સૌમિત્ર ચેટરજી : દંતકથા સમાન અભિનેતાનું નિધન

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

વિશ્વવિખ્યાત સર્જક સત્યજીત રે સાથે કામ કરનારા અને બંગાળી સિનેમાના લૅજન્ડ તરીકે ઓળખાતા અભિનેતા સૌમિત્ર ચેટરજીનું નિધન થયું છે.

સૌમિત્ર ચેટરજીએ સત્યજીત રેની ફિલ્મ અપુર સંસારથી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી.

ઓસ્કર ઍવોર્ડથી સન્માનિત ડિરેક્ટર સત્યજીત રે સાથેની જુગલબંધી માટે જાણીત દિગ્ગજ અભિનેતા સૌમિત્ર ચેટરજીનું કોરોનાની માંદગીમાં સપડાઈને મૃત્યુ થયું છે.

85 વર્ષીય અભિનેતાને 6 ઑક્ટોબરના રોજ કોલકાતાની હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.

બંગાળી ફિલ્મચાહકોને અભિનેતાની અંતિમ વિદાયથી ઘેરા શોકમાં છે.

નોંધનીય છે કે 300 કરતાં વધુ ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા ચેટરજી એક નાટ્યકાર, થિયેટર કલાકાર અને કવિ પણ હતા.

હૉસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેમનું કોરોના વાઇરસનું પરીક્ષણ નૅગેટિવ આવ્યું હતું. પરંતુ બાદમાં તેમની તબિયત વધુ બગડતાં તેમને વૅન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સોમવારે સવારે તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

'વન મૅન સ્ટોક કંપની'

સૌમિત્ર ચેટરજી પદ્મભૂષણ, નેશનલ ફિલ્મ ઍવૉર્ડ અને ભારતીય સિનેમાના સર્વોચ્ચ સન્માન દાદાસાહેબ ફાલકે ઍવૉર્ડથી સન્માનિત થયા હતા.

ચેટરજી સત્યજીત રે સાથેના પોતાના કામ માટે વધુ જાણીતા હતા. સત્યજીત રે એ વિશ્વના નામચીન ડિરેક્ટર અને અપુ-ટ્રાયોલોજી જેવી ફિલ્મોના સર્જક છે.

આ સીરિઝમાં બંગાળના ગામડામાં રહી રહેલા એક માણસની કથા કહેવામાં આવી છે. આ ફિલ્મને કારણે ભારતીય સિનેમાજગતનું સમગ્ર વિશ્વમાં નામ થયું હતું.

અપુ- ટ્રાયોલોજીની ત્રીજી ફિલ્મ અપુર સંસાર, જે 1959માં રિલીઝ થઈ હતી, ચેટરજીની ડેબ્યૂ ફિલ્મ હતી. બાદમાં તેઓ સત્યજીત રેની 14 ફિલ્મોમાં મુખ્ય અભિનેતા તરીકે જોવા મળ્યા.

અમેરિકાના ખ્યાતનામ ફિલ્મ ક્રિટિક પોલીન કિલે ચેટરજીને રેની 'વન મૅન સ્ટોક કંપની' કહ્યા હતા.

વર્ષ 2012માં ચેટરજીને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2018માં તેમને ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માન લિજિયન ઑફ ઑનર આપવામાં આવ્યું હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો