You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્રિટિશ પીએમ બોરિસ જૉન્સનને શીખ સાંસદે ખેડૂતો પર પૂછ્યું, જવાબ મળ્યો પાકિસ્તાન પર
ભારતમાં ખેડૂતના આંદોલનનો મુદ્દો વિદેશી સંસદમાં પણ ઊઠી રહ્યો છે.
બુધવારે બ્રિટિશ સંસદમાં લેબર પાર્ટીના શીખ સાંસદ તનમનજિત સિંહે ફરી એક વાર આ મુદ્દો ઉઠાવ્યો.
તનમનજિત સિંહે બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જૉન્સનને તેને લઈને સવાલ કર્યો. જૉન્સન જ્યારે જવાબ આપતા હતા ત્યારે આ મુદ્દાને લઈને અજાણ જોવા મળ્યા.
તેમને લાગ્યું કે આ ભારત-પાકિસ્તાન વચ્ચેનો મુદ્દો છે અને કહ્યું કે બંને દેશોએ દ્વિપક્ષીય વાતચીતથી ઉકેલ લાવવો જોઈએ.
ભારતમાં છેલ્લાં બે અઠવાડિયાંથી મોદી સરકારના નવા કૃષિકાયદાનો વિરોધ થઈ રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે સરકારના નવા કાયદાથી તેમની આજીવિકા બરબાદ થઈ જશે.
તનમનજિત સિંહ બ્રિટનમાં મોદી સરકારની નીતિઓના ટીકાકાર રહ્યા છે. તેઓએ નાગરિકતા સંશોધન કાયદો એટલે કે સીએએનો મુદ્દો પણ બ્રિટિશ સંસદમાં ઉઠાવ્યો હતો.
સવાલ ખેડૂત આંદોલન પર, જવાબ પાકિસ્તાન પર
બુધવારે વડા પ્રધાન બોરિસ જૉન્સનની ઉપસ્થિતિમાં તેઓએ પૂછ્યું, "ભારતના ઘણા વિસ્તારો અને ખાસ કરીને પંજાબના ખેડૂતો, જે શાંતિપૂર્ણ વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. તેમના પર વૉટર કેનન અને આંસુગૅસના ઉપયોગનાં ફૂટેજ પરેશાન કરનારાં છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"શું બ્રિટિશ પીએમ ભારતીય વડા પ્રધાનને અમારી ચિંતાઓથી અવગત કરાવશે? અમને આશા છે કે વર્તમાન સમસ્યાનું કોઈ સમાધાન થાય. તેમણે સમજવું જોઈએ કે શાંતિપૂર્ણ પ્રદર્શન બધાનો મૌલિક અધિકાર હોય છે."
જૉન્સન જ્યારે જવાબ આપવા લાગ્યા ત્યારે તેઓ બિલકુલ તૈયાર નહોતા દેખાતા.
તેઓએ કહ્યું, "સ્વાભાવિક છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે કંઈ પણ થઈ રહ્યું છે એ ચિંતાજનક છે. આ એક વિવાદિત મુદ્દો છે અને બંને સરકારોએ મળીને સમાધાન કરવું જોઈએ."
વડા પ્રધાનનો જવાબ સાંભળીને તનમનજિત અવાક રહી ગયા.
તનમનજિત સિંહ ભારતમાં ખેડૂતોના પ્રદર્શનને લઈને બ્રિટનમાં ઘણા સક્રિય છે. તેઓએ ખેડૂતોના સમર્થનમાં 35 સાંસદોને એક પત્ર પર સહી પણ કરાવડાવી છે.
બોરિસ જૉન્સનના જવાબની તેઓએ ટ્વિટર પર ટીકા કરી છે. તનમનજિત સિંહે લખ્યું, "જો અમારા વડા પ્રધાનને ખબર હોત કે તેઓ શેના વિશે વાત કરી રહ્યા છે, તો સારું હતું."
બ્રિટનમાં એક શીખ સમૂહના નેતા ગુરપતવંત સિંહે બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયનને કહ્યું, "અમે વાતથી બહુ નિરાશ છીએ કે અમારા વડા પ્રધાન ભારતમાં ખેડૂતોના આંદોલન અને ભારત-પાકિસ્તાન વચ્ચે સીમાવિવાદમાં મૂંઝવણમાં છે."
"લોકોની જિંદગી જોખમમાં છે અને વડા પ્રધાને તેના પર ધ્યાન આપવું જોઈએ. પંજાબમાં સ્થિતિ સારી નથી. ખેડૂતોનાં શાંતિપૂર્ણ આંદોલનને બળજબરી કચડી નાખવામાં આવી રહ્યું છે."
કંઈ પણ કહેવાનો ઇન્કાર
બ્રિટન સરકારે ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન પર કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો છે.
'ફૉરેન કૉમનવેલ્થ ઍન્ડ ડેવલપમૅન્ટ ઑફિસે' તેને આંતરિક બાબત ગણાવીને કહ્યું કે આ ભારત સરકારનો મામલો છે.
બ્રિટિશ પીએમના જવાબના સમાચારો ત્યાંનાં છાપાંઓમાં છપાયા છે.
અગાઉ કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ પણ ખેડૂત આંદોલનકારીઓ સાથે ભારતીય સુરક્ષાદળોના વલણને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેમની સરકાર હંમેશાં શાંતિપૂર્ણ વિરોધપ્રદર્શનની સમર્થક રહી છે.
ટ્રૂડોના નિવેદન પર ભારતીય વિદેશમંત્રાલય સખત વિરોધ નોંધાવ્યો હતો. ભારતીય વિદેશમંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે તેમના નિવેદનને અધકચરું અને સત્યથી વેગળું ગણાવ્યું હતું.
ભારતના વિદેશમંત્રાલયે કહ્યું હતું કે કૅનેડા પીએનું નિવેદન બિનજરૂરી અને એક લોકશાહી દેશના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરનારું છે.
ટ્રૂડોએ ગુરુનાનક જયંતી પર આપેલા ઑનલાઇન સંદેશમાં કહ્યું હતું કે જો તેઓ ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને નોટિસ નહીં કરે તો આ તેમની બેદરકારી હશે.
કૅનેડામાં અંદાજે પાંચ લાખ શીખ રહે છે.
જસ્ટિન ટ્રૂડોએ કહ્યું હતું, "સ્થિતિ ચિંતાજનક છે. અમે બધા પ્રદર્શનકારીઓના પરિવાર અને મિત્રોને લઈને ચિંતિત છીએ."
"હું તમને યાદ કરાવવા માગું છું કે કૅનેડા હંમેશાં શાંતિપૂર્ણ પ્રદર્શનના અધિકારીને લઈને સજાગ રહ્યું છે. અમે સંવાદના મહત્ત્વ પર ભરોસો કરીએ છીએ. અમે ભારતના અધિકારીઓને આને લઈને સીધી વાત કરી છે."
ટ્રૂડોના નિવેદન પર ભારતમાં સોશિયલ મીડિયામાં પણ ઘણી ચર્ચા થઈ હતી. કેટલાકે તેનું સમર્થન કર્યું, તો કેટલાકે તેને અન્ય દેશના આંતરિક મામલામાં હસ્તક્ષેપ ગણાવ્યું.
વરિષ્ઠ પત્રકાર વીર સંઘવીએ ટ્રૂડોના નિવેદનની ટીકા કરી હતી.
તેઓએ ટ્વીટ કર્યું, "ખેડૂતોના પ્રદર્શન મામલે મારા વિચાર ગમે તો હોય, પણ મને ટ્રૂડોનું નિવેદન પસંદ નથી. જસ્ટિન ટ્રૂડોને ખબર છે કે એક દેશના નેતાના રૂપમાં તેમના આ નિવેદનથી વૈશ્વિક સ્તરે કોઈ અસર નહીં થાય. તેઓ તેમના શીખ સમર્થકોને ખુશ કરી રહ્યા છે."
બ્રિટનની સંસદ સિવાય ભારતના ખેડૂત આંદોલનનો મુદ્દો રસ્તા પર પણ ઊઠ્યો હતો.
આ અઠવાડિયે શીખ પ્રદર્શનકારીઓએ લંડનમાં ભારતીય દૂતાવાસ સામે પ્રદર્શન કર્યું હતું. તેને લઈને ભારતીય દૂતાવાસે સખત વિરોધ નોંધાવ્યો હતો.
સાંસદોના હસ્તાક્ષર લીધા
બ્રિટનમાં અલગઅલગ પાર્ટીઓના કુલ 36 સાંસદોએ ત્યાંના વિદેશમંત્રી ડૉમિનિક રાબને કહ્યું કે તેઓ ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકર સાથે વાત કરે અને તેમને કહે કે ભારતમાં કૃષિકાયદા સામે ચાલી રહેલા આંદોલનથી બ્રિટિશ પંજાબીઓ પ્રભાવિત થઈ રહ્યા છે.
ગત શુક્રવારે આ સાંસદો તરફથી એક પત્ર જાહેર કરવામાં આવ્યો હતો. આ પત્રને લેબર પાર્ટીના બ્રિટિશ શીખ સાંસદ તનમનજિત સિંહ ઢેસીએ ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો.
આ પત્રમાં અન્ય ભારતીય મૂળના સાંસદોના પણ હસ્તાક્ષર હતા. હસ્તાક્ષર કરનારાઓમાં વીરેન્દ્ર શર્મા, સીમા મલ્હોત્રા અને પૂર્વ લેબર નેતા જર્મી કોર્બિન પણ સામલે હતાં.
બ્રિટિશ સાંસદોએ પત્રમાં વિદેશમંત્રી ડૉમિનિક રાવને ભલામણ કરી હતી કે તેઓ "પંજાબમાં બગડતી સ્થિતિ" પર ઝડપથી ભારતીય વિદેશમંત્રી સાથે વાત કરે.
પત્રમાં એ પણ પૂછવામાં આવ્યું હતું કે શું ફૉરેન, કૉમનવેલ્થ ઍન્ડ ડેવલપમૅન્ટ ઑફિસ (એફસીડીઓ)ને આ મામલે ભારત તરફથી કોઈ પત્ર મળ્યો છે.
પત્રમાં લખ્યું હતું, "એ એક સંયુક્ત પત્ર છે, જેમાં તમને ભલામણ કરાઈ રહી છે કે તમે ભારતીય વિદેશમંત્રી સાથે મુલાકાત કરો અને કૃષિકાયદાના વિરોધમાં થઈ રહેલા વિરોધપ્રદર્શનની જે અસર બ્રિટિશ પંજાબીઓ અને શીખો પર થઈ રહી છે તેને લઈને વાત કરો."
"બ્રિટનમાં વસેલા શીખો અને પંજાબ સાથે જોડાયેલા લોકો માટે આ એક મહત્ત્વનો મુદ્દો છે. ઘણા બ્રિટિશ શીખ અને પંજાબી આ મુદ્દાને લઈને પોતાના સાંસદો સાથે વાત કરી રહ્યા છે અને તેમનું કહેવું છે કે પંજાબમાં તેમના પરિજનો છે, તેમના વડવાઓની જમીનો છે અને વિરોધની અસર તેમના પર પડી રહી છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો