નેતન્યાહૂએ અમેરિકા-ઈરાનની સમજૂતી પર શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીના ઍલાન બાદ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સોમવારે જેરુસલેમમાં એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરી.

તેમણે કહ્યું કે "તેમની સરકારે ઇઝરાયલને પૂર્ણ પ્રકારે બરબાદ થતાં બચાવી લીધું છે. પરંતુ લડાઈ હજુ સમાપ્ત થઈ નથી."

જોકે, તેમણે એમ પણ કહ્યું કે ઇઝરાયલને સતર્ક રહેવું પડશે અને જરૂર પડે તો પોતાનું રક્ષણ અને બચાવ કરવો પડશે.

નેતન્યાહૂનું નિવેદન એ સમયે આવ્યું છે, જ્યારે ઇઝરાયલમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની ડીલને લઈને અસહજતા દેખાઈ રહી છે.

આ સમજૂતીના ઍલાન બાદ ઇઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી અને કટ્ટર દક્ષિણપંથી નેતા ઇતામાર બેન-ગ્વેરે કહ્યું કે તેમનો દેશ આ 'સમજૂતીને માનવા માટે બાધ્ય નથી.'

ત્યાં, ઇઝરાયલના સંરક્ષણ મંત્રી ઇસરાઇલ કાત્ઝે કહ્યું છે કે "વડા પ્રધાન નેતન્યાહૂ અને હું એક સ્પષ્ટ નીતિ પર કામ કરી રહ્યા છે. જે અંતર્ગત ઇઝરાયલી સેના લેબનોન, સીરિયા અને ગાઝાના બફર ઝોનમાં અનિશ્ચિત સમય સુધી રહેશે."

નેતન્યાહૂએ પોતાની પ્રેસ કૉન્ફરન્સમાં એમ પણ કહ્યું કે "ઇઝરાયલ પોતાની સુરક્ષા માટે જ્યારે જરૂર પડશે ત્યાં સુધી સિક્યૉરિટી ઝોનમાં બનેલું રહેશે."

તેમણે કહ્યું કે એવા કેટલાક મામલામાં તેમની અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના વિચાર એકસમાન નથી હોતા. પરંતુ તેઓ ઇઝરાયલનાં હિતોનું રક્ષણ કરશે.

તેમણે કહ્યું કે જ્યારે જરૂર પડી ત્યારે તેઓ ઇઝરાયલની પડખે ઊભા રહેશે.

નેતન્યાહૂએ એમ પણ કહ્યું કે ઉત્તર ઇઝરાયલના લોકોની સુરક્ષા માટે તેઓ પ્રતિબદ્ધ છે, જે વિસ્તારના લોકો લેબનોનની સરહદ પાસે રહે છે.

કૅલિફોર્નિયામાં અમરિકાના વાયુસેનાનું વિમાન ક્રૅશ, આઠ લોકોનાં મૃત્યુ

દક્ષિણ કૅલિફોર્નિયામાં ઍડવર્ડ્સ ઍરફોર્સ બેઝથી ઉડાન ભર્યાના થોડા સમય બાદ અમેરિકાની વાયુસેનાનું એક બી-52 બૉમ્બર પ્લેન ક્રૅશ થઈ ગયું છે. જેમાં આઠ લોકોનાં મૃત્યુ થયાં છે.

આ અકસ્માત સોમવારે સ્થાનિક સમયાનુસાર સવારે 11-20 કલાકે થયો. જ્યારે વિમાન એર રૂટિન ટેસ્ટ મિશન પર હતું ત્યારે આ અકસ્માત થયો હતો. દુર્ઘટના બાદ આકાશમાં ઊંચે ઉઠેલો ધુમાડો દૂર સુધી દેખાતો હતો.

કર્નલ જૅમ્સ હેજે પત્રકારોને કહ્યું, "આજે ઍડવર્ડ્સ ઍરફોર્સ બેઝમાં ભયાનક દુર્ઘટના ઘટી. જેમાં અમે આઠ ગ્રેટ અમેરિકનોને ખોયા છે."

તેમણે કહ્યું કે મૃતકોમાં સૈન્ય કર્મચારી, સરકારી કર્મચારી અને સરકારી ઠેકેદાર સામેલ છે.

ટ્રમ્પે અમેરિકા-ઈરાન ડીલ પર હસ્તાક્ષર થવાની વાત કહી, સમજૂતી મામલે તેમણે વધુમાં શું કહ્યું?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઇઝરાયલ-ઈરાન યુદ્ધને સમાપ્ત કરવા માટે એક પ્રારંભિક સમજૂતી પર પહેલાં જ હસ્તાક્ષર થઈ ચૂક્યા છે. આ સમજૂતીનો ડ્રાફ્ટ ટૂંક સમયમાં સાર્વજનિક કરવામાં આવશે.

સોમવારે જી-7 શિખર સંમેલન દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૅક્રોંની સાથે થયેલી વાતચીત દરમિયાન તેમણે કહ્યું, "મને એ જણાવતા આનંદ થઈ રહ્યો છે કે તેના પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે. સમજૂતી પર તમામ હસ્તાક્ષર થઈ ચૂક્યા છે."

અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓએ પણ સમજૂતીની કેટલીક જાણકારી સાર્વજનિક કરવી શરૂ કરી છે. તેમણે જણાવ્યું કે શુક્રવારે હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલી દેવામાં આવશે. જે દિવસે જિનેવામાં આ સમજૂતી પર ઔપચારિક રીતે હસ્તાક્ષર કરવામાં આવશે.

અધિકારીઓએ જણાવ્યું કે ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર ટૅક્નિકલ મામલાની વાતચીત આ સપ્તાહે ફરીથી શરૂ થવાની આશા છે. ત્યાં, પ્રતિબંધોમાં કોઈ પ્રકારની રાહત કે સંપત્તિને રિલીઝ કરવાની બાબતો એ વાત પર નિર્ભર કરશે કે ઈરાન સમજૂતી અંતર્ગત પોતાનાં વચનો પૂરાં કરે છે કે નહીં.

ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સે સોમવારે સીએનએનના જૅક ટૅપરની વાતચીતમાં કહ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા એમઓયુ લગભગ દોઢ પાનાંનો છે. તે બહુ સામાન્ય દસ્તાવેજ છે.

વેન્સે એ પણ કહ્યું કે તેની ઘણી જાણકારી ભવિષ્યની વાતચીત દરમિયાન નક્કી કરવામાં આવશે.

અમેરિકાના રાષ્ટ્રપતિએ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ કરીને જણાવ્યું કે ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર ન રાખવા પર સહમત થઈ ગયું છે.

આ ઉપરાંત તે દાવાને ફગાવી દેવામાં આવ્યા છે, જેમાં અમેરિક તરફથી ઈરાનને 30 કરોડ ડૉલરની રકમ આપવાની વાત કહેવામાં આવી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન