ભારત વિદેશમાં બનેલી કોવિડ વૅક્સિનોના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપશે - BBC TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

કેન્દ્ર સરકારે વિદેશમાં બનેલી કોવિડ વૅક્સિનને આપાતકાલીન ઉપયોગ માટેની મંજૂરી આપવાની પ્રક્રિયાની ગતિ વધારી દીધી છે.

આ પ્રક્રિયા એ રસીઓ માટે અપનાવવામાં આવી રહી છે, જેને વિદેશોમાં ઇમરજન્સીની સ્થિતિમાં ઉપયોગમાં લેવાની પરવાનગી અપાઈ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે કોરોનાના રસીકરણના અભિયાનનો વિસ્તાર અને ઝડપ વધારવાના ઉદ્દેશથી દેશમાં ઉપલબ્ધ રસીની સંખ્યા વધારવામાં આવી રહી છે.

મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું, "ભારતના પ્રિન્સિપલ સાઇન્ટિફિક ઍડવાઇઝરના નેતૃત્વમાં એક ટાસ્ક ફૉર્સની રચના કરવામાં આવી છે, જે રસીઉત્પાદકનો સંશોધન અને વિકાસ માટે પ્રોસ્તાહિત કરે છે."

સરકારનું કહેવું છે કે ભારત એવો પ્રથમ દેશ છે જ્યાં દેશમાં બે રસીઓ ઘરેલુ રસીકરણ માટે ઉપલબ્ધ છે અને આ આ જ રણનીતીને લીધે છે.

ટાસ્ક ફૉર્સે પોતાની ભલામણમાં કહ્યું છે કે વિદેશમાં કોરોનાની જે રસીઓ વિકસીત કરાઈ છે અને જેનું ઉત્પાદન કરાઈ રહ્યું છે, તેને ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી શકાય છે.

રેમડેસિવિર બાદ ઑક્સિજનની તંગી? અમદાવાદ સિવિલ હૉસ્પિટલ બહાર લાઇનો લાગી

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર અમદાવાદમાં કોરોના વાઇરસની સારવાર કરતી ડેઝિગ્નેટેડ હૉસ્પિટલમાંથી દરદીઓને સોમવારે સિવિલ હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. અખબારને સૂત્રોએ જણાવ્યું હતું કે 40 દરદીઓને લાવવામાં આવ્યા હતા.

અમદાવાદ અને સુરતમાં ચાર-પાંચ દિવસથી રેમડેસિવિર માટે લાંબી લાઇનો લાગે છે, જ્યારે હવે ઑક્સિજનનો વારો હોય એવું લાગે છે.

સરકારના તમામ પ્રયાસો કર્યાના દાવા છતાં અમદાવાદની હૉસ્પિટલોનું કહેવું છે કે તેમને ઑક્સિજન ન મળવાથી તેઓ દરદીઓને ના પાડી રહ્યા છે.

અમદાવાદમાં એક ડૉક્ટરે નામ ન આપવાની શરતે કહ્યું, "મારા ત્યાં 50 દરદીઓને દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી 35ને સતત ઑક્સિજન ફ્લોની જરૂર પડે છે."

"દરેક મિનિટે 60 લિટર ઑક્સિજન વપરાય છે. મારી પાસે કેટલીક ઇન્ક્વાયરી આવી હતી, પરંતુ મેં તેમને ના પાડી કે જ્યાં સુધી આ દરદી ડિસ્ચાર્જ નહીં થાય ત્યાં સુધી અમે નવા દરદીને દાખલ નહીં કરીએ."

એક ખાનગી ઉત્પાદકે અખબારને કહ્યું કે ખૂબ જ માગના કારણે કેટલાંક ખાનગી યુનિટ રાઉન્ડ ધ ક્લૉક કામ કરી રહ્યાં છે. પરંતુ ઉત્પાદન યોગ્ય પ્રમાણમાં થતું નથી.

અનેક વિક્રેતાઓ પ્રૅશરમાં છે, ઉપરાંત તેમને ડર છે કે 12 કલાકથી વધારે કામ કરાવવાથી તેમના સિનિયર અધિકારીઓ નોકરી છોડી દેશે.

મોરબીમાં ડૉક્ટરને ધમકી, 'મારા પિતાને રેમડેસિવિર આપો નહિતર મારી નાખીશ'

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર મોરબી સિવિલ હૉસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઑફિસરને એક અજાણી વ્યક્તિએ ફોન કરીને ધમકી આપી કે જો તેમના પિતાને રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં નહીં આવે તો તે ડૉક્ટરને મારી નાખશે.

મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડૉ. કાંતિલાલ સરદાવાએ ફરિયાદ નોંધાવી હતી.

ડૉ. કાંતિલાલની ફરિયાદ પ્રમાણે રવિવારે રાત્રે નવ વાગ્યે ફોન કરી એક અજાણી વ્યક્તિએ રેમડેસિવિર ઇન્જેક્શનની માગણી કરી હતી.

ફોન પર રહેલી વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેના પિતાજી હાલ જામનગરની હૉસ્પિટલમાં છે અને તેમને રેમડેસિવિર ઇન્જેક્શનની તાત્કાલિક જરૂર છે.

ત્યારબાદ વ્યક્તિએ ડૉક્ટરને ધમકી આપી કે જો તેમના પિતાને રેમડેસિવિર ઇન્જેક્શન ન મળ્યાં અને કાંઈ થયું તો તે ડૉક્ટરને મારી નાખશે.

પોલીસે હાલ આ કેસમાં તપાસ કરી રહી છે અને જે વ્યક્તિએ કોલ કર્યો હતો તેને ટ્રેસ કરી રહી છે.

કોરોના વાઇરસથી મૃત્યુમાં વધારો થતાં સુરતમાં 15 વર્ષથી બંધ સ્મશાન શરૂ કરાયું

ઇન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર ગુજરાતમાં વધી રહેલા કોરોના વાઇરસનાં મૃત્યુના કારણે સુરતમાં 15 વર્ષથી બંધ સ્મશાનગૃહને ફરી શરૂ કરાયું છે.

સુરતમાં દરરોજ 100 લોકોના મૃતદેહની અંતિમવિધિ કરવામાં આવે છે. સુરતમાં સ્મશાનમાં અંતિમવિધિ માટે 8થી 10 કલાકની જરૂર પડે છે. આ કારણે વહીવટી તંત્રને સ્મશાનને ફરી શરૂ કરવાની જરૂર ઊભી થઈ છે.

ભાજપના કાઉન્સિલર નિલેશ પટેલે જણાવ્યું હતું કે વધારે પડતાં લોકો આવતા હોવાથી તેનું ભારણ ઘટાડવા માટે આ સ્મશાન શરૂ કરવામાં આવ્યું છે.

બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં અડવાણી સહિતના નેતાઓને મુક્ત કરનાર જજ બન્યા નાયબ લોકાયુક્ત

ઉત્તર પ્રદેશ સરકારે નિવૃત જજ સુરેન્દ્રકુમાર યાદવની રાજ્યના ત્રીજા નાયબ લોકાયુક્ત તરીકે નિમણૂક કરાઈ છે. સોમવારે તેમણે પદના શપથ લીધા હતા.

નિવૃત ડિસ્ટ્રિક્ટ જજ સુરેન્દ્રકુમાર યાદવે લખનૌસ્થિતિ વિશેષ ન્યાયાલય (અયોધ્યા પ્રકરણ)ના જજ તરીકે બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં અડવાણી સહિત 32 આરોપીઓને મુક્ત કર્યા હતા.

પૂર્વ ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લાના પખાનપુર ગામના રામકૃષ્ણ યાદવના ઘરે જન્મેલા સુરેન્દ્રકુમાર યાદવ 31 વર્ષની ઉંમરમાં રાજ્યની ન્યાયિક સેવામાં પસંદગી પામ્યા હતા.

ફૈઝાબાદમાં એડિશનલ મુન્સિફના પદેથી તેમના કૅરિયરની શરૂઆત થઈ હતી.

તેમના જજ તરીકેના સમયગાળા દરમિયાન તેમણે ગાઝીપુર, હરદોઈ, સુલ્તાનપુર, ઇટાવા, ગોરખપુરના રસ્તે થઈને રાજધાની લખનૌ જિલ્લાના જજના પદ સુધી પહોંચ્યા.

ચૂંટણી પંચે મમતા બેનરજી પર 24 કલાક ચૂંટણી પ્રચાર કરવા પર મૂક્યો પ્રતિબંધ

એનડીટીવીના અહેવાલ અનુસાર ચૂંટણી પંચે મમતા બેનરજી પર પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં 24 કલાક માટે પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

ચૂંટણીની આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતાની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

મમતા પર મુસ્લિમ મતદારો અને કથિત રીતે લોકોને કેન્દ્રીય સુરક્ષા દળોની સામે 'વિદ્રોહ' કરવા માટે ઉશ્કેરણી કરવાનો આરોપ છે. તેમની સામે ચૂંટણી પંચે છેલ્લાં બે અઠવાડિયાંમાં નોટિસ પણ જાહેર આપી હતી.

ચૂંટણી પંચના 24 કલાક પ્રતિબંધના નિર્ણયને મમતા બેનરજીએ અલોકતાંત્રિક અને ગેરબંધારણીય કહેતા તેની સામે મંગળવારે કોલકાતામાં ધરણા પર બેસવાની જાહેરાત કરી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો