યમન : નવી સરકાર આવતાં જ ઍરપૉર્ટ પર વિસ્ફોટ, 22નાં મૃત્યુ

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

યમનના શહેર ઍડનના ઍરપૉર્ટ પર થયેલા એક હુમલામાં 22 લોકોનાં મૃત્યુ થયાં છે અને 50થી વધારે લોકો ઈજાગ્રસ્ત છે. સાઉદી અરેબિયાથી નવી સરકારને લઈને આવેલું વિમાન લૅન્ડ થયા બાદ આ ઘટના ઘટી છે.

વિમાનમાંથી મંત્રીઓ ઊતરી રહ્યા હતા ત્યારે આ વિસ્ફોટ થયો હતો.

આ વિસ્ફોટ બાદ વડા પ્રધાન માઇન અબ્દુલમલિક સાઇદે જણાવ્યું છે કે તેઓ અને તેમનું મંત્રીમંડળ 'સુરક્ષિત' છે.

આ ઘટના માટે માહિતીમંત્રી મોઅમ્મર અલ-એરયાનીએ હૌથી વિદ્રોહીઓને જવાબદાર ગણાવ્યા છે. તેમણે આ ઘટનાને 'કાયરતાપૂર્ણ આતંકવાદી કૃત્ય' ગણાવ્યું છે.

નોંધનીય છે કે યમનમાં વર્ષ 2015થી ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે.

એ વખતે સાઉદી અરેબિયાના વડપણ હેઠળ આરબ રાષ્ટ્રોએ હૌથી વિદ્રોહીઓ ખસેડવા અને રાષ્ટ્રપતિ અબ્દરબ્બુહ મોનસૌર હાદીનું શાસન ફરીથી કાયમ કરવા માટે સૈન્યઅભિયાન હાથ ધર્યું હતું.

આ યુદ્ધમાં 110,000 કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને સાથે જ યમન વિશ્વની સૌથી ભયાનક માનવીય તબાહીનો ભોગ બન્યું છે.

અહીં લાખો લોકો ભૂખમરાનો શિકાર થયા છે અને કોરોના વાઇરસે પણ અહીં બરબાદી લાવી છે.

બુધવારે જાહેર થયેલા વીડિયો ફૂટેજમાં જોઈ શકાય છે કે વિમાનમાંથી મુસાફરોએ ઊતરવાનું શરૂ કર્યું કે ભારે વિસ્ફોટ થયો.

વિસ્ફોટ થતાં જ મંત્રીઓના સ્વાગત માટે હાજર રહેલા લોકોમાં નાસભાગ મચી ગઈ. એ બાદ ગોળીબારના અવાજો પણ સંભળાયા.

સમાચાર સંસ્થા એએફપીના સંવાદદાતાએ વિસ્ફોટના બે અવાજો સાંભળ્યા હોવાનું જણાવ્યું છે તો આંતરરાષ્ટ્રીય સહકારમંત્રી નજીબ અલ-અવ્જે પણ આ આવી જ વાત કરી છે.

આ ઘટના પાછળનું કારણ જાણી શકાયું નથી. જોકે, સમાચાર સંસ્થા રૉયટર્સને સુરક્ષાદળોએ જણાવ્યું છે કે ટર્મિનલ પર ત્રણ મૉર્ટાલ શૅલ પડ્યા હતા.

આ દરમિયાન સાઉદી ચેનલ અલ-હદાથે એક વીડિયો જાહેર કરીને મિસાઇલથી આ હુમલો કરાયો હોવાનો દાવો કર્યો છે.

નોંધનીય છે કે ઑગષ્ટ, 2019માં ઍડનની એક સૈન્યપરૅડમાં થેયલા મિસાઇલ હુમલામાં 36 લોકો માર્યા ગયા હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો