You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડૂત આંદોલન : 'રાકેશ ટિકૈતનાં એકએક આંસુનો બદલો લેવામાં આવશે'
દિલ્હીની સરહદે ખેડૂતો કેન્દ્ર સરકારના નવા ત્રણ કૃષિકાયદા સામે વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. આજે પણ દિલ્હીની સરહદો પર તણાવ ચાલુ રહ્યો હતો.
ખેડૂતનેતા રાકેશ ટિકૈત અને ખેડૂતોના સમર્થનમાં મુઝફ્ફરનગરમાં મહાપંચાયત યોજાઈ રહી છે.
મુઝફ્ફરનગરથી બીબીસીના સહયોગી પત્રકાર સમીરાત્મજ મિશ્રે જણાવ્યું હતું કે મુઝફ્ફરનગરમાં કેટલાક લોકો એકઠા થયા હતા.
તેમનું કહેવું હતું, "રાકેશ ટિકૈતનાં આંસુઓનું પૂર આ જનતા છે. રાકેશ ટિકૈતનાં એકએક આંસુનો બદલો લેવામાં આવશે."
એક યુવક પ્રિન્સ ચૌધરીએ કહ્યું, "સરકાર ખેડૂતો વચ્ચે ભાગલા પાડવા ઇચ્છે છે. દોષિતો પર સરકાર એફઆઈઆર નથી કરી રહી, જે નિર્દોષ છે તેમના પર એફઆઈઆર કરી રહી છે. સરકારે આ રણનીતિ એટલા માટે તૈયાર કરી છે કે ધરણાં ખતમ કરી દેવાય."
સ્થાનિક લોકોએ કહ્યું, "તમામ ઘરેથી દરેક વ્યક્તિને લઈને દિલ્હી જઈશું. હવે દિલ્હીથી ભગાવી નહીં શકે. દુનિયાની કોઈ તાકાત પાછળ નહીં હઠાવી શકે."
લોકો અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ
બીબીસી હિંદીના ફેસબુક પેજ પર અરવિંદ છાબડાએ લાઇવ વીડિયો રિપોર્ટિંગ કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું હતું કે સિંઘુ બૉર્ડર પર કેટલાક લોકો આંદોલનને હઠાવવા માટે આવ્યા હતા. પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા હતા.
એક પોલીસકર્મીને ઈજા થઈ હોવાનું બીબીસી સંવાદદાતાએ નજરે જોયું. ખેડૂતોને હઠાવવાની માગ સાથે પહોંચેલા લોકો અને પ્રદર્શનકારી ખેડૂતોની વચ્ચે ઘર્ષણ છે.
પોલીસ બન્ને લોકોને પરત હઠાવી રહી છે અને તણાવપૂર્ણ સ્થિતિ હાલ પણ જોવા મળી રહી છે. આંદોલનકારીઓનો આરોપ છે કે આ ભાજપ અને સરકાર કરાવી રહી છે.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર દિલ્હી અને હરિયાણાની સરહદે આવેલી સિંઘુ સરહદે લોકોનું એક જૂથ આવી પહોંચ્યું હતું અને તેમણે પ્રદર્શનકારીઓને હઠાવવાની પણ માગ કરી હતી.
પ્રદર્શન દરમિયાન પથ્થરમારો થયો જે પછી સુરક્ષોદળો પર આંસુ ગેસના સેલ છોડવામાં આવ્યા હતા અને લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો.
સમાચાર સંસ્થા એએનઆઈએ વિરોધપ્રદર્શનનો વીડિયો શૅર કર્યો હતો.
છોટુ વસાવાની ચીમકી
આદિવાસી નેતા છોટુભાઈ વસાવાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે જો રાકેશ ટિકૈતને કંઈ પણ થયું તો આખો આદિવાસી સમાજ રસ્તા પર ઊતરશે.
તેમણે એમ પણ ચેતવણી આપી હતી કે ગુજરાતમાં ગમે ત્યાં આંદોલન શરૂ થઈ શકે છે.
ગુજરાતથી ધારાસભ્ય અને આદિવાસીઓના નેતા છોટુભાઈ વસાવાએ ટ્વીટ કર્યું હતું કે, "જો ખેડૂતોના મસીહા મહેન્દ્રસિંહ ટિકૈતના પુત્ર રાકેશ ટિકૈતને એક ઘસરકો પણ થયો તો આખો આદિવાસી સમુદાય રસ્તા પર ખુલ્લો વિરોધ કરશે. આ સરકારને ચેતવણી છે. આંદોલન ક્યારેય પણ ગુજરાતમાં શરૂ થઈ શકે છે."
છોટુભાઈ વસાવા ભારતીય ટ્રાયબલ પાર્ટીના પ્રમુખ છે. ભારતીય ટ્રાઇબલ પાર્ટીની ગુજરાતમાં બે સીટ છે.
શશિ થરૂર, રાજદીપ સરદેસાઈ સહિત બીજા લોકો પર રાજદ્રોહ
ઉત્તર પ્રદેશ પોલીસે ગુરુવારે કૉંગ્રેસના સાંસદ શશિ થરૂર અને પત્રકાર સામે ખેડૂતોની ટ્રેકટર રેલી દરમિયાન ખોટી માહિતી ફેલાવવા એફઆઈઆર દાખલ કરી છે.
શશિ થરૂર ઉપરાંત ઇન્ડિયા ટુડેના પત્રકાર રાજદીપ સરદેસાઈ, નેશનલ હેરાલ્ડના મૃણાલ પાંડે, ક્વાયમી આવાઝના ઝફર આગા અને ધ કાંરવાનના અનંત નાથ અને વિનોદ જોસે સામે પણ કેસ કરવામાં આવ્યો છે.
એફઆઈઆરમાં 11 આઈપીસીની કલમ દાખલ કરાઈ છે. જેમાં રાજદ્રોહ, બે જૂથો વચ્ચે દુશ્મનાવટ ઊભી કરવી, ધાર્મિક ભાવનાઓને ખોટા ઇરાદાથી ભડકાવવી, આંતરરાષ્ટ્રીય અપમાન કરવું, ક્રિમિનલ કૉન્સપરસીની ફરિયાદ કરી છે.
આ ફરિયાદને અર્પિત મિશ્રા નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવી છે.
ગાઝીપુર, સિંઘુ અને ટિકરી સરહદે ખેડૂતો હાજર
26 જાન્યુઆરીએ દિલ્હીમાં થયેલી હિંસા પછી ખેડૂત આંદોલનને લઈને અનેક પ્રકારની અટકળો કરવામાં આવી રહી છે પરંતુ દિલ્હીની અલગ-અલગ સરહદો પર ખેડૂતો આવી રહ્યા છે.
ખેડૂત તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તેમનું પ્રદર્શન ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી સરકાર કૃષિકાયદાઓને પરત નથી લેતી.
28 જાન્યુઆરી, ગુરુવારે વહીવટી તંત્ર તરફથી ગાઝીપુર સરહદે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને હઠાવવાની અપીલ કરવામાં આવી હતી પરંતુ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે સ્પષ્ટ રીતે કહ્યું છે કે અમે પાછા નહીં જઈએ.
કેટલાક ખેડૂતો જે પરત ગયા છે તેમને લઈને ટિકૈત કહે છે કે ખેડૂત પોતાના ટ્રેક્ટર પરત નહીં લઈ જાય અને એવું પણ થયું.
મોડી રાત્રે પરત ફરેલા અનેક ખેડૂત પાછા આવ્યા, ગાઝીપુર સરહદે તહેનાત પોલીસને હાલમાં ઓછી કરી દેવામાં આવી છે.
હરિયાણામાં ઇન્ટરનેટ બંધ કરવાનો આદેશ
હરિયાણા સરકારે પ્રદેશમાં ઇન્ટરનેટ અને એસએમએસ સેવાઓને બંધ કરવાની જાહેરાત કરી છે.
સરકારે જાહેર કરેલા આદેશમાં કહ્યું છે કે ખેડૂત આંદોલનને લઈને સોશિયલ મીડિયા પર જૂઠા સમાચાર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ફેલાવવામાં આવી રહ્યા છે, માટે ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
આદેશમાં આશંકા જાહેર કરવામાં આવી છે કે અનેક જિલ્લાઓમાં કાયદાકીય વ્યવસ્થાનું સંકટ ઊભું થઈ શકે છે અને જાનમાલને નુકસાન પહોંચી શકે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો