TOP NEWS : 'પ્રાઇમ ડે' પૂર્વે એમેઝૉનના કર્મચારીઓ હડતાલ ઉપર

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

એમેઝૉન પ્રાઇમ ડેના સેલની શરૂઆત સાથે જ વિશ્વભરમાં એમેઝૉનના હજારો કર્મચારીઓએ પગાર તથા કામની પરિસ્થિતિ મુદ્દે વિરોધ પ્રદર્શન શરૂ કર્યાં છે.

સોમવારે એમેઝૉને તેના પ્રાઇમ મેમ્બર્સ માટે ડિસ્કાઉન્ટ ઑફર લૉન્ચ કરી હતી.

લેબર યુનિયનના કહેવા પ્રમાણે, જર્મનીમાં બે હજાર કર્મચારીઓ રજા ઉપર છે. જ્યારે અમેરિકામાં મિનેસોટા સેન્ટરમાં કથિત રીતે કર્મચારીઓ છ કલાક માટે કામ અટકાવવાનો નિર્ધાર કર્યો છે.

આ સિવાય બ્રિટનમાં પણ એમેઝૉનના કર્મચારીઓ એક અઠવાડિયા સુધીનાં વિરોધ પ્રદર્શનોનું આયોજન કરી રહ્યા છે.

એમેઝૉનનું કહેવું છે કે તે કર્મચારીઓને સારો પગાર આપે છે અને કામની સ્થિતિ ઘણી સારી છે.

વિશ્વભરમાં એમેઝૉનના લગભગ સાડા છ લાખ કર્મચારી છે, જેમાંથી ત્રણ લાખ માત્ર અમેરિકામાં છે.

ગુજરાતના બીચને બ્લૂ ફ્લૅગ?

કેન્દ્ર સરકારનું પર્યાવરણ મંત્રાલય દેશના 12 બીચને 'બ્લૂ ફ્લૅગ' સર્ટિફિકેશન મળે તે માટે પ્રયાસ કરશે. પર્યાવરણીય સંપદા તથા સ્વચ્છતા માટે આ સર્ટિફિકેશન આપવામાં આવે છે.

ધ હિંદુના અહેવાલ મુજબ, આ 12 બીચની યાદીમાં ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાનું શિવરાજપુર, દીવનું ઘોઘલા, ભોગાવે (મહારાષ્ટ્ર), મીરમાર (ગોવા), કાસરકોડ અને પદુબિદરી (કર્ણાટક), કપડ (કેરળ), ઈડન (પુડ્ડુચેરી), મહાબલિપુરમ્ (તામિલનાડુ) , રુષિકોન્ડા (આંધ્ર પ્રદેશ), ગોલ્ડન (ઓડિશા) તથા અંદમાન નિકોબાર દ્વીપસમૂહના રાધાનગરનો સમાવેશ થાય છે.

પર્યાવરણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા પ્રમાણે, આ બીચ ઉપર સ્વચ્છતા, સુરક્ષા, માળખાકીય સુવિધા તથા સલામતી માટે જરૂરી સવલતો ઊભી કરવામાં આવશે.

યૂપી : સપાના સંસદસભ્યનું રાજીનામું

સમાજવાદી પાર્ટીના નેતા નીરજ શેખરે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેઓ રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડૂને મળ્યા હતા અને રાજીનામું સુપરત કર્યું હતું.

નીરજ શેખર પૂર્વ વડા પ્રધાન ચંદ્રશેખરના પુત્ર છે. આગામી સમયમાં તેઓ ભાજપમાં જોડાઈ શકે છે, તેવી શક્યતા ન્યૂઝ એજન્સી એએનઆઈએ વ્યક્ત કરી છે.

નાયડૂએ તેમને રાજીનામા અંગે પુનઃવિચાર કરવાની સલાહ આપી હતી. જેના અંગે શેખરે કહ્યું હતું કે તેઓ પુનઃવિચાર કરવા નથી માગતા.

ત્યારબાદ રાજ્યસભાના નિયમો મુજબ નાયડૂએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો