You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નીતીશકુમારે બિહારના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા, ભાજપના બે નાયબ મુખ્ય મંત્રી
બિહારના મુખ્ય મંત્રી તરીકે નીતીશકુમારે 7મી વખત શપથ ગ્રહણ કર્યાં છે. રાજ્યપાલ ફાગુ ચૌહાણે તેમને મુખ્ય મંત્રી પદના શપથ લેવડાવ્યા હતા.
બિહારના પટણામાં યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા છે.
આ સાથે જ નીતીશકુમારની સરકારનો આ સતત ચોથો કાર્યકાળ હશે. જોકે, બિહારના મુખ્ય વિપક્ષ આરજેડીએ આ શપથગ્રહણ સમારોહનો બહિષ્કાર કર્યો છે.
આ સાથે જ ભાજપનાં નેતા રેણુ દેવી અને તારકિશોર પ્રસાદે પણ શપથ ગ્રહણ કર્યા છે. માનવામાં આવી રહ્યું છે કે બંનેને નાયબ મુખ્ય મંત્રી બનાવવામાં આવશે.
આ પહેલાં નીતીશકુમારના સાથી તરીકે ભાજપમાંથી સુશીલકુમાર મોદી નાયબ મુખ્ય મંત્રીનું પદ સંભાળતા આવ્યા છે. જોકે, આ વખતે સુશીલકુમાર મોદીને બદલે ભાજપે નવા બે ચહેરાને નાયબ મુખ્ય મંત્રી પદ પર તક આપી હોવાનું માનવવામાં આવી રહ્યું છે.
જેડીયુના નેતા વિજય કુમાર ચૌધરી, વિજેન્દ્ર પ્રસાદ યાદવ, અશોક ચૌધરી અને મેવાલાલ ચૌધરીએ કૅબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા.
આ સાથે જ બિહારમાં બે નાયબ મુખ્ય મંત્રીની ફૉમ્યુલા ભાજપે અપનાવી છે. એનડીએમાં ભાજપે પોતાના સાથી પક્ષ જેડીયુ કરતાં વધારે બેઠકો જીતી છે.
મારે મુખ્ય મંત્રી નહોતું બનવું : નીતીશ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રવિવારે નીતીશકુમારે કહ્યું હતું કે, "હું મુખ્ય મંત્રી બનવા નહોતો ઇચ્છતો પણ ભાજપના નેતાઓના આગ્રહ પર હું ફરી એક વાર મુખ્ય મંત્રીપદના શપથ લઈશ."
રવિવારે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ)ની એક બેઠકમાં સર્વસંમતિથી વિધાયકદળના નેતા ચૂંટાયા બાદ નીતીશ કુમારે બિહારના રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી.
એ બાદ નીતીશે કહ્યું, "એનડીએની બેઠકમાં મને ફરી એક વાર નેતા ચૂંટવામાં આવ્યો છે. મહામહિમ રાજ્યપાલને અમે પત્ર આપ્યો છે. તેમણે પત્ર સ્વીકારતા મને મુખ્ય મંત્રી રૂપે મનોનીત કર્યો છે. કાલે કોણકોણ શપથ લેશે એનો નિર્ણય કરાશે."
રાજ્યપાલ સાથે થયેલી બેઠક બાદ તેમણે પત્રકારપરિષદ યોજી હતી.
તેમણ જણાવ્યું કે 'સોમવારે સાંજે સાડા ચાર વાગ્યે શપથગ્રહણ સમારોહ આયોજિત કરાશે.'
રાજભવનની બહાર સંરક્ષણમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહને જ્યારે પૂછવામાં આવ્યું કે 'શું સુશીલ મોદી જ બિહારના નાયબ મુખ્ય મંત્રી બનશે?' તો તેમણે કહ્યું, "યોગ્ય સમયે આનો જવાબ આપવામાં આવશે. થોડી વાર રાહ જુઓ."
આ બાદ સુશીલ મોદીએ ટ્વીટ કર્યું, "ભાજપ અને સંઘપરિવારે મને 40 વર્ષના રાજકીય જીવનમાં એટલું આપ્યું છે કે કદાચ કોઈ બીજાને નહીં મળ્યું હોય. આગળ જે જવાબદારી મળશે, એનું વહન કરીશ. કાર્યકરનું પદ તો કોઈ આંચકી નહીં શકે."
આ દરમિયાન તેમણે ભાજપના ધારાસભ્યમંડળના નેતા ચૂંટાયેલા તારકેશ્વર પ્રસાદ અને નાયબ નેતા રેણુદેવીને ટ્વિટર પર શુભેચ્છા પાઠવી.
આ પહેલાં એનડીએની બેઠક નીતીશકુમારના નિવાસસ્થાને યોજાઈ હતી જેમાં એનડીએના સહયોગી દળોએ ભાગ લીધો હતો. બેઠકમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ હાજરી આપી હતી.
જનતા દળ યુનાઇટેડ અને ભાજપ પટણા ખાતે પોતપોતાની અલગ અલગ મિટિંગ પણ યોજી હતી.
નોંધનીય છે કે શુક્રવારે નીતીશ કુમારે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી વિધાનસભા ભંગ કરવાની અરજી કરી હતી.
અહીં એ બાબત મહત્ત્વપૂર્ણ છે કે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDAને બહુમતી હાંસલ થઈ છે. ભાજપને આ ચૂંટણીમાં 74 અને JDUને 43 બેઠકો મળી છે.
નીતીશ કુમારની પાર્ટીને ઓછી બેઠકો મળ્યા બાદ મુખ્ય મંત્રીપદને લઈને અનેક ચર્ચાઓને વેગ મળ્યો હતો. એનડીએની બેઠકમાં નીતીશકુમારની પસંદગી બાદ એ ચર્ચા હાલ પૂરતી અટકી રહી હોવાનું દેખાય છે.
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં 75 બેઠકો હાંસલ કરી રાષ્ટ્રીય જનતા દળ સૌથી મોટો પક્ષ બની ગયો હોવા છતાં કૉંગ્રેસ અને લેફ્ટ સાથેનું તેમનું મહાગઠબંધન 110 બેઠકો જ મેળવી શક્યું છે.
નોંધનીય છે કે ગુરુવારે JDUના વડા નીતીશ કુમારે કહ્યું હતું કે, “તેમણે મુખ્ય મંત્રીપદ માટે કોઈ દાવો નથી કર્યો, કારણ કે બિહારની જનતાએ ચાર પક્ષોની ભાગીદારીવાળા NDAને સરકાર બનાવવા માટે ચૂંટ્યો છે. તેથી બિહારના ભાવિ મુખ્ય મંત્રીનું નામ પણ NDAની બેઠકમાં જ નક્કી થશે.”
40 બેઠકોવાળા મુખ્ય મંત્રી? - આરજેડી
ન્યૂઝ એજન્સી ANIના અહેવાલ અનુસાર રાષ્ટ્રીય જનતા દળ (RJD) નેતા મનોજ ઝાએ કહ્યું કે બિહારમાં લોકમત નીતીશકુમારની વિરુદ્ધ છે. બિહાર તેમનો વિકલ્પ મેળવશે. તેમનો વિકલ્પ સ્વયંભૂ હશે.
ANI સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, "કોઈ પણ નેતા 40 બેઠકો મેળવીને કઈ રીતે કોઈ રાજ્યનો મુખ્ય મંત્રી બની શકે? બિહારની જનતાએ તેમને નકારી દીધા છે. તેમણે એ અંગે નિર્ણય લેવો જોઈએ. બિહારની જનતા વિકલ્પ શોધશે અને તે સ્વયંભૂ હશે. ભલે પછી તેની શોધ માટે એક અઠવાડિયું લાગે દસ દિવસ લાગે કે પછી એક મહિનો."
રિમોટ કંટ્રોલ મુખ્ય મંત્રી - કૉંગ્રેસ
સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં કૉંગ્રેસના નેતા તારીક અનવરે પટણા ખાતે NDAની મિટિંગ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, "પહેલાં બિહારમાં નીતીશકુમારજી NDAના એક સારા નેતા તરીકે સામે આવ્યા હતા. પરંતુ આ વખત તેમના માટેની તકો સમાન નથી. ભાજપે તેમને કમજોર કરવાનું કાવતરું કર્યું છે. જો હવે તેઓ NDAના નેતા બની મુખ્ય મંત્રી બની જશે તો પણ તેમના નિયંત્રણ માટેનું રિમોટ કંટ્રોલ બીજાના હાથમાં રહેશે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો