You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પોરબંદરમાં ચૂંટણી બંદોબસ્તમાં આવેલા જવાનોમાં ફાયરિંગ - બેના મૃત્યુ, બે ઇજાગ્રસ્ત
ગુજરાતના સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર પોરબંદરમાં વિધાનસભાની ચૂંટણી માટે બંદોબસ્તમાં આવેલા ઇન્ડિયન રિઝર્વ બટાલિયન (આઈઆરબી)ના જવાનો વચ્ચે ઘર્ષણ બાદ થયેલા ગોળીબારમાં બે જવાનોના મૃત્યુ થયા છે અને બે જવાનોને ઈજાઓ પહોંચી છે.
બીબીસીએ આ ઘટનાની પુષ્ટિ માટે જિલ્લા પોલીસ વડા રવિ મોહન સૈનીનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો.
જોકે, પોરબંદરના કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી એ એમ શર્માએ આ ઘટનાની પુષ્ટિ કરતા બીબીસીને જણાવ્યું હતું કે, આ ઘટના શનિવારે મોડી સાંજે લગભગ સાત વાગ્યાની આસપાસ બની હતી. પોરબંદરના નવી બંદરસ્થિત સાયક્લોન સેન્ટરમાં ચૂંટણીમાં બંદોબસ્ત માટે આવેલા આઈઆરબીના જવાનોને રહેવાની સુવિધા આપવામાં આવી હતી. ત્યાં હાજર રહેલા જવાનો વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો.
ઝઘડો વધી જતા એક જવાને એકે-47માંથી ગોળીબાર કર્યો હતો, જેમાં બે જવાનોનાં મૃત્યુ થયા છે. જ્યારે બે ઇજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અને ચૂંટણી અધિકારીઓ હૉસ્પિટલ દોડી આવ્યા હતા અને ઘટના પાછળના કારણો જાણવાની તપાસ હાથ ધરી હતી.
ભારતીય સીમામાં ઘૂસ્યું પાકિસ્તાની ડ્રોન, બીએસએફએ તોડી પાડ્યું
રવિંદરસિંહ રૉબિન
શુક્રવારે પંજાબના અમૃતસર સૅક્ટરમાં ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા ડોકે ગામ નજીક બીએસએફના જવાનોએ એક ડ્રોનને તોડી પાડ્યું હતું.
બીએસએફનો દાવો છે કે, આ ડ્રોન પાકિસ્તાનથી ભારતીય વિસ્તારમાં ઘૂસ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીએસએફ અનુસાર, ભારત-પાકિસ્તાન સરહદ પર એક સંદિગ્ધ ડ્રોન ઊડવાનો અવાજ સંભળાયો હતો અને બીએસએફના જવાનોએ ફાયરિંગ કરીને સંદિગ્ધ ડ્રોન તોડી પાડ્યું છે.
ત્યારબાદ સમગ્ર વિસ્તારને કૉર્ડન કરી લેવામાં આવ્યો, પોલીસ અને સંબંધિત એજન્સીઓને તેની સૂચના આપવામાં આવી હતી.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, બીએસએફના અધિકારીઓએ જણાવ્યું હતું કે, “ડ્રોનમાંથી ડ્રગ્સના બે પૅકેટ મળી આવ્યાં છે, જેનું વજન 2.5 કિલોગ્રામ છે.”
તાજેતરમાં જ કેન્દ્ર સરકારે સરહદ પર તહેનાત સુરક્ષા દળો સાથે કેટલાક ઇનપૂટ શેર કર્યા હતા, તેથી સરહદ પર થતી આ પ્રકારની ગેરકાયદેસર ગતિવિધિઓને રોકી શકાય.
બીએસએફનું કહેવું છે કે, “તેમના સતર્ક જવાનોએ ફરી એક વાર ડ્રોનને પકડવામાં સફળતા હાંસલ કરી છે અને તસ્કરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો.”
હિન્દી, મરાઠી સિનેમાના દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેનું નિધન
હિન્દી અને મરાઠી સિનેમાના દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેનું નિધન થયું છે.
77 વર્ષીય વિક્રમ ગોખલેએ શનિવારે પૂણેની દીનાનાથ મંગેશકર હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા અને હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
વિક્રમ ગોખલેના પુત્રી વૃશાલી ગોખલેએ બીબીસી હિન્દી સાથે તેમના નિધનની પુષ્ટિ કરી છે.
તેમની વૃશાલી ગોખલેએ કહ્યું, "મારા પિતા વિક્રમ ગોખલેનું આજે બપોરે નિધન થયું છે. મારો પરિવાર આ મુશ્કેલ સમયમાં તેમના માટે પ્રાર્થના કરનારા તમામ લોકોનો આભાર માને છે."
વિક્રમ ગોખલેના અંતિમ સંસ્કાર આજે સાંજે પુણેમાં કરવામાં આવશે.
વિક્રમ ગોખલેએ મરાઠી ફિલ્મોની સાથે સાથે "અગ્નિપથ" (1990), 'હમ દિલ દે ચૂકે સનમ' (1999) અને 'ભૂલ ભૂલૈયા' (2007) જેવી હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.
2010માં, વિક્રમ ગોખલેને મરાઠી ફિલ્મ ઇશ્તીમાં તેમની ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
ટીવીમાં તેમણે ઔર આજા પરદેશી, અલ્પવિરામ, જાના ના દિલ સે દૂર, સંજીવની, ઈન્દ્રધનુષ જેવા લોકપ્રિય શોમાં કામ કર્યું હતું.
80ના દાયકામાં દૂરદર્શન પર આવેલી ટીવી સિરિયલ 'ઉડાન' થકી વિક્રમ ગોખલેનું નામ ઘર-ઘરમાં જાણીતું બન્યું હતી.
તેમની મરાઠી ફિલ્મ 'ગોદાવરી' હાલમાં સિનેમાઘરોમાં ચાલી રહી છે.
કોહલીના ટ્વીટ પછી લોકો કેમ તેમની 'નિવૃત્તિ'ની વાતો કરવા લાગ્યા?
ક્રિકેટર વિરાટ કોહલીએ એક તસવીર ટ્વીટ કરી છે, જેના પછી અટકળોનું બજાર ગરમાયુ છે કે વિરાટ કોહલી ખરેખર સંન્યાસ લેવાના છે.
વિરાટ કોહલી હાલમાં બ્રેક પર છે અને આ દરમિયાન તેમણે ટી20 વર્લ્ડકપમાં મેલબૉર્નમાં રમાયેલી ભારત-પાકિસ્તાનની મેચની તસવીર ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. એ તસવીરમાં તે બેટ લઈને ઊભા છે.
કોહલીએ આ તસવીર સાથે લખ્યું, “23 ઑક્ટોબર, 2022 મારા દિલમાં હંમેશા ખાસ દિવસ રહેશે. મેં આ પહેલા ક્યારેય કોઈ મૅચમાં આવી ઊર્જા અનુભવી નથી. કેટલી અદ્ભુત સાંજ હતી એ."
મેલબૉર્નમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી એ ભારે રોમાંચક મૅચમાં વિરાટ કોહલીએ 53 બોલમાં 82 રનની ઇનિંગ રમી હતી. પાકિસ્તાને ભારતને 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને આ મૅચનો રોમાંચ છેલ્લા બૉલ સુધી જળવાયો હતો. કોહલીએ ભારત માટે અશક્ય લાગતી જીતને શક્ય બનાવી હતી.
મૅચમાં એક તબક્કે જીતવા માટે 8 બોલમાં 28 રનની જરૂર હતી અને ભારતની જીતની સંભાવના સાવ ઓછી જણાતી હતી, પરંતુ કોહલીની અણનમ ઇનિંગે ભારતને પાકિસ્તાન સામે વિજય અપાવ્યો હતો.
વિરાટ કોહલીના આ ટ્વીટ બાદ ઘણા ક્રિકેટ ચાહકોને આશંકા છે કે તેમણે નિવૃત્તિનો સંકેત આપ્યો છે?
ટ્વિટર પર એક યૂઝરે લખ્યું, “ભાઈ, આવા ફોટો મૂકીને ન લખો. હૃદયના ધબકારા વધી જાય છે. શું નિવૃત્તિની જાહેરાત તો નથી કરી દીધીને?”
સોની નામના યૂઝરે લખ્યું, "પહેલા તો મને લાગ્યું કે ખતરનાક 'આર' શબ્દ આવી રહ્યો છે."
કૉફી બુક્સ નામના યૂઝરે ટ્વિટર પર લખ્યું, "સારી તસવીરો મુકવાનું રાખો, સવાર સવારમાં હાર્ટ-એટૅક આવી જાય છે."
કોહલી ઉપરાંત રોહિત શર્મા, કેએલ રાહુલ, આર. અશ્વિન, મોહમ્મદ શમી અને દિનેશ કાર્તિક પણ બ્રેક પર છે.