ગુજરાતમાં કોરોનાના વધુ 8,920 કેસ, છેલ્લા 24 કલાકમાં મૃત્યુનો આંકડો 100 નજીક પહોંચ્યો

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના વધુ 8,920 કેસ નોંધાયા છે.

તેમજ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 94 દર્દીઓનાં કોરોનાને કારણે મૃત્યુ થયાં છે.

આ સાથે જ રાજ્યમાં કોરોનાથી મૃત્યુ થનારા દર્દીઓની સંખ્યા 5170 થઈ ગઈ છે.

રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ (કૉર્પોરેશન)માં 25, સુરત (કૉર્પોરેશન)માં 24, રાજકોટ (કૉર્પોરેશન)માં 8, વડોદરા (કૉર્પોરેશન)માં 8 દર્દીઓનાં મૃત્યુ થયાં છે.

ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણની અખબારીયાદી મુજબ, છેલ્લા 24 કલાકમાં 3,387 દર્દીઓ કોરોના વાઇરસથી સાજા થયા છે.

તેમજ અત્યાર સુધીમાં રાજ્યમાં 3,29,781 દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં કોરોના વાઇરસથી સાજા થવાનો દર હાલમાં 85.73 ટકા છે.

રેમડેસિવિર અમને 10 હજાર આપો, અમે વહેંચીશું- અમિત ચાવડા

ગુજરાતમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે ત્યારે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ લોકોને નિઃશુલ્ક વહેંચી શકાય તે માટે રાજ્ય સરકાર પાસે 10,000 રેમડેસિવિર ઇન્જેક્શનની માગણી કરી છે.

કોરોના વાઇરસના દરદીઓને મદદરૂપ થવા માટે કૉંગ્રેસ પક્ષે હેલ્પલાઇન નંબર 9099902255 પણ શરૂ કરી છે. અમિત ચાવડાએ જણાવ્યું કે હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરીને કોરોના વાઇરસ અંગેની કોઈ પણ માહિતી અને માર્ગદર્શન મેળવી શકે છે.

આ સાથે ચાવડાએ કોરોના વાઇરસની પરિસ્થિતિને જોતાં સર્વપક્ષીય બેઠક બોલાવવાની પણ માગ કરી છે.

આવડાએ જણાવ્યું કે કોરોના RT-PCR ટેસ્ટ માટે બૂથ ઊભા કરવા કૉંગ્રેસ ગુજરાત સરકારને બધી રીતે મદદ કરવા તૈયાર છે. કૉંગ્રેસ કાર્યાલયોમાં મેડિકલ સુવિધા ઊભી કરવા આ માટે કૉંગ્રેસ તૈયાર છે.

"અમદાવાદ અને સુરતમાં કોવિડ કૅર સેન્ટર કરવા માટે અમે સરકાર પાસે પરવાનગી માગી છે. આ બે શહેરો બાદ કૉંગ્રેસ પક્ષ રાજ્યના બીજા જિલ્લા અને તાલુકામથકોમાં પણ કોવિડ સેન્ટર શરૂ કરશે."

કોરોના સંક્રમિતનો 'મૃતદેહ જોઈએ તો બિલ ચૂકવો, નહીં તો ગાડી મૂકો'

ઇન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર વલસાડની એક હૉસ્પિટલે કોરોના વાઇરસના દરદીનું મૃત્યુ થતા પરિવારને મૃતદેહ આપ્યો ન હતો.

પરિવારના લોકોએ હૉસ્પિટલ પર આરોપ મૂક્યો છે કે હૉસ્પિટલે કહ્યું કે મૃતદેહ જોઈએ તો બિલની સંપૂર્ણ રકમ ચૂકવવી પડશે. પીડિત પરિવાર પાસે માત્ર કાર હતી અને હૉસ્પિટલના સત્તાધીશોએ આ ગાડીને ગૅરંટી તરીકે મુકાવી અને મૃતદેહ આપ્યો હતો.

પીડિત પરિવાર પોલીસસ્ટેશન પહોંચ્યો હઅને તેમણે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા પોલીસ હૉસ્પિટલ પહોંચી હતી અને એ બાદ હૉસ્પિટલે કાર પરત કરી હતી.

હૉસ્પિટલના મૅનેજિંગ ડિરેક્ટર અક્ષય નાદકાણી કહે છે કે થોડા દિવસ પહેલાં પણ આવી જ સ્થિતિ ઊભી થઈ હતી. ત્યારે દરદી સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા અને તેમના પરિવારની ગાડીને ગૅરંટીમાં મૂકવામાં આવી હતી. જ્યારે તેમણે સંપૂર્ણ બિલ ચૂકવ્યું, ત્યારે અમે તેમની ગાડી છોડી હતી.

કોરોનાથી મૃત્યુની સંખ્યા સરકારી આંકડા કરતાં વધુ છે?

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનના રોજના આંકડા પ્રમાણે 25 લોકોનાં મૃત્યુ થાય છે. જોકે સંખ્યા તેનાથી પણ વધારે છે.

વડોદરાની એસએસજી હૉસ્પિટલના આઈસીયુમાં છેલ્લા નવ દિવસમાં 180 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે વડોદરાની જીએમઈઆરએસ મેડિકલ કૉલેજમાં 7 એપ્રિલથી હાલ સુધીમાં 90 લોકોનાં મૃત્યુ થયાં છે. તેના આઈસીયુમાં રોજના 15 જેટલા દરદીઓનાં મૃત્યુ થાય છે.

ભરૂચ જિલ્લામાં સાત એપ્રિલથી હાલ સુધીમાં 260 દરદીઓની અંતિમવિધિ કોરોના વાઇરસ માટે નક્કી કરાયેલા સ્મશાનમાં કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં મહામારીની શરૂઆતથી હાલ સુધીમાં 36 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે.

નર્મદા નદીના કાંઠે અંતિમવિધિના કામની દેખરેખ રાખતા ધર્મેશ સોલંકી કહે છે, "છેલ્લા એક અઠવાડિયાથી રોજના 22-25 મૃતદેહ આવે છે."

અમદાવાદમાં છેલ્લા ચાર દિવસથી દરરોજ 100 મૃતદેહની અંતિમવિધિ કરવામાં આવે છે.

રાજકોટ જિલ્લાની વિવિધ કોરોના ડેઝિગ્નેટેડ હૉસ્પિટલમાં 8 એપ્રિલથી 14 એપ્રિલની વચ્ચે 298 દરદીઓનાં મૃત્યુ થયાં છે. ઑડિટ કમિટીએ 57 લોકોને કોરોના વાઇરસથી મૃત્યુ પામ્યા હોય તેમ ગણ્યા છે.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે "ICMRની ગાઇડલાઇન પ્રમાણે, જો દરદી કોમોર્બિડ હોય, તો ઍક્સપર્ટની કમિટી મૃત્યુનું પ્રાઇમરી અને સેકન્ડરી કારણ નક્કી કરે છે."

તેમણે વધુમાં કહ્યું, "જો કમિટી નક્કી કરે છે કે જો મૃત્યુનું મુખ્ય કારણ હાર્ટ-ઍટેક હોય, અને દરદી ઇન્ફૅક્ટેડ હોય તો, આ પ્રકારના મૃત્યુને કોરોના વાઇરસમાં ગણતા નથી."

માર્ચ મહિનામાં હોલસેલ ફુગાવો છેલ્લાં આઠ વર્ષમાં સૌથી વધારે

મિન્ટના અહેવાલ અનુસાર જથ્થાબંધ ફુગાવોનો છેલ્લાં આઠ વર્ષની સરખામણીમાં સૌથી ઊંચે પહોંચ્યો છે.

પેટ્રોલના વધેલા ભાવ અને ઊંચી ઇનપુટ રકમને કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

આ ઉપરાંત લૉકડાઉન જેવાં પગલાં લેવાને કારણે ફુગાવોમાં વધારો જોવા મળી રહ્યો છે.

ઔદ્યોગિક વિભાગ દ્વારા જાહેર કરાયેલા હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ અનુસાર મોંઘવારી માર્ચમાં 7.39 ટકાએ પહોંચી છે. તે ફેબ્રુઆરીમાં 4.17 ટકાએ હતી.

માર્ચમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં 10.25 ટકા, જ્યારે ફૂડ આઇટમમાં 13.1 ટકા અને ફ્રૂટમાં 16.3 ટકાનો વધારો નોંધાયો હતો.

કુંભના બીજા સૌથી મોટા અખાડાના મહામંડલેશ્વરનું કોરોનાથી મૃત્યુ

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર કુંભના બીજા સૌથી મોટા ગણાતા મધ્યપ્રદેશના નિરવાણી અખાડાના મહામંડલેશ્વર કપિલ દાસનું કોરોના સંક્રમણના કારણે નિધન થયું છે અને વધતા કેસના કારણે અખાડો કુંભ મેળામાંથી બહાર નીકળી ગયો છે.

નિરંજની અખાડાના મહંત રવીન્દ્ર પુરીએ કહ્યું, "હરિદ્વારમાં તેમના કૅમ્પમાં રહેલા 'મોટા ભાગના સંતો અને તેમના ફૉલોઅર્સ'ને કોરોના વાઇરસનાં લક્ષણો છે."

એક સિનિયર અધિકારીના કહેવા પ્રમાણે હરિદ્વારમાં 68 ઉચ્ચ સાધુઓ 5 એપ્રિલથી 14 એપ્રિલ દરમિયાન કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે.

કોરોનાના વધતા કેસ વચ્ચે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી ECની સર્વદળીય બેઠક

કોરોના વાઇરસના વધતા કેસની વચ્ચે સુરક્ષિત રીતે ચૂંટણીનું આયોજન કરવા સંદર્ભે પશ્ચિમ બંગાળમાં તમામ પક્ષની એક મીટિંગ ચૂંટણી પંચે બોલાવી છે.

આશા કરવામાં આવી રહી છે કે આ બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો કરવામાં આવી શકે છે.

ચૂંટણી પંચે તમામ રાજકીય દળોને આ બેઠકમાં પોતાના એક એક પ્રતિનિધિ મોકલવા માટે કહ્યું છે. આ બેઠકમાં પશ્ચિમ બંગાળના બાકી ચાર તબક્કા પર ચૂંટણીની ચર્ચા કરવામાં આવશે.

પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ ગુરુવારે સાંજે ટ્વીટ કરીને કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાને રાખીને આઠ તબક્કામાં ચૂંટણી કરાવવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો અને બાકી તમામ બેઠક પર એકસાથે ચૂંટણી યોજાય તેવી માગ કરી હતી.

તેમણે માગ કરી કે બાકીના ચાર તબક્કાની ચૂંટણી એક જ દિવસે યોજાઈ જાય.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો