યમન કૉન્ફ્લિક્ટ : 50 લાખ બાળકો ભૂખમરાથી પીડિત

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

યમનમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિના લીધે વધુ 10 લાખ બાળકો ભૂખમરાનો ભોગ બને તેવી શકે છે તેવી ચેતવણી એનજીઓ 'સેવ ધ ચિલ્ડ્રન'એ આપી છે.

ખોરાકની વધતી જતી કિંમતો અને યમની ચલણની ગગળતી જતી કિંમતના પગલે ભોજનની તંગી સર્જાવાનું જોખમ તોળાઈ રહ્યું છે.

બીજો ખતરો દેશના મુખ્ય બંદર હુદેદિયાથી આવી રહ્યો છે. આ શહેર દેશમાં આવતી મદદનું મુખ્ય પ્રવેશ દ્વાર છે જેના પર બળવાખોરોનો કબજો છે.

એનજીઓના મતે દેશમાં 50 લાખ બાળકો ભૂખમરાનો સામનો કરી રહ્યાં છે.

યમનમાં શા માટે યુદ્ધ શરૂ છે ?

વર્ષ 2015થી યમન યુદ્ધની સ્થિતિમાં છે.

દેશના મોટા ભાગના પશ્વિમી વિસ્તારો પર હુથી અલગાવવાદીઓએ કબજો જમાવી લીધો હતો જેના લીધે પ્રમુખ અબ્દરબ્બુહ મનસોર હાદીએ વિદેશ નાસી જવું પડ્યું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

અલગાવવાદીઓના જૂથને ઇરાનના પરોક્ષ યુદ્ધ તરીકે જોતા સફાળા જાગી ઉઠેલા પાડોશી યુએઇ, સાઉદી અરેબિયા અને અન્ય સાત દેશો યમનમાં સ્થાયી સરકાર લાવવા માટે દરમ્યાનગીરી કરી હતી.

લોકો પર શું અસર થશે?

યુદ્ધની સ્થિતિના કારણે પાછલાં બે વર્ષથી યમનમાં અનેક સરકારી નોકરીયાતોના પગાર થયા નથી.

યુદ્ધના કારણે શિક્ષકો, લોક સેવકોના પગારમાં વિલંબ થઈ રહ્યો છે.

'સેવ ધ ચિલ્ડ્રન'ના મતે આ સ્થિતિમાં યમનનાં ચલણ રિયાલની કિંમતમાં 180 ટકાનો ઘટાડો નોંધાયો છે.

આ મહિનાની શરૂઆતમાં યમનનું ચલણ ઐતિહાસિક નીચલી સપાટીએ પહોચ્યું હતું.

બળવાખોરો દ્વારા હુદેદિયા બંદરને બ્લૉક કરવામાં આવે અથવા નુકશાન પહોચાડવામાં આવે તેવો પણ ખતરો તોળાઈ રહ્યો છે.

ભૂખમરાને પહોંચી વળવા માટે પ્રાથમિક જરૂરિયાતની ચીજવસ્તુઓની આવશ્યકતા સર્જાઈ છે.

સ્થાનિકો કૉલેરા જેવા રોગાચાળાનો સામનો કરી રહ્યાં છે.

શું કહે છે સેવ ધ ચિલ્ડ્રન ?

આ મહિનાના પ્રારંભે 'સેવ ધ ચિલ્ડ્રન'એ જણાવ્યું હતું કે તેમણે પાંચ વર્ષથી ઓછી ઉમરનાં કુપોષણનો શિકાર બનેલા 4 લાખ બાળકોની સારવાર કરી હતી.

તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં 36,000 બાળકોનાં મૃત્યુ થઈ શકે છે.

'યુનાઇટેડ નેશન્સ'ના આંકડા મુજબ અત્યાર સુધીમાં 10,000 લોકો આ યુદ્ધના કારણે મૃત્યુ પામ્યા છે જ્યારે 55,000 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો