતા 49 ઓવરમાં નવ વિકેટે 349 રન બનાવ્યા હતા, જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમે 25.5 ઓવરમાં બે વિકેટે 177 રન બનાવ્યા હતા.

મૅચમાં વરસાદ પડવાના કારણે મૅચને રોકી દેવાઈ હતી અને અફઘાનિસ્તાનની ટીમનો ડકવર્થ લુઈસ નિયમથી અંતે 4 રનથી વિજય થયો હતો.

આ મૅચમાં શું થયું હતું એની સાથે એ પણ જાણીએ કે ભારતને જે ડકવર્થ લુઈસના નિયમથી હાર મળી તે કોણે અને કેવી રીતે બનાવ્યો?

ભારતના બૅટ્સમૅનોનું મજબૂત પ્રદર્શન

અફઘાનિસ્તાન સામે ભારતે પહેલી બેટિંગ કરતા 49 ઓવરમાં 9 વિકેટે 349 રન બનાવ્યા હતા. ભારતના પ્રભસિમરનસિંહ અને વૈભવ સૂર્યવંશીએ પોતાની ઇનિંગની ધમાકેદાર શરૂઆત કરી હતી. પહેલી 7 ઓવરમાં 74 રન બનાવ્યા હતા.

વૈભવ સૂર્યવંશી આઠમી ઓવરના પહેલા બૉલે 22 બૉલમાં 44 રન બનાવીને આઉટ થયા હતા. IPLમાં સૌથી વધારે સિક્સ ફટકારનાર વૈભવ સૂર્યવંશીએ રસપ્રદ રીતે એક પણ સિક્સ ફટકારી ન હતી. તેમણે 9 બાઉન્ડરી મારી હતી. ભારતના પ્રિયાંશ આર્ય માત્ર આઠ રન બનાવીને આઉટ થયા હતા.

ભારતના ઋતુરાજ ગાયકવાડ અને કૅપ્ટન તિલક વર્માએ 66-66 રન બનાવ્યા હતા. ભારતે 22 ઓવરમાં 167 રન બનાવ્યા હતા. પ્રભસિમનસિંહની વિકેટ પડ્યા પછી મૅચ ધીમી પડી હતી. જોકે ઋતુરાજ ગાયકવાડ અને તિલક વર્માએ સારી ઇનિંગ રમી હતી.

ભારતના પાછળના ખેલાડીઓ સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. માત્ર સુર્યાંશ શેડગેએ 27 બૉલમાં 40 રન બનાવ્યા હતા. ભારતના આયુશ બદોની, અરશદ ખાન અને વિપરાજ નિગમ 9થી પણ ઓછા રન બનાવ્યા હતા.

અફઘાનિસ્તાનના બૉલરોની વાત કરીએ તો અફઘાનિસ્તાનના અબ્દોલ્લાહ અહમદઝાઈએ 9 ઓવરમાં 68 રન આપીને પાંચ વિકેટ લીધી હતી, જ્યારે ફર્માનુલ્લાહે 10 ઓવરમાં 85 રન આપીને 3 વિકેટ લીધી હતી.

અફઘાનિસ્તાનનો વળતો પ્રહાર

અફઘાનિસ્તાનના ખેલાડીએ પણ સારી શરૂઆત કરી હતી. અફઘાનિસ્તાનના ઓપનર બૅટ્સમૅનોએ પહેલી આઠ ઓવરમાં 63 રન બનાવ્યા હતા. આઠમી ઓવરના છેલ્લા બૉલે હસન ઐસાખિલની વિકેટ અરશદ ખાને લીધી હતી. હસન 34 રન બનાવીને આઉટ થયા હતા. આ પછી અનુકૂલ રૉયે ખાલિદ તાનિવાલને બે રને આઉટ કર્યા હતા.

અફઘાનિસ્તાનના કૅપ્ટન ઇમરાન અને બહીરશાહ વચ્ચે સારી ભાગીદારી બની હતી. ઇમરાને 70 બૉલમાં 75 રન બનાવ્યા હતા. ચોથા ક્રમે આવેલા બહીરશાહે 52 બૉલમાં 52 રન બનાવ્યા હતા. આ બંને ખેલાડીઓ વચ્ચે 108 રનની મજબૂત ભાગીદારી બની હતી.

અફઘાનિસ્તાનની ટીમે 25.5 ઓવરમાં 177 રન બે વિકેટે બનાવ્યા હતા. વરસાદ શરૂ થતા બાદમાં મૅચને અટકાવી દેવામાં આવી હતી. અંતે ભારે વરસાદના કારણે મૅચમાં ડકવર્થ લુઈસના આધારે અફઘાનિસ્તાનને 4 રને જીત આપવામાં આવી.

ડકવર્થ લુઈસ નિયમ કોણે અને કેવી રીતે બનાવ્યો?

વાત 1992ના વર્લ્ડકપની છે. સાઉથ આફ્રિકા અને ઇંગ્લૅન્ડ વચ્ચે સેમિફાઇનલ મૅચ રમાઈ રહી હતી.

ઇંગ્લૅન્ડને હરાવવા માટે દ. આફ્રિકાને 13 બૉલમાં 22 રનની જરૂર હતી, પરંતુ આ સમયે જ વરસાદ વિઘ્ન બન્યો અને મૅચ અટકી ગઈ.

10 મિનિટ બાદ વરસાદ રોકાયો અને દ. આફ્રિકાના બૅટ્સમૅન મેદાન પર ઊતર્યા તો સ્કોરબોર્ડ પર નવો સ્કોર ફ્લૅશ થયો જે દ. આફ્રિકાને કરવાનો હતો.

સ્કોર હતો 1 બૉલમાં 22 રન. જોકે, આમાં ભૂલ હતી. દ. આફ્રિકાને જીતવા માટેનો નવો સ્કોર હતો 1 બૉલમાં 21 રન.

તે સમયના નિયમ મુજબ મળેલો નવો લક્ષ્યાંક દરેક માટે ચોંકાવનારો હતો. રેડિયો પર કૉમેન્ટરી કરી રહેલા ક્રિસ્ટોફર માર્ટિન જેંકિસ આશ્ચર્ય સાથે બોલ્યા, "મને વિશ્વાસ છે કે કોઈને કોઈ તો આ મુશ્કેલીમાંથી રસ્તો કાઢશે."

બ્રિટિશ આંકડાશાસ્ત્રી ફ્રેંક ડકવર્થ પણ રેડિયો પર આ કૉમેન્ટરી સાંભળી રહ્યા હતા.

ડકવર્થે બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, "મને લાગ્યું કે આ સ્કોરમાં ગણિતને લગતી મુશ્કેલી છે જેનું સમાધાન થવું જરૂરી છે."

વર્ષ 1992માં ડકવર્થે રોય સ્ટેટસ્ટિકલ સોસાયટીને એક પેપર રજૂ કર્યું જેનું શીર્ષક હતું, 'ખરાબ હવામાનમાં નિષ્પક્ષ રમત'.

પરંતુ હજુ આ પેપર અધૂરું હતું. યુનિવર્સિટી ઑફ ધ વેસ્ટ ઑફ ઇંગ્લૅન્ડના લેક્ચરર ટોની લુઇસે આ પેપરને પૂર્ણ કર્યું.

બન્ને ગણિતશાસ્ત્રીઓએ ફૅક્સ મારફતે નવા નિયમને આખરી ઓપ આપ્યો. આ બન્નેએ બનાવેલી ફૉર્મ્યૂલાને 'ડકવર્થ લુઇસ' નિયમ નામ આપવામાં આવ્યું.

આખરે ઘણા પ્રયત્નો બાદ વાયા ઇંગ્લૅન્ડ ક્રિકેટ બોર્ડે આ નિયમ આઇસીસી સુધી પહોંચ્યો.

લુઇસે બીબીસીને કહ્યું હતું, "એ જોવું ખરેખર રાહતપૂર્ણ છે કે અમારા બનાવેલા નિયમને દરેક ખેલાડી સ્વીકારી લે છે. અમારા બનાવેલા નિયમે ખરેખર રમતના વિકાસમાં ફાળો આપ્યો છે."

વર્ષ 1997માં પહેલી વાર ઝિમ્બાબ્વે અને ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં ડકવર્થ લુઇસ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો.

ત્યાર બાદ વર્ષ 1998માં ન્યૂઝીલૅન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, ભારત, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકામાં પણ આ નિયમનો ઉપયોગ થયો.

વર્ષ 1999માં આઇસીસી દ્વારા ડકવર્થ લુઇસ નિયમને લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે ઇંગ્લૅન્ડનું હવામાન 2019 જેવું નહોતું.

આને લીધે આ નિયમ 1999ના વર્લ્ડકપમાં સામેલ કરાયો નહોતો.

વર્ષ 2001માં આઇસીસીએ ઔપચારિક રીતે ડકવર્થ લુઇસ નિયમને સ્વીકારી લીધો અને ટ્રાયલ સ્વરૂપે આ નિયમને ક્રિકેટનાં દરેક ફૉર્મેટમાં લાગુ કરાયો.

વર્ષ 2004માં સ્થાયી રીતે ડકવર્થ લુઇસ નિયમ આઇસીસીનો હિસ્સો બની ગયો. જોકે, આ નિયમની આલોચના પણ થતી રહી છે.

ડકવર્થ અને લુઇસ રિટાયર્ડ થયા બાદ પ્રોફેસર સ્ટીવ સ્ટર્ન તેમના સંરક્ષક બની ગયા. વર્ષ 2014માં આ નિયમનું નામ બદલીને ડકવર્થ લુઇસ સ્ટર્ન (DLS) થઈ ગયું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન