શ્રીલંકા : આર્થિક કટોકટીની વચ્ચે શ્રીલંકાના વડા પ્રધાન મહિંદા રાજપક્ષેએ રાજીનામું આપ્યું

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

શ્રીલંકામાં ચાલી રહેલી આર્થિક કટોકટીની વચ્ચે વડા પ્રધાન મહિંદા રાજપક્ષેએ રાજીનામું આપ્યું છે.

રાજપક્ષેના રાજીનામાની માગ સાથે શ્રીલંકાના અનેક લોકો આંદોલન કરી રહ્યા હતા.

ત્યારે શ્રીલંકામાં સોમવારે થયેલી હિંસા બાદ આખા દેશમાં કર્ફ્યુ લાગુ કરી દેવાયો છે.

શ્રીલંકામાં ચાલી રહેલી આર્થિક કટોકટીને કારણે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો પર સત્તાધારી પાર્ટીના સમર્થકોએ હુમલો કર્યો હતો.

સમાચાર સંસ્થા એએનઆઈ સ્થાનિક મીડિયા અહેવાલોને ટાંકીને લખે છે કે વડા પ્રધાન મહિંદા રાજપક્ષે રાજીનામું આપી દીધું છે.

રાજધાની કોલંબોમાં વડા પ્રધાન અને રાષ્ટ્રપતિના ઘરની બહાર ફાટી નીકળેલી આ હિંસામાં અંદાજે 20 લોકો ઘાયલ થયા છે. સાથે જ સત્તાધારી પાર્ટીના એક નેતાઓ કથિત રીતે પ્રદર્શનકારીઓ પર ગોળીઓ ચલાવી હતી અને પછી આપઘાત કર્યો હતો.

સત્તાધારી પાર્ટીના સમર્થકોએ પોલીસના બૅરિકેડ તોડીને લાકડીઓથી પ્રદર્શનકારીઓ પર હુમલો કર્યો ત્યારે પોલીસે ટિયરગૅસના સેલ છોડ્યા અને વૉટર કેનનનો ઉપયોગ કર્યો હતો.

માર્ચ મહિનાની શરૂઆતથી ભાવવધારા અને પાવરમાં કાપના કારણે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

સ્થાનિક હૉસ્પિટલના કહેવા પ્રમાણે અંદાજે 78 લોકો સોમવારે થયેલી હિંસામાં ઘાયલ થયા છે.

શ્રીલંકાના અનેક લોકો રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેનું રાજીનામું પણ માગી રહ્યા છે.

વર્ષ 1948માં બ્રિટનથી આઝાદ થયા બાદ શ્રીલંકા હાલ અત્યાર સુધીના સૌથી મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ઈંધણની આયાત માટે જરૂરી વિદેશી હૂંડિયામણની કમીને આનું મુખ્ય કારણ માનવામાં આવે છે.

વિરોધ પ્રદર્શન

કોલંબોના ગૉલફેસમાં ગત એક મહિનાથી વડા પ્રધાન અને રાષ્ટ્રપતિના રાજીનામાની માગ સાથે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા.

સોમવારે મહિંદા રાજપક્ષેના સમર્થકોએ કોલંબોમાં તેમના ઘર પાસે જમા થઈ ગયા અને તેમને રાજીનામું ન આપવા માટે કહ્યું.

આમાંથી કેટલાંક લોકોએ મહિંદા રાજપક્ષે સાથે મુલાકાત કરી અને તેમની સાથે વાત પણ કરી. પછી તે ત્યાંથી નીકળીને ગૉલ ફેસ ખાતે પ્રદર્શનસ્થળ તરફ કૂચ કરવાની જાહેરાત કરી હતી.

પોલીસે આ ઘટનાઓને કવર કરી રહેલા પત્રકારો પર પણ બળપ્રયોગ કર્યો. આ વચ્ચે મહિંદા રાજપક્ષેના સમર્થકો ગૉલ ફેસના પ્રદર્શન સ્થળ પર પહોંચી ગયા. જોકે સંરક્ષણ દળ તેમને રોકતા રહ્યાં.

જોત જોતામાં રાજપક્ષેના સમર્થકોએ અસ્થાયી તંબુઓમાં તોડફોડ કરી અને પ્રદર્શનકારીઓ પર હુમલા શરૂ કર્યા.

રાજપક્ષેના સમર્થકો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ભારે હિંસા થઈ. આ હિંસામાં 78 લોકો ઘાયલ થયા છે. હાલ સૈન્યને તહેનાત કરવામાં આવ્યું છે અને કોલંબોમાં કર્ફ્યુ લાગુ કરાયો છે.

'મહિન્દ્રા રાજપક્ષે: બડે બેઆબરૂ હોકર તેરે કૂચે સે હમ નિકલે...'

બીબીસી ન્યૂઝનાં એશિયા એડિટર આયેશા પેરેરા કહે છે કે મહિંદા રાજપક્ષેનું રાજીનામું એટલા માટે વાંકા નસીબનું ગણવામાં આવે છે, કેમકે તેઓ વર્ષોથી શ્રીલંકામાં સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે સત્તા પર હતા.

તેમના દાયકાઓના રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળમાં તેમણે 2009માં તામિળ ટાઇગર બળવાખોરોની હાર જોઈ હતી. પરંતુ આજે તેઓ પોતે ગંભીર માનવાધિકાર ઉલ્લંઘનના આરોપો અને ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા છે. જોકે તેઓ આ આરોપોને સતત નકારતા આવ્યા છે.

2015માં તેમની પ્રમુખ તરીકેની સળંગ ત્રીજી મુદતનો ઇનકાર કરવામાં આવ્યો હતો. પરંતુ પાંચ વર્ષ કરતાં ઓછા સમયમાં તેઓ વડા પ્રધાન તરીકે પાછા ફર્યા હતા અને નાના ભાઈ ગોટાબાયાનો જમણો હાથ ગણાતા હતા.

તેમના વર્તમાન વિરોધમાં ભ્રષ્ટાચારના આક્ષેપોએ બળતામાં ઘીનું કામ કર્યું. ઘણા લોકો માને છે કે મહિંદા રાજપક્ષેએ તેમના પરિવાર માટે, તેમના પોતાના આર્થિક લાભ માટે બે હાથે દેશની સંપત્તિ લૂંટી હતી.

સમગ્ર શ્રીલંકામાં વિરોધ પ્રદર્શનોમાં રાજપક્ષે પરિવારને દેશના "ચોરી કરેલા નાણાં" પરત કરવાની માંગ કરતા બિલબોર્ડ અને સૂત્રો જોવા મળ્યા હતા.

શ્રીલંકાના શાસક પક્ષના સાંસદે આત્મહત્યા કરી

સોમવારે શ્રીલંકાની સત્તાધારી શ્રીલંકા પોદુજાના પેરામુના પાર્ટીના સાંસદ અમરકીર્તી અથુકોરાલાએ આત્મહત્યા કરી લીધી હતી.

આ ઘટના રાજધાની કોલંબોની નજીકના ઉપનગર નિટ્ટમ્બુવા ખાતે બની હતી.

સોમવારે નિટ્ટમ્બુવા ખાતે સરકાર વિરોધી દેખાવો થયા હતા અને અમરકીર્તીની ગાડી પર હુમલો કર્યો હતો.

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે જ્યારે પ્રદર્શનકારીઓનો સામનો કરતા સાંસદે પોતાને ગોળી મારી દીધી હતી.

હોસ્પિટલના સૂત્રોનું કહેવું છે કે આ ઘટનામાં અન્ય એક વ્યક્તિનું પણ મોત થયું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો