ગુજરાતમાં કયા જિલ્લામાં પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી?

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ગુજરાતમાં પાછલા અમુક દિવસોથી કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો તો કેટલાક જિલ્લામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.

ક્યાંક વરસાદ ઉકળાટથી રાહત અપાવનારો તો ક્યાંક મુશ્કેલીઓમાં વધારો કરનારો સાબિત થઈ રહ્યો છે.

રાજ્યમાં ચોમાસું જામ્યું છે ત્યારે ઘણી જગ્યાએ ખેડૂતો આ તકનો લાભ લઈને ખેતી સંબંધિત પોતાનાં કામો પતાવી રહ્યા છે. જોકે, કેટલીક જગ્યાએ વરસાદે ખેડૂતો માટે આફતની સ્થિતિ પણ સર્જી છે.

હવે ભારતીય હવામાન વિભાગે આગામી અમુક દિવસ દરમિયાન રાજ્યમાં કયાં સ્થળોએ કેવો વરસાદ પડી શકે છે એ સંબંધિત આગાહી કરી છે.

આગાહીની વિસ્તારે વાત કરીએ તો વિભાગે સંક્ષિપ્ત ચિતારમાં દેશમાં રહેલી હવામાનની પરિસ્થિતિ અંગે જણાવ્યું છે. જે પ્રમાણે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા વિસ્તાર અને નિકટના ઉત્તરપૂર્વ બંગાળની ખાડી અને બાંગ્લાદેશ પરનું ડિપ્રેશન પશ્ચિમ-ઉત્તર દિશા તરફ આગળ વધતું જોવા મળ્યું હતું.

તેમજ દરિયાની સપાટીએ જોવા મળેલ મોન્સૂન ટ્રફ જમ્મુ, ચંદિગઢ, બરેલી, ગોરખપુર, પટણા, બાંકુરા, કોલકાતાથી પાસ થઈ રહ્યું હતું.

આ સિવાય ઉત્તરપૂર્વ અરેબિયન સમુદ્રથી ટ્રફ ચંદિગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહેલા સાયક્લોનિક સર્ક્યૂલેશનથી સમગ્ર મહારાષ્ટ્રના સમુદ્રની સપાટીથી 4.5 અને 5.8 કિમી ઉપર જોવા મળ્યો હતો.

આમ, ભારતની મુખ્ય ભૂમિ ભાગો પર પણ હાલ વરસાદને અનુકૂળ સ્થિતિઓ પ્રવર્તી રહી છે.

હવે જાણીએ ગુજરાતમાં ક્યાં કેટલા વરસાદની આગાહી કરાઈ છે?

ક્યાં ક્યાં પડી શકે છે વરસાદ?

આગાહી પ્રમાણે 26 જુલાઈના રોજ ઉત્તર ગુજરાતનાં ક્ષેત્રો જેમ કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર ખાતે મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ સિવાય વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ-દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીરસોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં મોટા ભાગનાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

ઉપરાંત 27 જુલાઈના રોજ પણ પરિસ્થિતિમાં કોઈ ઝાઝો બદલાવ આવવાની શક્યતા નથી.

આગાહી પ્રમાણે ઉપરોક્ત તમામ સહિત, રાજકોટ, જામનગર હળવાથી મધ્યમ કક્ષાનો ગાજવીજ સાથેનો વરસાદ પડવાની સંભાવના છે.

જોકે, દાહોદ, નર્મદા અને છોટા ઉદેપુરમાં કેટલાંક સ્થળોએ છૂટોછવાયો પરંતુ ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતનાં જળાશયો કેટલાં છલકાયાં?

વરસાદ ચાલુ રહેવાના કારણે ગુજરાતનાં જળાશયોમાં પાણીનું સ્તર વધી રહ્યું છે. 23 જુલાઈના આંકડા પ્રમાણે ગુજરાતના 207માંથી 28 ડૅમ છલકાઈ ગયા છે. તેમાં ઉત્તર ગુજરાતના એક પણ ડૅમનો સમાવેશ નથી થતો, પરંતુ મધ્ય ગુજરાતના બે, સાઉથ ગુજરાતના પાંચ, કચ્છના પાંચ અને સૌરાષ્ટ્રના સૌથી વધુ 16 ડૅમ છલકાઈ ગયા છે.

ગુજરાતનાં જળાશયોમાં હાલમાં સરેરાશ 59 ટકા પાણી ભરાયું છે.

રાજ્યનો સૌથી મોટા ડૅમ સરદાર સરોવરના જળાશયમાં અત્યાર સુધીમાં 58 ટકાથી વધુ પાણી ભરાયું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન