You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વૈભવ સૂર્યવંશીની શ્રીલંકાના ક્રિકેટર સાથે થયેલી ધક્કામુક્કીમાં કોની ભૂલ હતી, આઈસીસીના નિયમો શું કહે છે?
ભારતીય ક્રિકેટના યુવા સુપરસ્ટાર વૈભવ સુર્યવંશી આ સમયે ખોટા કારણોસર ચર્ચામાં છે.
સોમવારે શ્રીલંકા-A સામે સુપર ઓવરમાં ભારત-Aની હાર પછી તેમની મેદાન પર વિરોધી ટીમના શ્રીલંકાના ક્રિકેટર સાથે તીવ્ર બોલાચાલી થઈ એટલું જ નહીં પરંતુ ધક્કામુક્કી પણ થઈ ગઈ.
દામ્બુલામાં રમાયેલા આ રોમાંચક મુકાબલાના અંતે વૈભવ સુર્યવંશી અને શ્રીલંકાના વિશેન હલામ્બાગે મેદાન પર જ ઝઘડી પડ્યા.
આ દરમિયાન માહોલ ખૂબ તણાવપૂર્ણ બની ગયો હતો. શ્રીલંકા-Aના વિકેટકીપર નિરોશન ડિકવેલા વચ્ચે પડવા માટે આવ્યા અને બંને ખેલાડીઓને અલગ કર્યા.
હવે સૌની નજર મૅચ રેફરી પ્રદીપ જયપ્રકાશ પર છે. જોવાનું રહેશે કે તેઓ આ બંને ખેલાડીઓ પર કોઈ સત્તાવાર કાર્યવાહી કરે છે કે ફક્ત ચેતવણી આપી છોડી દે છે.
આઈસીસી કોડ ઑફ કન્ડક્ટના આર્ટિકલ 2.12 અનુસાર કોઈ આંતરરાષ્ટ્રીય મૅચ દરમિયાન કોઈ ખેલાડી, સપૉર્ટિંગ સ્ટાફ, અમ્પાયર, મૅચ રેફરી અથવા અન્ય કોઈ વ્યક્તિ (જેમાં દર્શકો પણ સામેલ છે) સાથે અનુચિત શારીરિક સંપર્ક કરે છે તો તે નિયમોનું ઉલ્લંઘન છે.
નિયમ અનુસાર, "ક્રિકેટમાં કોઈપણ પ્રકારનો અનુચિત શારીરિક સંપર્ક પ્રતિબંધિત છે. જો કોઈ ખેલાડી જાણબૂઝીને, બેદરકારીથી કે બેધ્યાનમાં કોઈ બીજા ખેલાડી અથવા એમ્પાયર સાથે અથડાય છે, દોડતા તેમની સાથે ભીડે છે અથવા ખભો મારે છે, તો તેને નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવશે."
નિયમ એ પણ કહે છે કે ઉલ્લંઘનની ગંભીરતા નક્કી કરતી વખતે આ બાબતો પર ધ્યાન આપવામાં આવશે— (i) ઘટનાનો સંપૂર્ણ સંદર્ભ, જેમાં જોવામાં આવશે કે સંપર્ક જાણબૂઝીને, બેદરકારીથી, બેધ્યાનપણે થયો કે તેને ટાળી શકાય તેમ હતો કે નહીં. (ii) સંપર્ક કેટલો જોરદાર હતો. (iii) સંપર્કથી સામેની વ્યક્તિને કોઈ ઈજા પહોંચી કે નહીં. અને (iv) જેમની સાથે સંપર્ક થયો તે વ્યક્તિ કોણ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રોમાંચક મૅચમાં શ્રીલંકા-A સામે ભારત-Aની હાર
દામ્બુલામાં રમાયેલી આ મૅચમાં ભારત-Aએ પહેલી બેટિંગ કરતા 49.2 ઓવરમાં 265 રન બનાવ્યા હતા. જવાબી ઇનિંગમાં શ્રીલંકા-Aએ પણ 50 ઓવરમાં 265 રન બનાવ્યા.
પરિણામે મૅચનું પરિણામ સુપર ઓવરના આધારે નક્કી કરવાનો નિર્ણય લેવાયો.
શ્રીલંકા-Aએ સુપર ઓવરમાં 16 રન બનાવ્યા, જેના જવાબમાં ભારત 9 રન જ બનાવી શક્યું. આ રીતે શ્રીલંકાની ટીમ જીતી ગઈ.
ડૅબ્યૂ કરી રહેલા શ્રીલંકાના ઝડપી બૉલર કૂગાથાસ મથુલને શાનદાર પ્રદર્શન કરીને વૈભવ સુર્યવંશી અને સુર્યાશ શેડગેને મોટો શૉટ રમવાની તક નહીં આપી. પરિણામે શ્રીલંકા-Aને જીત મળી.
આ પહેલાં ભારત-Aએ શાનદાર વાપસી કરીને મૅચમાં પોતાને ટકાવી રાખી હતી, નહિંતર એક તબક્કે તે મુશ્કેલીમાં જણાતી હતી.
ટીમ જ્યારે 143 રન પર સાત વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં હતી, ત્યારે સુર્યાશ શેડગે અને વિપરાજ નિગમે આઠમી વિકેટ માટે 104 રનની ઉત્તમ ભાગીદારી કરી. તેમની મદદથી ભારત એ 265 રન સુધી પહોંચ્યું અને મુકાબલો રોમાંચક બન્યો.
જવાબમાં શ્રીલંકા-A તરફથી સદીરા સમરવિક્રમાએ સંયમિત 93 રનની ઇનિંગ રમી, જેને કારણે યજમાન ટીમ સમગ્ર રન ચેઝ દરમિયાન મજબૂત સ્થિતિમાં રહી.
જો કે અંતમાં ભારત-Aએ અર્શદ ખાનની શાનદાર બૉલિંગના સહારે વાપસી કરી. તેમણે છેલ્લી ઓવરમાં ઉત્તમ પ્રદર્શન કરીને મૅચને ખૂબ જ રોમાંચક બનાવી અને શ્રીલંકાને હારની નજીક પહોંચાડી દીધું.
ત્યારબાદ મેદાન પર તણાવ વધુ વધી ગયો. ખેલાડીઓનો ગુસ્સો ખુલ્લેઆમ સામે આવ્યો અને માહોલ ગરમાયો. આખરે સુપર ઓવરમાં જીત મેળવી શ્રીલંકા-Aએ બે અંક મેળવ્યા અને હવે તેની ફાઇનલમાં જગ્યા લગભગ નક્કી માનવામાં આવી રહી છે.
આ ટ્રાયેન્ગ્યુલર સિરીઝમાં ભારત-Aની ત્રણ મૅચમાં બીજી હાર છે. આ પહેલાં ટીમ અફઘાનિસ્તાન સામે વરસાદથી પ્રભાવિત મૅચમાં ડીએલએસ નિયમ હેઠળ ચાર રનથી હારી ગઈ હતી.
તિલક વર્માની કૅપ્ટનશિપ હેઠળ ભારત-A ટીમે પોતાના અભિયાનની શરૂઆત આ જ શ્રીલંકા-A સામે ઓછા સ્કોરના રોમાંચક મુકાબલામાં જીતથી કરી હતી.
શું કહે છે નિષ્ણાતો?
ભારતના ભૂતપૂર્વ સ્પિનર આર. અશ્વિને ઍક્સ પર લખ્યું, "આ મૅચોમાં એટલાં કૅમેરા નથી હોતા, જેટલા આપણે આઈપીએલમાં જોવા માટે ટેવાયેલા છીએ. સુપર ઓવરમાં નો-બૉલનો નિર્ણય વિવાદાસ્પદ હતો અને સુપર ઓવરમાં બેટિંગ માટે આવવામાં શ્રીલંકાએ જે મોડું કર્યું તેથી ભારત-A ટીમ ખૂબ નારાજ હતી."
"ભારતીય ટીમની નારાજગી સમજાય છે, જ્યારે શ્રીલંકાએ જે કર્યું તે સંપૂર્ણપણે વિરોધી ટીમ પર માનસિક દબાણ બનાવવાની રણનીતિનો ભાગ હતો."
જ્યારે વરિષ્ઠ રમત પત્રકાર બોરિયા મજુમદારે આ ઘટના અંગે ઍક્સ પર લખ્યું, "વૈભવ, સચીનથી ઘણો નાનો છે, તેણે મહાન ખેલાડી પાસેથી શીખવું જોઈએ. રમતના મેદાન પર ગુસ્સો ન કરવો જોઈએ. આવા સમયે માણસ પોતાનો દૃષ્ટિકોણ ગુમાવી દે છે."
"મને વિશ્વાસ છે કે આજની ઘટનાથી તે શીખશે. આપણે બધા ભૂલો કરીએ છીએ, તે પણ અલગ નથી. શીખવું અને વધુ સારું બનવું જ આગળ વધવાનો રસ્તો છે."
વરિષ્ઠ પત્રકાર કુશન સરકારે ઍક્સ પર લખ્યું, "વૈભવ ફક્ત 15 વર્ષનો છે. તે પોતાની સફર દરમિયાન શીખશે. આપણે બાળકને થોડો મોકો આપવો જોઈએ. આ વાત ભૂલશો નહીં કે વૈભવ પાછો જઈ રહ્યો હતો, પણ શ્રીલંકાના બૉલરે તેને ઉશ્કેર્યો હતો. તે માટે પાછો આવ્યો કારણ કે કંઈક કહેવાયું હતું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન