WhatsApp New Policy : વિરોધ બાદ વૉટ્સઍપે કહ્યું ફેસબુક સાથે ડેટા શૅર નહીં કરે

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

મૅસેન્જર ઍપ વૉટ્સઍપની તેની નવી પ્રાઇવેસી પૉલિસીને લઈને સાર્વત્રિક ટીકાનો સામનો કર્યા બાદ તે અંગે સ્પષ્ટતા કરી છે. વૉટ્સઍપે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે તેમની આ નવી પૉલિસીની યુઝરના મિત્રો અને સંબંધીઓ સાથેના પર્સનલ મૅસેજ પર કોઈ અસર નહીં પડે.

ફેસબુકની માલિકની મૅસેજિંગ ઍપ વૉટ્સઍપે આ અંગે સ્પષ્ટતા આપતાં કહ્યું કે, "આ અપડૅટમાં વૉટ્સઍપ પર કોઈ બિઝનેસને મૅસેજ કરવાને લઈને જે ફેરફાર કરાયા છે તે જણાવે છે. જે વૈકલ્પિક છે. તેમજ આ અપડૅટ અમે કઈ રીતે ડેટાનો સંગ્રહ કરીએ છીએ અને કઈ રીતે તેનો ઉપયોગ કરીએ છીએ તે અંગેનું ચિત્ર સ્પષ્ટ કરે છે."

વૉટ્સઍપ/ફેસબુક યુઝરના ખાનગી મૅસેજ, ગ્રૂપ મૅસેજ નહીં જોઈ શકે. તેમજ યુઝરના મિત્રો, પરિવાર અને સહકર્મીઓ સાથેના કૉલ સાંભળી શકશે નહીં. કારણ કે તે બધું એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત છે.

તેમજ વૉટ્સઍપ યુઝર કોને મૅસેજ કે કૉલ કરે છે તેની યાદી જાળવશે નહીં.

ઉપરાંત યુઝર દ્વારા અન્ય સાથે શૅર કરાયેલ લૉકેશનો પણ તેઓ જોઈ શકશે નહીં.

તેમજ વૉટ્સઍપ યુઝરના કૉન્ટેક્ટની યાદી ફેસબુકની અન્ય ઍપ સાથે શૅર કરશે નહીં.

તેમજ વૉટ્સઍપ ફેસબુક સાથે એડવર્ટાઇઝમેન્ટના હેતુસર ગ્રૂપ ડેટા શૅર કરતું નથી.

ગુજરાતમાં બર્ડફ્લૂનો ખતરો વધ્યો, વિજય રૂપાણીએ જાહેર કર્યો પ્લાન

ગુજરાત સહિત ભારતનાં 10 રાજ્યો બર્ડફ્લૂની ઝપેટમાં આવી ગયા છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ગુજરાતમાં એકતરફ બર્ડફ્લૂના કેસ સામે આવી રહ્યા છે, જ્યારે બીજી બાજુ ઉત્તરાયણના તહેવાર નિમિત્તે રાજ્યમાં પક્ષીઓને બચાવવાની કામગીરી પણ શરૂ થશે.

આ દરમિયાન બર્ડફ્લૂનું સંક્રમણ વધે નહીં તે માટે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ સોમવારે જંગલ ખાતા અને એનિમલ હસબન્ડરી વિભાગ સાથે મુલાકાત કરી એસઓપીની જાહેરાત કરી હતી.

ઉત્તરાયણને ધ્યાનમાં લઈને દર વર્ષે ગુજરાત સરકાર કરુણા અભિયાનની શરૂઆત કરે છે આ વખતે પણ કરી છે.

જે લોકો આ અભિયાનમાં ભાગ લેશે તેમને ફરજિયાત પીપીઈ કિટ પહેરવી પડશે. ઘાયલ પક્ષીઓને જે બૉક્સમાં મૂકવામાં આવે તો તેને સૅનિટાઇઝ કરી ઉપયોગમાં લેવું જોઈએ.

આ ઉપરાંત પક્ષીનું હાડપિંજર મળે તો તેને પ્લાસ્ટિકની બેગમાં ઝિપ લૉક કરી મૂકવું.

ખેડૂતોએ સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો, આજે સુનાવણી

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ખેડૂતોએ સુપ્રીમ કોર્ટના કેન્દ્ર સરકાર સામેના વલણને આવકાર્યો છે. પરંતુ તેમણે કમિટી બનાવવાના વિચારને રદ્દ કર્યો છે. આ ઉપરાંત તેમણે સ્ટૅ મૂકવાની જગ્યાએ કૃષિ કાયદાઓને પરત લેવાની માગ કરી છે.

સુપ્રીમ કોર્ટે મંગળવારે કૃષિ કાયદાઓ અને ખેડૂત આંદોલનને લઈને દાખલ કરેલી વિવિધ પીટીશનની સુનવણી પર ચુકાદો આપશે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર કોર્ટ સાથે જ આ કેસમાં ચાલી રહેલાં ટકરાવને દૂર કરવા માટે દેશના એક પૂર્વ મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવાનો આદેશ આપી શકે છે.

સુપ્રીમ કોર્ટે પોતાની વેબસાઇટ પર લખ્યું છે કે તે 12 જાન્યુઆરીએ આદેશ આપશે.

કોર્ટની સુનવણી પછી વિવિધ ખેડૂત સંગઠનના સંયુક્ત સંગઠન સંયુક્ત કિસાન મોરચાએ એક નિવેદન જાહેર કર્યું હતું. જેમાં કહ્યું અમે અમારા વકીલને જાણ કરી છે કે અમે સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી કોઈપણ કમિટી સમક્ષ સરકારના હઠીલા વર્તનને કારણે જવા માટે તૈયાર નથી.

પંજાબના સૌથી મોટા ખેડૂત સંગઠન બીકેયુ ઉગરાહાના પ્રમુખ જોગિંદરસિંહ ઉગરાહાએ કહ્યું, "અમારી માગ કૃષિ કાયદાઓને પરત લેવાની છે, ન કે તેમના પર સ્ટે મૂકવાની. હાલ સુધી મુદ્દાનું નિરાકરણ ન લાવતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જે પ્રકારે ઠપકો આપ્યો છે તેના માટે સુપ્રીમ કોર્ટની કદર કરીએ છીએ. અમે મુદ્દાના નિરાકરણ માટે કમિટી બનાવવાના વિચારનો સ્વીકાર કરતા નથી. અમે આશા રાખીએ કે સુપ્રીમ કોર્ટે જનતાનો રસને મગજમાં ધ્યાનમાં રાખીને કાયદાને પરત લેવાનો ચુકાદો આપે. "

લગ્નમાં 200 માણસની મંજૂરી મળી શકે

અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર ગુજરાત સરકાર કમૂર્તા પછી શરૂ થતાં લગ્નમાં 200 માણસને બોલાવવાની પરવાનગી આપી શકે છે.

ગુજરાત સરકારે કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાનમાં લઈને હાલ લગ્ન પ્રસંગે માત્ર 100 જ માણસની પરવાનગી આપી છે. જેમાં ફેરફાર કરવામાં આવી શકે છે.

સરકારમાં રહેલાં ઉચ્ચ સોર્સને ટાંકીને સમાચાર પત્ર લખે છે કે રાજ્યમાં કોરોના વાઇરસના ઘટેલાં કેસને ધ્યાનમાં રાખીને 200 માણસને બોલાવવાની કરવામાં આવી શકે છે.

દિવાળી પછી કોરોના વાઇરસના કેસની સંખ્યા વધતાં સરકારે પ્રતિબંધ મૂક્યા હતા. જેમાં હવે 15 જાન્યુઆરી પછી છૂટછાટ આપવામાં આવી શકે છે.

જોકે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે હાલના કાયદામાં અમે કોઈ ફેરફાર કરી રહ્યા નથી. અમે જ્યારે કરીશું ત્યારે તમને જાણ કરીશું.

વૅક્સિન માટે નેતાઓ કૂદી ન પડે, રાહ જુએ : મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્ય મંત્રીઓ સાથેની મીટિંગમાં કોરોના વાઇરસના રસીકરણ કાર્યક્રમ અંગે ચર્ચા કરી હતી.

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચર્ચામાં કહ્યું હતું કે રાજનેતાઓએ વૅક્સિન માટેની લાઈનમાં કૂદી પડવું ન જોઈએ પરંતુ પોતાનો વખત આવવાની રાહ જોવી જોઈએ.

કેન્દ્ર સરકારે કોરોના વાઇરસના રસીકરણ માટે પહેલાં ફેઝની શરૂઆત કરી છે જેમાં 1 કરોડ આરોગ્યકર્મી અને બે કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સ જેવા કે પોલીસ, સિવિલ ડિફેન્સ અને સફાઈ કામદારોને વૅક્સિન મફતમાં મળશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વાત એટલા માટે કહી કે હરિયાણા સરકારે સંસદ સભ્ય અને ધારાસભ્ય જેવા જનતાના પ્રતિનિધિઓને રસીકરણના પહેલા ફેઝમાં સમાવવાની વિનંતી કરી હતી.

24 નવેમ્બરે હરિયાણાના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન આ માગ કરી હતી જોકે જવાબ મળ્યો ન હતો. ત્યારબાદ હરિયાણાના આરોગ્ય મંત્રી અનિલ વીજે પણ કેન્દ્રિય આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો હતો.

આ ઉપરાંત બિહાર અને ઓરિસ્સાના આરોગ્ય મંત્રીએ પણ પંચાયતથી શરૂ કરીને સંસદ સુધીના જનતાના પ્રતિનિધિઓને રસીકરણના પહેલાં ફેઝમાં રસી આપવાની માગ કરી હતી.