રણવીર ઇલાહાબાદિયાને ઇન્ડિયા ગૉટ લૅટેન્ટ શો મામલે સુપ્રીમ કોર્ટે આપી રાહત- ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રણવીર ઇલાહાબાદિયાને ધરપકડ કરવા સામે વચગાળાની રાહત આપી છે.

રણવીરે યૂટ્યૂબર અને કૉમેડિયન સમય રૈનાના શોમાં માતા-પિતાને લઈને ટિપ્પણી કરી હતી. જેના પર વિવાદ શરૂ થયો હતો.

રણવીર સામે મહારાષ્ટ્ર તથા આસામમાં એફઆઈઆર દાખલ થઈ હતી. આ મામલે રણવીરે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી.

મંગળવારે તેના પર સુનાવણી થઈ અને સુપ્રીમ કોર્ટે રણવીરને ધરપકડ કરવા સામે વચગાળાની રાહત આપી.

જોકે, સુપ્રીમ કોર્ટે રણવીરને કહ્યું છે કે આ દરમિયાન તેઓ કોઈ શો નહીં કરે. તેણે કહ્યું કે આ મામલે કોઈ અન્ય એફઆઈઆર દાખલ થાય છે તો પણ રણવીરની ધરપકડ નહીં કરી શકાય. તેમની સામે આ મામલે કોઈ એફઆઈઆર દાખલ નહીં થાય.

સુપ્રીમ કોર્ટે રણવીરને પોતાનો પાસપૉર્ટ જમા કરવા પણ કહ્યું છે. સાથે આદેશ કર્યો છે કે તે સુપ્રીમ કોર્ટની પરવાનગી વગર દેશ છોડીને નહીં જઈ શકે.

રણવીરે અરજીમાં કહ્યું હતું કે તેમને અને તેમના પરિવારજનોને ધમકી મળી રહી છે. તે મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેઓ પોલીસ પાસે રક્ષણ મેળવવા જઈ શકે છે.

કૅનેડા: ટૉરંટોના પિયર્સન ઍરપૉર્ટ પર પ્લેન પલટી મારી જવાની દુર્ઘટનામાં ક્રૂ સહિતના તમામ મુસાફરો સુરક્ષિત

કૅનેડાના ટૉરંટોના પિયર્સન ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પર એક પ્લેન પલટી મારી ગયું છે જેને કારણે 18 મુસાફરો ઘાયલ થયા છે. જે પૈકી ત્રણની હાલત ગંભીર છે. ગંભીર રીતે ઘાયલોમાં એક બાળક અને બે વયસ્ક સામેલ છે.

આ દુર્ઘટના પ્લેન લૅન્ડિંગ દરમિયાન ઘટી. યુએસ ફેડરલ ઍવિયેશન ઍડમિનિસ્ટ્રેશન પ્રમાણે ડેલ્ટા ઍરલાઇન્સનું વિમાન 4819 લૅન્ડિંગ દરમિયાન સ્થાનિક સમયાનુસાર બપોરે ગલભગ બે વાગ્યે અને 45 મિનિટે પલટી ગયું હતું.

ઘાયલ મુસાફરોને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આ પ્લેન ડેલ્ટા ઍરલાઇન્સનું હતું. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે અને દુર્ધટનાની તપાસ થઈ રહી છે.

ગ્રેટર ટૉરંટો ઍરપૉર્ટ ઑથૉરિટીનાં ચીફ ઍક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર ડેબોરાહ ફ્લિંટે આપેલી જાણકારી પ્રમાણે આ દુર્ઘટનામાં તમામ મુસાફરોનો બચાવ થયો છે. કોઈ મુસાફરનો જીવ ગયો નથી.

જોકે, પ્લેન પલટવાનું કારણ ખબર પડી શકી નથી.

ઍરપૉર્ટના અધિકારીઓએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર જણાવ્યું હતું કે "ઍરપૉર્ટ પર ભારે વ્યસ્તતા જોવા મળી હતી કારણકે આખા સપ્તાહ દરમિયાન અહીં 22 સેમી જેટલો બરફ પડ્યો હતો."

"1000 જેટલી ફ્લાઇટ્સમાં 1,30,000 મુસાફરો મુસાફરી માટે ઑન બૉર્ડ હતા. બરફ વર્ષા ઓછી થઈ હતી પરંતુ તાપમાન નીચે હતું અને પવન ઝડપથી ફૂંકાઈ રહ્યો હતો. અમારી ટીમ આખી રાત રાહત અને બચાવ કામમાં જોતરાયેલી હતી જેથી તમામ મુસાફરી પ્લેન ઊતરી શકે અને જઈ શકે."

કૅનેડાનાં પરિવહન મંત્રીએ જણાવ્યું કે તેમની આ ગંભીર ધટના પર નજર છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ટેરિફ લગાવવાની કરી વાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ટેરિફ લગાવવાની વાત કરી છે. જેમાં તેમણે દુનિયાના દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લગાવવાની વાત કરી છે.

તેમણે લખ્યું, "વ્યાપારના મામલામાં મેં પારદર્શિતાથી નક્કી કર્યું છે કે હું રેસિપ્રોકલ ટેરિફ લગાવીશ. તેનો અર્થ છે કે જે દેશ અમેરિકા પર જેટલો ટેરિફ લગાવશે, અમે તેના પર એટલો જ ટેરિફ લગાવીશું. ન ઓછો, ન વધારે."

ટ્રમ્પે 13 ફેબ્રુઆરીએ એક જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા હતા જેમાં રેસિપ્રોકલ ટેરિફની યોજના બનાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

વ્હાઇટ હાઉસના તરફથી આ મામલે કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે નિષ્પક્ષ, મુક્ત, પારસ્પરિક વ્યાપાર માટે એક યોજનાની ઘોષણા કરી છે.

"તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે અમેરિકા હવે બીજા દેશ તરફથી વધુ કિંમત નહીં વસુલવા દે. અમેરિકા દુનિયાની સૌથી ખુલ્લી અર્થવ્યવસ્થાઓ પૈકીનું એક છે. છતાં અમારા વ્યાપારિક સાથીઓ પોતાનાં બજારોને અમેરિકી નિકાસ માટે બંધ રાખે છે."

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મૅક્રોંએ યુક્રેન મામલે રશિયાને શું કહ્યું

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૅક્રોંએ ઍક્સ પર લખ્યું કે તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાતચીત કરી છે.

રાષ્ટ્રપતિ મૅક્રોંએ લખ્યું, "અમે યુક્રેનમાં સ્થાયી શાંતિ ઇચ્છીએ છીએ. તેને હાંસલ કરવા માટે રશિયાએ આક્રમકતા છોડવી પડશે. યુક્રેની લોકોની સુરક્ષા માટે એક મજબૂત અને વિશ્વસનીય ગૅરંટી આપવી પડશે."

તેમણે લખ્યું, "અન્યથા આ યુદ્ધ વિરામ મિન્સ્ક સમજૂતીના માફક ખતમ થવાનો ખતરો છે. અમે એક સાથે કામ કરીશું. જેમાં યુરોપ, અમેરિકા અને યુક્રેની લોકો સામેલ છે. આ બાબત મહત્ત્વની છે."

ફેબ્રુઆરી 2015માં બેલારુસની રાજધાની મિન્સ્કમાં રશિયા, યુક્રેન, જર્મની અને ફ્રાન્સના નેતાઓની ઉપસ્થિતિમાં આ સમજૂતી થઈ હતી. તે અંતર્ગત આ વિસ્તારોમાં શાંતિ સ્થાપવા માટે પગલાં ઉઠાવવામાં આવ્યાં હતાં. જેના પર રશિયાના સમર્થક અલગાવવાદીઓએ કબજો કર્યો હતો.

આ પહેલાં યુરોપના નેતાઓ સાથે મળીને મૅક્રોંએ કહ્યું કે અમે માનીએ છીએ કે યુરોપના લોકોની સુરક્ષા માટે સાથે મળીને વધારે રોકાણ કરવાની જરૂર છે જે અમારા વર્તમાન અને ભવિષ્ય માટે છે.

એક જાણકારી પ્રમાણે 80 લોકો આ પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા. જે પૈકી 76 મુસાફરો હતા અને ચાર ક્રૂ સભ્યો હતા.

આ દુર્ઘટનાને કારણે પિયર્સન ઍરપૉર્ટ પર લગભગ 26 જેટલી ફ્લાઇટ ડાઇવર્ટ કરી દેવામાં આવી છે જ્યારે કે કેટલીક ફ્લાઇટ્સ મોડી ચાલી રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.