કોરોના વાઇરસ : લૉકડાઉનમાં જીવિત રહેવા સંઘર્ષ કરતાં બાળકો

    • લેેખક, ગીતા પાંડે
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે કરેલા લૉકડાઉનથી લાખો બાળકોની જિંદગીમાં અફરાતફરી મચી ગઈ છે.

હજાર બાળકો રોજ હેલ્પલાઇન પર કૉલ કરીને મદદ માગી રહ્યાં છે, જ્યારે હજારો બાળકો ભૂખ્યાં સૂઈ રહ્યાં છે. મહામારી રોકવા આખો દેશ બંધ છે.

ભારતમાં 47.2 કરોડ બાળકો અને દુનિયામાં બાળકોની સૌથી વધુ વસતી ભારતમાં છે. સામાજિક કાર્યકરોનું કહેવું છે કે ગરીબ પરિવારોનાં ચાર કરોડ બાળકો સૌથી પ્રભાવિત થયાં છે.

તેમાં એ બાળકો પણ સામેલ છે જે ગ્રામીણ વિસ્તારમાં ખેતરમાં કામ કરે છે અને જે શહેરોમાં કચરો વીણવાનું કામ કરે છે.

રસ્તા પર ફુગ્ગા, પેન, પેન્સિલ વેચનારાં બાળકો કે ભીખ માગનારાં બાળકો વધુ પ્રભાવિત છે.

બાળમજૂરો અને ફૂટપાથ પર રહેતાં બાળકો વચ્ચે કામ કરતાં બિનસકારી સંગઠન ચેતનાના નિદેશક સંજય ગુપ્તા કહે છે કે શહેરોમાં રસ્તા પર, ફ્લાઇઓવરની નીચે અને સાંકડી ગલીઓમાં રહેતાં બાળકો સૌથી વધુ પ્રભાવિત છે.

તેઓ પૂછે છે, "લૉકડાઉન સમયે કહેવાયું છે કે બધા ઘરમાં રહો, પરંતુ રસ્તા પર રહેતાં બાળકોનું શું? એ ક્યાં જશે?"

મદદની વિનંતી કરતાં બાળકો

એક અનુમાન પ્રમાણે દિલ્હીમાં અંદાજે 70 હજાર બાળકો રસ્તા પર રહે છે. સંજય ગુપ્તા કહે છે કે આ આંકડો વધુ પણ હોઈ શકે છે.

તેઓ ઉમેરે છે કે "આ બાળકો મોટા ભાગે આત્મનિર્ભર હોય છે. તેઓ પોતાનું પેટ ભરવા માટે જાતે કોશિશ કરે છે. પહેલી વાર તેઓને મદદની જરૂર પડી છે. તેઓ એ વ્યવસ્થાનો ભાગ નથી અને તેમના સુધી પહોંચવું પણ સરળ નથી. ખાસ કરીને વર્તમાન પરિસ્થિતિમાં."

સજંય ગુપ્તા કહે છે કે તેમની સાથે કામ કરતાં રાહતકર્મી કર્ફ્યુ પાસ વિના અવરજવર ન કરી શકે અને કર્ફ્યુ પાસ મેળવવો સરળ નથી, કેમ કે 'ચેતના' જેવાં સામાજિક સંગઠનોને જરૂરી સેવામાં ગણવામાં આવ્યાં નથી.

ગુપ્તા કહે છે કે તેઓએ બાળકો સાથે સંપર્ક જાળવી રાખવા નવી રીત અપનાવી છે.

તેઓએ જણાવ્યું, "જે બાળકો પાસે મોબાઇલ છે અને સમૂહમાં રહે છે તેમને અમે સંદેશ કે ટિકટૉક વીડિયો મોકલીએ છીએ, જેમાં કહેવામાં આવે છે કે આ સ્થિતિમાં પોતાને સુરક્ષિત કેવી રીતે રાખવાં અને કેવી સાવધાની રાખવી જોઈએ."

બાળકો પણ વીડિયો સંદેશ મોકલીને પોતાની હાલત જણાવે છે. સંજય ગુપ્તાએ મને જે કંઈ સંદેશ મોકલ્યા છે તેનાથી ખબર પડે છે આ બાળકો કેવી-કેવી સમસ્યાનો સામનો કરી રહ્યાં છે.

ભરપેટ ખાવાની વ્યવસ્થા નહીં

પરિસ્થિતિથી ચિંતિત બાળકો વીડિયો સંદેશમાં પોતાના પરિજનોના બેરોજગાર થવાનો ડર વ્યક્ત કરે છે. તેઓ પૂછે કે રૅશનની વ્યવસ્થા કેવી રીતે કરવી કે બધું બંધ છે તો પૈસા કેવી રીતે કમાવવા?

એવાં બાળકોના વીડિયો પણ અમને મળ્યા જેઓ એકલાં રહે છે.

એક વીડિયોમાં ફૂટપાથ પર રહેતો બાળક કહે છે, ઘણી વાર લોકો આવે છે અને ખાવાનું આપે છે. મને નથી ખબર કે આ લોકો કોણ છે, પરંતુ અમને જે ખાવાનું મળે છે એ બહુ ઓછું હોય છે. અમને બે-ત્રણ દિવસે એક જ વાર ખાવાનું મળે છે.

આ બાળક જણાવે છે કે લૉકડાઉનને કારણે તેઓ પાણી ભરવા પણ જઈ શકતા નથી અને લાકડાં વીણવાં પણ. તે વિનંતી કરે છે, "મને નથી ખબર કે અમે કેટલા દિવસ આ રીતે જીવતા રહીશું. સરકાર અમારી મદદ કરે."

અધિકારીઓનું કહેવું છે કે તેઓ મદદ કરી રહ્યા છે. બાળઅધિકારીની રક્ષા માટે દિલ્હી આયોગ ફૂટપાથ પર રહેતાં બાળકો અને ગરીબ પરિવારોને ભોજન આપે છે.

દેશનાં અન્ય ઘણાં શહેરોમાં પણ બિનસરકારી સંગઠન અને પ્રશાસન નિઃસહાય બાળકો અને બેઘર લોકોને ખાવાનું આપે છે, પરંતુ આ સમસ્યા એવડી મોટી છે કે ડર લાગે.

વ્યવસ્થા અને લોકોની નજરમાં ઓઝલ

ગુપ્તા કહે છે કે પૂર્ણ લૉકડાઉનની આ સ્થિતિમાં સરકારે એ નક્કી કરવું જોઈએ કે બાળકોને દિવસમાં ત્રણ ટાઇમનું ભોજન મળે.

ગુપ્તા કહે છે કે કેટલાંક બાળકો એવાં પણ છે જે વ્યવસ્થા કે લોકોની નજરથી અદૃશ્ય છે. આ બાળકો મુખ્ય રસ્તાથી દૂર એવા વિસ્તારમાં રહે છે જ્યાં પહોંચવું સરળ નથી હોતું.

તેઓ કહે છે, "એવાં હજારો બાળકો છે જેમના સુધી અમે હજુ પહોંચી શક્યા નથી."

આ લૉકડાઉનને કારણે માત્ર ગરીબ બાળકો પણ પ્રભાવિત થયાં નથી, શટડાઉનમાં તણાવને લીધે ઘણાં બાળકો અવસાદનો શિકાર બની રહ્યાં છે.

હેલ્પલાઇન નંબરો પર લાખો કૉલ

ભારતમાં 25 માર્ચથી પેહલા તબક્કાનું લૉકડાઉન શરૂ થયું હતું. એ દિવસથી બાળકો માટેની 24 કલાક ચાલતી હેલ્પલાઇનમાં આવતા કૉલની સંખ્યા વધી છે.

ચાઇલ્ડલાઇન ઇન્ડિયા ફાઉન્ડેશનના હેલ્પલાઇન નંબર 1098 પર પહેલા અઠવાડિયામાં જ ત્રણ લાખ કૉલ આવ્યા હતા. અગાઉ દર અઠવાડિયે બે લાખ કૉલ આવતા હતા.

ભારતમાં 718માંથી 569 જિલ્લા અને 128 રેલવે સ્ટેશન પર સંક્રિય આ હેલ્પલાઇન પર રોજના હજારો કૉલ આવે છે, જેમાં બાળકો સાથે હિંસા, ગુમ બાળકો કે ઘરથી ભાગેલાં બાળકો અંગેની ફરિયાદ હોય છે.

અધિકારીઓનું કહેવું છે કે હવે આવતાં કૉલ મહામારી સાથે જોડાયેલા હોય છે. કૉલ કરનારાં બાળકો અને ઘણી વાર વયસ્કો બાળકો માટે ખાવાનું માગે છે.

જોકે મોટા ભાગના લોકો કોરોના સંક્રમણનાં લક્ષણો અને સારવાર અંગે પૂછે છે. ઘણાં બાળકો કોવિડ-19ને લઈને પોતાના ડર અને આશંકાઓ અંગે પણ વાત કરે છે.

બાળકોમાં ચીડિયાપણું

બાળઅધિકારી કાર્યકર ભારતી અલી કહે છે કે ઘણાં બાળકો પોતાની સ્કૂલની પરીક્ષાને લઈને ચિંતિત છે, કેમ કે અનિશ્ચિતતાનો માહોલ છે અને તેઓ જાણતા નથી કે આગળ શું થશે.

તેઓ કહે છે કે 14 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો એટલા માટે પરેશાન છે કે ઘરમાં તેઓને કોઈને કોઈ કારણસર માતાપિતાની સલાહ સાંભળવી પડે છે.

પરિજન આ સમયે બહુ ચિંતિત છે અને તેઓ આખો દિવસ બાળકોને કહે છે કે આને ન અડો, તેને ન અડો. બાળકો પરિસ્થિતિને સમજવાની કોશિશ કરે છે.

ઉત્તર પ્રદેશના બાળઅધિકારી આયોગનાં સભ્ય ડૉક્ટર પ્રીતિ વર્મા કહે છે કે બાળકો આ સમયે કોરોના વાઇરસ મહામારી અંગે સાંભળી અને વાંચી રહ્યાં છે. જો તેઓને સામાન્ય ખાંસી કે છીંક આવે તો પણ તેઓને કોરોના સંક્રમણની ચિંતા સતાવે છે.

તેઓ કહે છે, "સ્કૂલ બંધ હોવાથી તેઓએ શૂઆતમાં કેટલાક દિવસ મજા કરી. પણ હવે લૉકડાઉન આગળ વધી રહ્યું છે અને ભારતમાં સંક્રમણની સંખ્યા પણ વધી રહે છે, આથી બાળકો ચીડિયાં થવાં લાગ્યાં છે. હવે તેઓ ઘરમાં ફસાયાં છે, મિત્રો અને સમાજથી દૂર છે, આથી તેઓ બોર થઈ રહ્યાં છે અને એટલે સુધી કે તેમનામાં ડરનાં લક્ષણ પણ દેખાવાં લાગ્યાં છે."

ડૉક્ટર વર્મા કહે છે કે આવી સ્થિતિમાં પરિજનોની જવાબદારી વધી ગઈ છે. તેઓએ બાળકો સાથે સતત વાત કરવી પડશે અને કહેવું પડશે કે બધું સારું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો