You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
UPમાં એક શખ્સે 23 બાળકોને બંદી કેવી રીતે બનાવ્યાં?
- લેેખક, સમીરાત્મજ મિશ્ર
- પદ, લખનૌથી બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 2 મિનિટ
ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદ જિલ્લાના મોહમ્મદાબાદમાં 23 બાળકોને બંદી બનાવનાર શખ્સ સુભાષ બાથમનું પોલીસ સાથેના ઘર્ષણમાં મૃત્યુ થયું છે.
કાનપુરના પોલીસ અધિકારી મોહિત અગ્રવાલે બીબીસીને જણાવ્યું છે કે અપહર્તા સુભાષનું ઘર્ષણમાં મૃત્યુ થઈ ગયું છે અને તમામ બાળકોની બચાવી લીધાં છે.
અગ્રવાલે જણાવ્યું કે અપહર્તાએ બાળકદીઠ એક કરોડ રૂપિયા માગ્યા હતા. સાથે-સાથે અપહર્તા તેની પર ચાલતા હત્યાના કેસને પરત લેવાની માગ પણ કરતો હતો.
આ પૂર્વે મોડી રાત્રે અપહર્તાએ એક બાળકને મુક્ત પણ કર્યું હતું.
પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર હતા અને એટીએસની મદદ પણ લેવામાં આવી હતી.
મોહમ્મદાબાદ તાલુકાના કરસિયા ગામના જે ઘરમાં બાળકોને બંદી બનાવીને રાખવામાં આવ્યાં હતાં, તે ઘર સુભાષ બાથમનું જ હતું.
પોલીસના પ્રમાણે સુભાષ બાથમ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો, તેમની પર હત્યાનો કેસ ચાલી રહ્યો હતો અને તેઓ જેલની સજા પણ અનેક વખત કાપી ચૂક્યો છે.
સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ગુરુવારે બપોરે પુત્રીના જન્મદિવસના બહાને સુભાષ બાથમે ગામનાં બાળકોને પોતાની ઘરે મિજબાની માટે બોલાવ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમામ બાળકો આશરે બપોરે બે વાગ્યે તેના ઘરે પહોંચ્યાં હતાં. આ પછી સુભાષ બાથમે ઘરનો મુખ્ય દરવાજો અંદરથી બંધ કરી લીધો હતો.
સાંજે આશરે ચારેક વાગ્યે જ્યારે એક મહિલા પોતાના બાળકને લેવા માટે પહોંચ્યાં, ત્યારે તેમને ખબર પડી કે બાળકોને સુભાષે બંદી બનાવ્યાં છે.
આ મહિલાએ જ પોલીસને જાણ કરી દીધી હતી.
ફર્રુખાબાદના પોલીસ-અધિક્ષક ડૉ. અનિલકુમાર મિશ્રએ જણાવ્યું કે પોલીસનો મૂળ પ્રયાસ એ જ હતો કે બાળકોને કોઈ હાનિ ન થાય.
જોકે આ ઘટનાક્રમમાં બે પોલીસકર્મીઓને ઈજા થઈ છે.
જાણવા મળી રહ્યું છે કે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ એ જોઈને સુભાષે ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું અને દેશી બૉમ્બ પણ ફોડ્યા હતા.
આ દરમિયાન સુભાષ ધમકી આપી રહ્યો હતો, તેનો દાવો હતો કે તેમની પાસે 30 કિલો વિસ્ફોટક છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો