You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુવરાજસિંહનો ઊર્જાવિભાગની પરીક્ષામાં ભરતીકૌભાંડનો આક્ષેપ, જિતુ વાઘાણીએ કહ્યું 'ગુજરાત સરકાર કરશે તપાસ'
આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા યુવરાજસિંહ જાડેજાએ મંગળવારે પત્રકારપરિષદ યોજીને ઊર્જાવિભાગની વિવિધ ભરતીઓમાં કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કર્યો છે.
યુવરાજસિંહના આરોપો બાદ રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ પત્રકારપરિષદ યોજી હતી અને પ્રસારણ માધ્યમો થકી સરકારને સંબંધિત આરોપો અંગે જાણ થઈ હોવાની વાત કરી હતી.
પત્રકારો સાથેની વાતચીતમાં વાઘાણીએ આ અંગે તપાસ કરવાની વાત કરી.
તેમણે જણાવ્યું, "આજથી શરૂ થયેલી પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપોની તપાસ કરવામાં આવશે."
"આ અંગે ઊર્જામંત્રીએ સાથે વાત થઈ. એમના વિભાગ દ્વારા હજુ બે દિવસ પરીક્ષા લેવાશે અને એમાં કોઈ પણ ત્રુટિ ના રહે એનું ધ્યાન રખાશે."શિક્ષણ મંત્રીએ એવું પણ જણાવ્યું કે મુખ્ય મંત્રીએ આક્ષેપોની તપાસ કરવા જે-તે વિભાગને જણાવ્યું છે.
વાઘાણીએ કહ્યું, "ગુજરાત ઍનર્જી ટ્રાન્સ્પૉર્ટેશન કૉર્પોરેશન લિમિટેડ (જેટકો)ની ભરતીમાં કૌભાંડ થયું હશે, તો તપાસ થશે."
વાઘાણીના જણાવ્યા અનુસાર જુનિયર સિવિલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરોની 352 જગ્યા માટે પરીક્ષા લેવાઈ છે. રાજ્યનાં જુદાં-જુદાં 22 કેન્દ્રો પર પરીક્ષા શરૂ થઈ છે અને તેમાં 34,684 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે.
યુવરાજસિંહે ઊર્જાવિભાગના યુજીવીસીએલ, પીજીવીસીએલ, ડીજીવીસીએલ તેમજ જેટકોની ભરતીપ્રક્રિયામાં કૌભાંડ થયા હોવાના આક્ષેપ કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અત્યાર સુધીમાં જે મામલા સામે આવ્યા છે એમાં ઑફલાઇન પરીક્ષાઓમાં કૌભાંડો થતા હતા, પરંતુ યુવરાજસિંહે ભરતી માટેની ઑનલાઇન પરીક્ષામાં પણ કૌભાંડ થયું હોવાના આરોપો લગાવ્યા છે.
તેમણે કૌભાંડમાં સામેલ વચેટિયા, ઉમેદવારો તેમજ ઊર્જાવિભાગના કેટલાક અધિકારીઓનાં નામ પણ મીડિયા સમક્ષ રજૂ કર્યાં હતાં.
એક જ ગામના 18 લોકો એક જ પરીક્ષામાં પાસ?
યુવરાજસિંહના જણાવ્યા પ્રમાણે થોડા સમય પહેલાં ઊર્જાવિભાગ દ્વારા લેવાયેલી પરીક્ષામાં બાયડ પાસેના કોયલા ગામના 18 ઉમેદવારોની પસંદગી થઈ હતી અને તે તમામ લોકો હાલમાં ફરજ બજાવી રહ્યા છે.
તેમના પ્રમાણે ભરતીપ્રક્રિયામાં કૌભાંડ વગર આમ થવું શક્ય નથી. આ જ રીતે અગાઉ યુજીવીસીએલની ભરતી માટેની ઓનલાઇન પરીક્ષામાં એક જ લાઇનમાં બેસતા અને સરખો સિક્વન્સ નંબર ધરાવતા સંખ્યાબંધ ઉમેદવારો પાસ થયા હતા.
તેમનું કહેવું છે કે 2021ની શરૂઆતમાં યોજાયેલી એક ભરતીપ્રક્રિયામાં પણ આ જ પ્રકારે ઉમેદવારો પાસ થયા હતા.
યુવરાજસિંહ મુજબ વર્ષ 2018માં યુજીવીસીએલ દ્વારા યોજાયેલી જુનિયર એન્જિનિયરોની ભરતી માટેની પરીક્ષામાં, જાન્યુઆરી 2021માં ડીજીવીસીએલ દ્વારા યોજાયેલી ભરતીપરીક્ષામાં અને હાલમાં ગેટકો દ્વારા યોજવામાં આવી રહેલી 352 જુનિયર એન્જિનિયરોની ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે.
આ પૈકીની મોટાભાગની પરીક્ષાઓ ઑનલાઇન હોવાથી પરીક્ષા લેતી મહારાષ્ટ્રની કંપની અને ઊર્જાવિભાગના કેટલાક અધિકારીઓની પણ સાંઠગાંઠ હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.
આપ નેતા યુવરાજસિંહના આરોપ મામલે હજી સુધી રાજ્ય સરકારે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો