અમદાવાદની રથયાત્રા: માહોલ, મિજાજ અને કોરોના

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

અમદાવાદમાં કોરોના મહામારીના પગલે વિવિધ પ્રતિબંધોની વચ્ચે નીકળેલી રથયાત્રા પૂર્ણ થઈ છે. જગન્નાથમંદિરેથી નીકળેલા રથ સરસપુર થઈને નિજમંદિરે પરત ફર્યા છે.

વડોદરામાં પણ ઇસ્કોનમંદિર આયોજિત રથયાત્રા પૂર્ણ થઈ છે.

અમદાવાદની પરંપરાગત રથયાત્રા ગત વર્ષે ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે યોજવામાં આવી નહોતી.

આ વર્ષે 144મી રથયાત્રા યોજાઈ હતી અને સરકારે ગાઇડલાઇનને આધારે રથયાત્રા યોજવાનું આયોજન કર્યું હતું

સરકારે આયોજન મુજબ 22 કિલોમીટરની રથયાત્રાની સફર ચાર કલાકમાં પૂર્ણ કરાવી દીધી હતી.

ત્રણેય રથ નિજમંદિર પરત ફર્યા બાદ ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદમાં રથયાત્રાને પગલે લાગુ કરવામાં આવેલા કર્ફ્યુને હઠાવી લેવાની વાત કરી હતી.

જાડેજાએ લોકોનો આભાર માનતા કહ્યું, 'જે પ્રકારે લોકોને અપીલ કરી હતી કે ભગવાન જગન્નાથનાં દર્શન ઘરે ટીવી અને બીજાં માધ્યમો પર કરજો, તેનું તેમણે પાલન કર્યું તે બદલ આભાર.'

ખલાસીઓ અને પોલીસની હાજરીમાં કર્ફ્યુ વચ્ચે રથયાત્રા

બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય રથયાત્રામાં કાલુપુર સર્કલ પર હાજર હતા અને તેમણે માહોલનું આ રીતે અવલોકન કર્યું હતું.

'કોરોનાકાળમાં જગન્નાથ તો અમદાવાદમાં નગરચર્યાએ નીકળ્યા છે પણ આ રથયાત્રાનો માહોલ પરંરાગત રથયાત્રાથી સાવ નોખો છે, કારણ કે એમાં ભક્તોની પ્રત્યક્ષ હાજરી જ નથી.'

'સામાન્ય રીતે રથયાત્રાની સાથે અને તેના રૂટ પર ઠેરઠેર ભક્તો, ભજનમંડળીઓ, પ્રસાદવિતરણ સહિત ઉત્સવનો માહોલ હોય પણ આ વખતની રથયાત્રા સાવ અલગ છે.'

'આ વખતે રથયાત્રામાં માત્ર ખલાસીઓ અને પોલીસની જ હાજરી જોવા મળી.'

'રથયાત્રાના રૂટ પર કર્ફ્યુ લાદવામાં આવ્યો અને તેનું ચુસ્ત પાલન કરાવવામાં આવ્યું.'

'આને કારણે કાલુપર સ્ટેશનથી અવરજવર કરનારા લોકોને મુશ્કેલી પડી અને અમુક લોકો પગપાળા સામાન લઈ જતા દેખાયા. અમુક ઠેકાણે પોલીસ પણ આવા લોકોની મદદમાં આવી અને તેમને પોલીસવાનમાં સ્ટેશન પહોંચાડવામાં આવ્યા હતા.'

રથયાત્રામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું ખૂબ મુશ્કેલ લાગી રહ્યું હતું.

રથયાત્રામાં રથની સાથે કોવિડ ટેસ્ટિંગની મોબાઇલવાન પણ જોવા મળી રહી હતી.

આ વખતની રથયાત્રામાં ભજનમંડળીઓ, અખાડાઓ, હાથીઓ, પ્રસાદવિતરણ, ભક્તો, ટૅબ્લો અને ટ્રક પણ જોવાં મળ્યાં નથી.

ગુજરાત સરકારને નિયમોને આધીન રથયાત્રાની પરવાનગી આપી ત્યારે બીબીસી સાથેની વાતચીતમાં અમુક ડૉક્ટરોએ કોરોનાને પગલે આને અયોગ્ય નિર્ણય ગણાવ્યો હતો અને તે ગંભીર સ્થિતિ નોતરી શકે એવી ચેતવણી પણ ઉચ્ચારી હતી.

ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન (ગુજરાત ચૅપ્ટર)ના પૂર્વ પ્રમુખ ડૉ. ચંદ્રેશ જરદોશે ગુજરાત સરકારના રથયાત્રાના નિર્ણયને સલામતીભર્યો નિર્ણય માન્યો નહોતો.

તેમણે કહ્યું હતું કે, "તમામ વ્યવસ્થા છતાં જો લોકો એકઠા થશે તો સરકારનો આ નિર્ણય અગ્નિ પર પેટ્રોલ છાંટ્યા બરોબર ગણાશે."

"સરકારે લોકોની ધાર્મિક ભાવનાઓની કદર કરવાની હોય પરંતુ આ સમય યોગ્ય નથી. અહીં પ્રાથમિકતામાં લોકોનું સ્વાસ્થ્ય હોવું જોઈએ. હવે જે નિર્ણય લેવાયો છે તેમ આયોજન પ્રમાણે બધું પાર પડે તેવી પ્રાર્થના કરવા સિવાય આપણી પાસે કોઈ માર્ગ નથી."

તો અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના પ્રમુખ ડૉ. કિરીટ ગઢવીએ અમદાવાદમાં રથયાત્રાનું આયોજન કરવાના નિર્ણયને 'સૂતેલા રાક્ષસને જગાડવા સમાન' ભૂલભરેલો ગણાવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો