ઇઝરાયલનો લેબનોન ઉપર હવાઈ હુમલો, 22 લોકોનાં મૃત્યુ

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ઇઝરાયલે લેબનોન ઉપર ફરી વાર હવાઈ હુમલો કર્યો. લેબનોનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, ઇઝરાયલના હુમલામાં 22 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 117 લોકો ઘાયલ થયા છે.

બીબીસીના સંવાદાતાઓએ પણ રાજધાની બૈરુતના શિયા બહુલ વિસ્તારના બચૌરામાંથી આવતા જોરદાર ધડાકાના અવાજ સાંભળ્યા હતા.

અહીં રાહત અને બચાવકર્મીઓ લોકોને કાટમાળમાંથી બહાર કાઢતા જોવા મળ્યા હતા.

હુમલા પછી અનેક ઍમ્બુલન્સ અમેરિકન યુનિવર્સિટી હૉસ્પિટલમાં તરફ જતી જોવા મળી હતી, માનવામાં આવી રહ્યું છે કે તેમાં આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને લઈ જવાઈ રહ્યા હતા.

અપુષ્ટ મીડિયા રિપોર્ટ્સ મુજબ, હુમલાનું નિશાન હાલમાં જ મૃત્યુ પામેલાં હિઝબુલ્લાહ ચીફ હસન નસરલ્લાહના નજીકના સબંધી વાફિક સફા હતા.

સફા હિઝબુલ્લાહના મોટા સુરક્ષા અધિકારી છે, હિઝબુલ્લાહે અત્યાર સુધીમાં આ હુમલાને લઈ કોઈ પ્રતિક્રિયા નથી આપી.

ગીચ વસતીવાળા વિસ્તારોમાં હુમલો

ઇઝરાયલે કરેલા હુમલામાં બચૌરાની પાસેના ગીચ વસતીવાળા નવિરી અને બાસ્તા વિસ્તારોને ટાર્ગેટ કર્યા હતા.

આ હુમલા દરમિયાન અહીંની રહેણાંક ઇમારતોને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા. રાજધાની બૈરુતમાં છેલ્લાં બે દિવસથી હુમલા નહોતા થયા.

ઇઝરાયલે સેન્ટ્રલ બૈરુતમાં હુમલો કરીને ફરી એક વાર સાબિત કરી બતાવ્યું કે તેઓ અનેક હુમલા કરી શકે છે.

હુમલો કરતાં પહેલાં ઇઝરાયલી સેનાએ કોઈ પણ પ્રકારની ચેતવણી નહોતી આપી, ઇઝરાયલી સેના (આઈડીએફ)એ આ હુમલા પર કોઈ પણ પ્રતિક્રિયા નથી આપી.

આ ત્રીજીવાર છે, કે જેમાં ઇઝરાયલે દક્ષિણના ઉપનગર દાહિયાથી બહાર આકાશી હુમલો કર્યો હોય.દાહીયા પર ઇઝરાયલે સતત હુમલાઓ કર્યા હતા.

આ હુમલાઓમાં હિઝબુલ્લાહના કેટલાક કમાન્ડર માર્યા ગયા હતા અને મોટી સંખ્યામાં હથિયારોનો નાશ કરી દેવાયો હતો.

વૉચટાવર પર ટૅન્કથી હુમલો

સંયુક્તરાષ્ટ્ર અનુસાર ઇઝરાયલ તરફથી વૉચટાવર પર હુમલો કરવાના કારણે ઇન્ડોનેશિયા ના બે શાંતિસૈનિક પણ ઘાયલ થયા છે.

નકોરાના આ વૉચટાવરમાં ઇઝરાયલે ટૅન્કથી હુમલો કર્યો હતો.

યુનાઇટેડ નેશન ઇન્ટ્રિમ ફૉર્સે આ લેબનોન એટલે કે યુનિફીલે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે નકોરાના યુએનમાં આવેલ આ ટાવર પર ફાયરિંગ થયું હતું, જેમાં ઇન્ડોનેશિયા ના શાંતિસૈનિક ઘાયલ થયા હતા.

યુનિફીલ શાંતિરક્ષક મિશન 1978 માં બન્યું હતું. આ વિસ્તારમાં પડોશી દેશો વચ્ચેની દુશ્મવાવટને અટકાવવા અને દક્ષિણ લેબનોનના લોકો સુધી માનવીય સહાયતા પહોંચાડવા માટે તેની સ્થાપના થઈ હતી.

સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે, ઇઝરાયલની સેનાએ ગત 24 કલાક દરમિયાન તેનાં અનેક ઠેકાણાં ઉપર વારંવાર હુમલાઓ કર્યા હતા.

ઇઝરાયલી સેના પર યુનિફીલનાં બે મથક ઉપર લાગાવાયેલાં કૅમેરા અને લાઇટોને નિશાન બનાવ્યાં હોવાના આરોપ લાગ્યા છે.આઈડીએફનું કહેવું છે કે તેણે યુનિફીલના સૈનિકોને "સંરક્ષિત વિસ્તારોમાં ભરાઈ રહેવા"ની સૂચના આપી હતી અને એ પછી જ ફાયરિંગ કર્યું હતું.

યુનિફીલના બે સૈનિકને સામાન્ય ઈજા પહોંચી હતી અને હાલ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

હિઝબુલ્લાહે કહ્યું કે તેણે નકોરામાં ઇઝરાયલી સૈનિકો પર રૉકેટ છોડવામાં આવ્યાં હતાં. આ સિવાય તેમના વિસ્તાર તરફ આવી રહેલી ટૅન્કને પણ ગાઇડેડ મિસાઇલ્સથી નિશાન બનાવી હતી, જેમાં ઇઝરાયલના પક્ષે ખુંવારી થઈ હતી.

ઇઝરાયલે લેબનોનમાં તા. 30 સપ્ટેમ્બરથી હિઝબુલ્લાહ વિરુદ્ધ ઑપરેશન હાથ ધર્યું છે. આ ઑપરેશનમાં ઇઝરાયલી સેનાની ચાર ડિવિઝનને તહેનાત કરવામાં આવી છે.

મુશ્કેલીમાં યુનિફીલ

યુનિફીલના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું હતું કે ઇઝરાયલી સેનાની પ્રવૃત્તિઓથી આ વિસ્તારમાં તહેનાત શાંતિરક્ષક દળ ખૂબ જ ચિંતામાં છે.

પ્રવક્તા ઍન્દ્રે ટૅનેટીએ કહ્યું કે ઇઝરાયલે જે જગ્યાઓ ઉપર હુમલા કર્યો, એ "યુએનની જગ્યાઓ" તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે આ બાબતે ઇઝરાયલી અધિકારીઓ સાથે વાતચીત કરવી પડશે.

યુનિફીલ દક્ષિણ લેબનોનમાં કથિત રીતે બે બ્લૂ લાઇનોની વચ્ચે કામ કરે છે.

આ રેખા લેબનોનને ઇઝરાયલ અને તેના તાબા હેઠળના ગૉલન હાઇટ્સને વિભાજિત કરતી અનઅધિકૃત સીમા છે.

ઇઝરાયલે છેલ્લા અઠવાડિયે યુનિફીલને અહીંથી હઠી જવા કહ્યું હતું, પરંતુ યુનિફીલે ઇન્કાર કરી દીધો હતો.

લેબનોનમાં યુનિફિલના 10 હજાર શાંતિસૈનિક તહેનાત છે. વિશ્વભરના 50 જેટલા દેશો એ અહીં પોતાના શાંતિસૈનિક મોકલ્યા છે. આ સિવાય લગભગ 800 લોકોનો સિવિલિયન સ્ટાફ પણ ફરજ બજાવે છે.

ઇટાલીએ યુનિફીલમાં એક હજાર સૈનિક મોકલ્યા છે. તેણે કહ્યું છે કે આવી ઘટનાઓને સહન નહીં કરવામાં આવે.

ઇઝરાયલે કહ્યું કે ગુરુવારે લેબનોન તરફથી 190 રૉકેટ છોડવામાં આવ્યાં હતાં.

એ પહેલાં લેબનેનનાં આરોગ્ય મંત્રાલયે કહ્યું કે પૂર્વ લેબનોનનાં ગામડાંમાં 4 લોકો માર્યા ગયા અને 17 લોકો ઘાયલ થયા છે.

લેબનોનની સરકારે કહ્યું કે, ઇઝરાયલ સાથે સંઘર્ષ બાદ ગયા વર્ષે ઓછામાં ઓછા 12 લાખ લોકો ઘર છોડી હિજરત કરી જવા મજબૂર બન્યા છે.

હિઝબુલ્લાહે તા. આઠ ઑક્ટોબર, 2023ના રોજ ઉત્તર-ઇઝરાયલ ઉપર રૉકેટથી હુમલા કર્યા હતા.

તેના એક દિવસ પહેલાં 7મી ઑક્ટોમ્બરે ઇઝરાયલ ઉપર હમાસના હુમલાથી 1200 કરતાં વધુ લોકો મૃત્યુ પામ્યાં હતાં. હમાસના હુમલાખોરો 250થી વધુ લોકોને બંધક બનાવીને ગાઝા લઈ ગયા હતા.

હમાસના આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો કે 7 ઑક્ટોમ્બરના રોજ ગાઝા પર હુમલા પછી અત્યાર સુધીમાં 42 હજાર લોકોનાં મૃત્યુ થયાં છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.