ખેડૂતો સાથે વાતચીત ચાલુ રાખવા સરકાર તૈયાર, પ્રદર્શનકારીઓ અડગ

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતો દ્વારા મોદી સરકારનો સંશોધન પ્રસ્તાવ ફગાવી દેવાયાના એક દિવસ બાદ ખેડૂતોનાં સંગઠનોને પ્રસ્તાવ પર ફરી વિચાર કરવા માટે અપીલ કરી છે.

સરકારે કહ્યું છે કે તેઓ ખૂલીને વાતચીત કરવા માટે તૈયાર છે. આ દરમિયાન ખેડૂતોએ 'રેલ રોકો' અભિયાનની જાહેરાત કરી દીધી છે.

ખેડૂતોએ કહ્યું છે કે જો સરકારે ત્રણેય કૃષિકાયદાઓને પરત ન લીધા તો તેઓ દેશભરમાં પ્રદર્શન કરશે.

દિલ્હીની સરહદ પર હરિયાણા-પંજાબ-ઉત્તર પ્રદેશના ખેડૂતો છેલ્લા 16 દિવસથી પ્રદર્શન કરી રહ્યા છે.

દિલ્હી-હરિયાણાની સિંઘુ બૉર્ડર પર પણ મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે.

ખેડૂત સંગઠનોએ સરકારને એ સવાલ કર્યો છે કે જો ખેતી એ રાજ્ય સરકારનો મુદ્દો હોય, તો કેન્દ્ર સરકારે સંબંધિત કાયદાઓ કઈ રીતે પસાર કર્યા?

આના જવાબમાં ગુરુવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું, "કેન્દ્ર સરકારે આ કાયદા સમગ્ર દેશ માટે બનાવ્યા છે અને ખેડૂતોને આનાથી ફાયદો થયો છે. "

વિરોધપ્રદર્શનનો 16મો દિવસ

આ દરમિયાન ખેડૂતોનું વિરોધપ્રદર્શન 16મા દિવસમાં પ્રવેશી ગયું છે.

સિંઘુ બૉર્ડર અને ટિકરી બૉર્ડર પર મોટા પ્રમાણમાં ખેડૂતો એકઠા થયા છે અને વિરોધ કરી રહ્યા છે.

તો બીજી તરફ સિંઘુ બૉર્ડર પર પોલીસદળનું નેતૃત્વ કરી રહેલા ડીસીપી અને એડીસીપી કોરોનાગ્રસ્ત થયા છે. સિંઘુ બૉર્ડર પર હજારોની સંખ્યામાં ખેડૂતો કૃષિકાયદાઓ વિરુદ્ધ વિરોધપ્રદર્શનો કરી રહ્યા છે.

આ દરમિયાન ખેડૂતોએ આંદોલન વધુ ઉગ્ર કરવાનું મન બનાવી લીધું છે.

'કિસાન મજદૂર સંઘર્ષ કમિટી'એ કૃષિકાયદાનો વિરોધ કરવા માટે કુંડલી બૉર્ડર પર પોતાનો બીજો જથ્થો મોકલ્યો છે. આ ખેડૂતોએ રવાના થતાં પહેલાં અમૃતસરમાં સુવર્ણમંદિર ખાતે પૂજાઅર્ચના કરી હતી.

વાતચીતનું ભવિષ્ય અધ્ધર-તાલ?

આંદોલનકારી ખેડૂતો છેલ્લાં બે સપ્તાહથી દિલ્હીની સિંઘુ બૉર્ડર પર પ્રદર્શન કરી રહ્યા છે.

ખેડૂતોની માગ છે કે બજાર-સમર્થિત ત્રણેય કૃષિકાયદાને સરકાર રદ કરે, કેમ કે આનાથી તેમની આવક પ્રભાવિત થશે. જેને પગલે સરકાર અને ખેડૂતો વચ્ચેની વાતચીતનું ભવિષ્ય હવે અધ્ધર-તાલ જોવા મળી રહ્યું છે.

ખેડૂતોનાં સગઠનોએ કહ્યું છે કે 14 ડિસેમ્બરે તેમનું આંદોલન વધુ વેગ પકડશે. આ દરમિયાન નવી દિલ્હી તરફ જનારા તમામ હાઈવે બંધ કરી દેવાની પણ જાહેરાત કરાઈ છે અને ટોલપ્લાઝાને પણ નહીં ચાલવા દેવાની ચીમકી ઉચ્ચારાઈ છે.

ખેડૂતો કેમ ડરેલા છે?

મોદી સરકાર નવા કૃષિકાયદાથી કૃષિબજારને નિયંત્રણથી મુક્ત કરવા માગે છે. સરકાર ઇચ્છે છે કે કૃષિબજારમાં ખાનગી કારોબારીઓને વધારે મહત્ત્વ આપવામાં આવે અને સરકારને સબસિડી આપવી ન પડે.

ખેડૂતો સરકારની આ જ ઇચ્છાથી ડરેલા છે. તેમને લાગે છે કે તેમને અનાજ પડતરની કિંમત કરતાં પણ ઓછા મૂલ્યે વેચવું પડશે. હરિયાણા અને પંજાબના ખેડૂતોને ન્યૂનતમ સમર્થન મૂલ્ય અને સરકારી ખરીદીનો સૌથી વધુ ફાયદો મળે છે.

બીજી તરફ બિહાર જેવાં રાજ્યો કે જ્યાં આ સિસ્ટમ અમલમાં નથી ત્યાં ખેડૂતોને નહિવત્ કિંમતોએ અનાજ વેચવું પડે છે.

ખેડૂતોનું કહેવું છે કે સરકાર કૃષિકાયદા મારફતે ખેતીને કૉર્પોરેટને સોંપી દેવા માગે છે.

સરકારે અત્યાર સુધી કેવાં આશ્વાસન આપ્યાં?

બુધવારે સરકારે ખેડૂતોની ચિંતા દૂર કરવા પ્રયાસ કર્યો અને કેટલાંક લેખિત આશ્વાસન પણ આપ્યાં. સરકારે કથિત મુક્ત બજારમાં રાજ્યોની ભૂમિકા વધારવા અને ન્યૂનતમ સમર્થન મૂલ્ય એટલે કે એમએસપી ચાલુ રાખવા માટે લેખિતમાં આશ્વાસન આપ્યાં.

આના થકી રાજ્ય સરકાર પોતાની મેળે વસ્તુઓ નક્કી કરી શકશે.

સરકારે બીજા પ્રસ્તાવમાં કૉન્ટ્રેક્ટ ફાર્મિગમાં ખેડૂતો માટે કાયદાકીય કવચ મજબૂત કરવાની વાત કરી. આ કવચને પગલે કૉન્ટ્રેક્ટ ફાર્મિંગમાં ખેડૂતોને કોઈ પણ પ્રકારની કાર્યવાહી સામે સુરક્ષા મળશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો