You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિશ્વ હિન્દુ પરિષદની માગ, તબલીગી જમાત પર ભારતમાં પણ લાગે પૂર્ણ પ્રતિબંધ - BBC Top News
ઇસ્લામી સમૂહ તબલીગી જમાત પર હાલમાં સાઉદી અરેબિયામાં લાગેલા પ્રતિબંધ બાદ ભારતમાં પણ આ સમૂહ પર પ્રતિબંધની માગ ઊઠી છે.
દેશની હિન્દુવાદી સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદે ભારતમાં આ સમૂહ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાની માગ કરી છે.
આ અંગે વિશ્વ હિન્દુ પરિષદે ગુરુવારે આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોકકુમારના હવાલાથી સંસ્થાના ટ્વિટર હૅન્ડલ પર એક પ્રેસ-રિલીઝ જારી કરી છે.
આ રિલીઝમાં આલોકકુમારે સાઉદી અરેબિયા સરકારના નિર્ણયનું સ્વાગત કરીને તબલીગી જમાતને 'ઇસ્લામી કટ્ટરપંથની ફેક્ટરી' અને 'વૈશ્વિક આતંકવાદનું પોષક' ગણાવ્યું છે.
વીએચપીએ સરકાર પાસે તબલીગી જમાતને લઈને ચાર માગ મૂકી છે.
આલોકકુમારે કહ્યું, "લોકોના જીવનને સંકટમાં નાખનાર તબલીગી જમાતના આર્થિક સ્રોતોની જાણ કરીને તેમના બૅન્ક ખાતાં, કાર્યાલયો અને કાર્ય-ગતિવિધિઓ પર ભારત સમેત સંપૂર્ણ વિશ્વ સમુદાય દ્વારા પ્રતિબંધ લાદવામાં આવે. આ ઇસ્લામી કટ્ટરવાદી સંગઠન રશિયા સમેત વિશ્વના અનેક દેશોમાં પહેલેથી જ પ્રતિબંધિત છે."
પંચમહાલના ઘોઘંબાની ફેકટરીમાં બ્લાસ્ટ : ત્રણનાં મૃત્યુ
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઈ છે.
કંપનીના એચઆર વિભાગના અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે આ ઘટનામાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે અને પંદરેક લોકોને ઈજા થઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે એવું પણ જણાવ્યું હતું કે જે સમયે બ્લાસ્ટ થયો હતો, ત્યારે કંપનીમાં 300થી વધુ લોકો હતા.
ઈજાગ્રસ્તોને હાલોલની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સરકારી બૅન્કોના કર્મચારીઓ બે દિવસની હડતાલ પર
હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ, યુનાઈટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન દ્વારા બે દિવસીય હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. આ યુનિયન ઑલ ઈન્ડિયા બૅન્ક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA) અને નેશનલ ઑર્ગેનાઈઝેશન ઑફ બૅન્ક વર્કર્સ (NOBW) સહિત નવ યુનિયનોની એકછત્ર સંસ્થા છે.
બે સરકારી બૅન્કોના ખાનગીકરણ કરવાના સરકારના પગલાના વિરોધમાં આ હડતાલનું આહ્વાન કરવામાં આવ્યું છે. સરકારી બૅન્કોમાં કુલ નવ લાખ કર્મચારીઓ છે અને તે તમામ રાષ્ટ્રવ્યાપી હડતાલમાં ભાગ લેશે તેવો બૅન્ક યુનિયનોનો દાવો છે.
ઑલ ઈન્ડિયા બૅન્ક ઑફિસર્સ કૉન્ફેડરેશન (AIBOC) ના જનરલ સેક્રેટરી સૌમ્ય દત્તાએ જણાવ્યું હતું કે બુધવારે બૅન્ક યુનિયનો અને સરકાર વચ્ચે એક બેઠક યોજાઈ હતી, પરંતુ તે અનિર્ણિત રહી હતી જેના પછી હડતાલ સાથે આગળ વધવાની યોજના અમલમાં મૂકવામાં આવી હતી.
સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા (એસબીઆઈ)સહિતની મોટા ભાગની બૅન્કોએ પહેલાંથી જ તેમના ગ્રાહકોને ચેક ક્લિયરન્સ અને ફંડ ટ્રાન્સફર જેવી બેન્કિંગ કામગીરી પર હડતાલની સંભવિત અસર વિશે ચેતવણી આપી દીધી છે.
કોરોના સંક્રમણ: બ્રિટનમાં એક દિવસમાં રૅકોર્ડ 78 હજારથી વધુ કેસ નોંધાયા
બુધવારે બ્રિટનમાં કોરોનાના રૅકોર્ડ કેસ નોંધાયા હતા.
બુધવારે, 78,610 નવા કેસ નોંધાયા છે, જે એક દિવસમાં ચેપના સૌથી વધુ કેસ છે.
આ પહેલા આ વર્ષની જ શરૂઆતમાં 8 જાન્યુઆરીએ એક દિવસમાં સૌથી વધુ 68,053 કેસ નોંધાયા હતા અને તે સમયે બ્રિટનમાં લૉકડાઉન લાગુ હતું.
પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન ચીફ મેડિકલ ઑફિસર પ્રોફેસર ક્રિસ વ્હિટીએ ચેતવણી આપી હતી કે આવનારા સમયમાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે અને આ રેકૉર્ડ પણ તૂટી શકે છે. તેમણે લોકોને નાતાલના સંદર્ભમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અંગે સાવચેત રહેવા પણ કહ્યું હતું.
આ પ્રેસ કૉન્ફરન્સમાં હાજર રહેલા વડાપ્રધાન બોરિસ જોન્સને કહ્યું કે દરેક બૂસ્ટર ડોઝ લે તે ખૂબ જ જરૂરી છે. તેમણે ચેતવણી આપી હતી કે કેટલાક વિસ્તારોમાં સંક્રમણના કેસ બે દિવસમાં બમણા થઈ રહ્યા છે. તેમણે હોસ્પિટલોમાં બેડની સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે.
પ્રોફેસર વ્હિટીએ કહ્યું કે દેશ બે મહામારીનો સામનો કરી રહ્યો છે, એક "ખૂબ જ ઝડપથી ફેલાતા" ઓમિક્રોન વૅરિયન્ટનો અને બીજો ડેલ્ટા વૅરિયન્ટનો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો