ભારત અને અમેરિકા વચ્ચે નૌકાદળ અભિયાનને લઈને શું મતભેદ થયો?

    • લેેખક, રાઘવેન્દ્ર રાવ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

આ અઠવાડિયે બનેલી એક ઘટનામાં અમેરિકન નૌકાદળનું જહાજ જૉન પૉલ જોન્સ (ડીડીજી 53)એ લક્ષદ્વીપ જૂથથી લગભગ 130 નોટિકલ માઇલ પશ્ચિમમાં ભારતના એક્સક્લુસિવ આર્થિક ક્ષેત્રમાં અભિયાન ચલાવ્યું હોવાનો દાવો કર્યો હતો.

આ કાર્યવાહી સાત એપ્રિલના રોજ કરવામાં આવી હતી અને ખાસ વાત એ છે કે તે ભારતની પરવાનગી લીધી વગર કરવામાં આવી હતી.

અમેરિકન નૌકાદળના સાતમા કાફલા દ્વારા આ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે આ માટે તેમની પાસે અધિકાર પણ છે અને સ્વતંત્રતા પણ.

સાતમો કાફલો અમેરિકન નૌકાદળનો સૌથી મોટો તહેનાતીવાળો કાફલો છે અને તેની જવાબદારીવાળા વિસ્તારમાં પશ્ચિમ પ્રશાંત અને હિંદ મહાસાગરનો સમાવેશ થાય છે.

પોતાના સત્તાવાર નિવેદનમાં સાતમા કાફલાએ આ કાર્યવાહી આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર પ્રમાણે કરી હોવાનું જણાવ્યું છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે "ભારતને તેના વિશેષ આર્થિક ક્ષેત્ર અથવા મહાદ્વીપના વિસ્તારમાં લશ્કરી કવાયત અથવા યુદ્ધાભ્યાસ માટે પૂર્વ સંમતિની જરૂર છે, એ દાવો જે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ અસંગત છે."

નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે "ફ્રીડમ ઑફ નૅવિગેશન ઑપરેશન મુજબ, આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ અધિકારો, સ્વતંત્રતા અને દરિયાના કાયદાકીય ઉપયોગને અકબંધ રાખવામાં આવ્યું છે અને ભારતના વધુ પડતાં દરિયાઈ દાવાઓને પડકારવામાં આવ્યા છે."

સાતમા કાફલાએ એમ પણ કહ્યું કે અમેરિકન નૌકાદળ દરરોજ ઇન્ડો-પેસેફિક ક્ષેત્રમાં કામ કરે છે. દરેક ઑપરેશન આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે હાથ ધરવામાં આવ્યું છે અને સૂચવે છે કે જ્યાં પણ આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે પરવાનગી હશે ત્યાં અમેરિકા ઊડશે, જહાજ લઈને જશે અને કાર્યવાહી કરશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે "અમેરિકા નિયમિતપણે અને સામાન્ય રીતે ફ્રીડમ ઑફ નૅવિગેશનનાં ઑપરેશન કરતું રહે છે. આ અગાઉ પણ થયું છે અને ભવિષ્યમાં પણ કરવામાં આવશે. ફ્રીડમ ઑફ નૅવિગેશન ઑપરેશન ન તો એક દેશ વિશે છે કે માત્ર રાજકીય નિવેદનો આપવા અંગે."

શું ભારતની પરવાનગી વગર બીજા દેશનાં જહાજો આવી શકે?

ફ્રીડમ ઑફ નૅવિગેશનને આંતરરાષ્ટ્રીય કાયદામાં માન્યતા મળી છે. પરંતુ આ કાયદામાં ઘણી શરત મૂકવામાં આવી છે અને વિવાદ તે બાબતને લઈને છે કે શું ભારતની પરવાનગી વગર તેના વિશિષ્ટ આર્થિક ઝોનમાં બીજા દેશનું જહાજ આવી શકે છે?

અમેરિકા કહે છે કે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ આ તેનો અધિકાર છે, પરંતુ ભારતના દરિયાઈ કાયદા તેની પરવાનગી આપતા નથી.

ભારત કહે છે કે તેની પરવાનગી વગર કોઈ પણ વિદેશી જહાજ ભારતના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાંથી પસાર થઈ શકે નહીં.

ભારતનું શું કહેવું છે?

ભારતના વિદેશ મંત્રાલયે આ બાબતે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે, સમુદ્રના કાયદા અંગે સંયુક્ત રાષ્ટ્ર કન્વેન્શનમાં ભારત સરકારની સ્થિતિ એ છે કે સંમેલન બીજાં રાજ્યોને વિશેષ આર્થિક ક્ષેત્રમાં અને મહાદ્વીપમાં લશ્કરી કવાયત અથવા યુદ્ધાભ્યાસ કરવાની મંજૂરી આપતી નથી, ખાસ કરીને એ અભ્યાસ જેમાં દરિયાઈ રાજ્યની સંમતિ વિના હથિયારો અથવા વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવે."

વિદેશ મંત્રાલયે કહ્યું, "યુએસએસ જૉન પૉલ જોન્સ દ્વારા પર્સિયન ગલ્ફથી મલકાના સ્ટ્રેટ તરફ સતત નજર રાખવામાં આવી હતી. અમે રાજદ્વારી ચેનલો મારફત અમેરિકન સરકાર સમક્ષ આ ઘટના અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી છે."

ભારતીય નૌકાદળના નિવૃત્ત કૉમોડોર સી. ઉદય ભાસ્કર સોસાયટી ફૉર પબ્લિક સ્ટડીઝના ડિરેક્ટર છે.

તેઓ કહે છે કે, "સંયુક્ત રાષ્ટ્ર કન્વેન્શન ઑન ધ લૉ ઑફ ધ સીઝનું ભારત અને અમેરિકાએ જુદી-જુદી રીતે અર્થઘટન કર્યું છે. અમારે એ તપાસ કરવું જોઈએ કે શું આ કવાયત દરમિયાન અમેરિકાએ શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો કે કેમ, કારણ કે ત્યારે આ કહેવાતા અભ્યાસની પ્રકૃતિ બદલાઈ જાય છે."

તેઓ વધુમાં જણાવે છે કે એક સ્થિતિ 'ઈનોસેન્ટ પેસેજ'ની હોય છે, જેમાં કવાયત કરતાં પહેલાં જે રાજ્યના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાંથી પસાર થવાના હોય તે રાજ્યને અગાઉથી જાણ કરવામાં આવે છે. કવાયત દરમિયાન જો ગોળીબાર કરવો પડે ત્યારે તમારે નોટેમ એટલે નોટિસ ટૂ મેરિનર્સ બહાર પાડવાનું હોય છે."

ભાસ્કરના કહેવા પ્રમાણે, "આ કહેવુ મુશ્કેલ છે કે આ બધામાં કેટલું થયું છે, કારણ કે જો ફાયરિંગ કરવામાં આવ્યું હોત તો આ કવાયતનું સ્વરૂપ બદલી નાખ્યું હોત."

તેઓ કહે છે, "મૂળ મુદ્દો એ છે કે દરિયાઈ કાયદાની બાબતે ભારત અને અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રની દરિયાઈ કાયદાની જુદી રીતે અર્થઘટન કર્યું છે અને આ અમેરિકા માટે એક વિચિત્ર પરિસ્થિતિ છે, કારણ કે તેમને સંયુક્ત રાષ્ટ્રના કન્વેન્શનમાં સુધારો કર્યો નથી.

પરંતુ તેઓ ભારપૂર્વક કહે છે કે તેઓ તમામ પ્રોટોકૉલોનું પાલન કરે છે. તેથી આખી વાત થોડી અસ્પષ્ટ લાગે છે."

વિશિષ્ટ આર્થિક ઝોન શું છે?

વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર 200 નોટિકલ માઈલ એટલે કે કોઈ પણ દેશના દરિયાકાંઠેથી 370 કિલોમીટર દૂર છે.

અમેરિકા નૌકાદળના સાતમા કાફલાએ માલદીવની દરિયાઈ સીમા અને એક્સક્લુસિવ આર્થિક ક્ષેત્રમાંથી પસાર થતાં સાત એપ્રિલમાં આવી જ કાર્યવાહી કરી હતી.

આ વિકાસ ચોક્કસપણે ભારત માટે આઘાતજનક છે, કારણ કે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ નજીક

ના સાથી છે અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવને રોકવા માટે સાથે મળીને કામ કરે છે.

બંને દેશો ક્વાડ ગ્રૂપના સભ્યો પણ છે, જેનો એક મુખ્ય ઉદ્દેશ ચીનના વધતા પ્રભાવને રોકવાનો છે. આવી રીતે ભારત માટે આ કાર્યવાહી કરવામાં આવી છે અને જે ભાષામાં તેની જાહેરાત કરવામાં આવી છે તેની અવગણના કરવી મુશ્કેલ બનશે.

અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે

ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ નૌસેના પ્રમુખ અરુણ પ્રકાશે ટ્વીટ કર્યું હતું કે ભારતે 1995ની સાલમાં સંયુક્ત રાષ્ટ્રના સમુદ્રી કાયદાને બહાલી આપી હતી અને યુએસ તે કરવામાં નિષ્ફળ ગયું છે.

આ બહુ ખરાબ છે કે સાતમા કાફલાએ આપણા દેશના કાયદાનું ઉલ્લંઘન કરીને ભારતીય આર્થિક ક્ષેત્રમાં ફ્રીડમ ઑફ નેવિગેશન મિશન ચલાવ્યું છે. તેઓએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે તેઓ તેને પ્રોત્સાહન આપી રહ્યા છે.

અરુણ પ્રકાશે એમ પણ કહ્યું હતું કે દક્ષિણ ચાઈના સમુદ્રમાં યુ.એસ. જહાજો દ્વારા ફ્રીડમ ઑફ નૅવિગેશન ઑપરેશન (તેઓ કેટલા નિષ્ફળ હોવા છતાં પણ) ચીનને સંદેશો પહોંચાડવા માટે છે કે દક્ષિણ ચીન સાગરની આસપાસ સ્થિત વિશિષ્ટ આર્થિક ક્ષેત્રનો એક "હદથી મોટો સમૃદ્રી દાવો" છે.

પ્રકાશે એ પણ પૂછ્યું કે ભારતને સાતમા કાફલાનો સંદેશ શું છે?

સાતમો કાફલો શું છે?

તે યુએસ નેવીની અગાઉથી જમાવટ કરવાનો સૌથી મોટો કાફલો છે. કોઈપણ સમયે, આ કાફલામાં 50 થી 70 જહાજો અને સબમરીન, 150 વિમાન અને લગભગ 20,000 નૌકાદળનો સમાવેશ થાય છે.નૌકાદળના ફ્લેગ ઓફિસર દ્વારા આ કાફલાને ત્રણ સ્તરો પર કમાન્ડ આપવામાં આવ્યો છે.સાતમો કાફલો 124 મિલિયન ચોરસ કિલોમીટરથી વધુનો વિસ્તાર ધરાવે છે, જે આંતરરાષ્ટ્રીય તારીખથી ભારત-પાકિસ્તાન સરહદ સુધી અને ઉત્તરમાં કુરિલ આઇલેન્ડથી દક્ષિણમાં એન્ટાર્કટિક સુધી ફેલાયેલો છે.સાતમા કાફલાના ofપરેશન ક્ષેત્રમાં. 36 દેશોનો સમાવેશ થાય છે અને વિશ્વની 50 ટકા વસ્તીનો સમાવેશ થાય છે. સાતમા ફ્લીટે 75 વર્ષોથી ઇન્ડો પેસિફિકમાં હાજરી જાળવી રાખી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો