You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોદી અને કાશ્મીરી નેતાઓની બેઠકને કેવી રીતે મૂલવી રહ્યાં છે પાકિસ્તાનનાં અખબારો?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે જમ્મુ-કાશ્મીરના આઠ પક્ષોના 14 નેતાઓની બેઠકની પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ઘણી ચર્ચા થઈ રહી છે.
આવું થવું એ સ્વાભાવિક પણ હતું કારણ કે બેઠક કાશ્મીરને લઈને હતી અને બંને દેશો વચ્ચે વિવાદનો મહત્ત્વનો મુદ્દો હજુ પણ કાશ્મીર જ છે.
પાકિસ્તાનનાં અખબારોમાં પણ આ બેઠક હેડલાઇનમાં રહી. પાકિસ્તાનના મહત્ત્વના અંગ્રેજી અખબાર 'ધ ડૉન'માં આ સમાચારને પ્રથમ પેજ પર બૉટમમાં સમાવાયા છે. ડૉને આ રિપોર્ટને કંઈક આવું શીર્ષક આપ્યું છે - 'મોદી કાશ્મીર પર બેઠક કરીને છબિ સુધારવા માગે છે.'
ડૉને પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે, "મોદી સાથે 14 કાશ્મીરી નેતાઓની બેઠકને આશ્ચર્ય પમાડનારી મુલાકાત તરીકે પ્રચારિત કરાઈ હતી. આ બેઠક બાદ દરેક વ્યક્તિ હસતી હસતી બહાર નીકળી. આ બેઠકમાં હુર્રિયત કૉન્ફરન્સનું નામ પણ ન લેવાયું."
"ભૂતપૂર્વ મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તીએ પત્રકારોને જણાવ્યું કે તેમણે રાજકીય કેદીઓને મુક્ત કરવા માટે કહ્યું છે. આ એ જ મહેબૂબા મુફ્તી છે જેઓ જાહેરમાં અનુચ્છેદ 370ને બહાલ કરવાનું કહેતાં હતાં."
ડૉને મહેબૂબા મુફ્તીના એ નિવેદનને પણ જગ્યા આપી છે, જેમાં તેમણે બેઠક બાદ કહ્યું હતું કે, "અમે અનુચ્છેદ 370 માટે લડીશું. પછી ભલે એ લડાઈમાં વર્ષો લાગે કે મહિના. અમને એ વિશેષ દરજ્જો પાકિસ્તાન પાસેથી નહોતો મળ્યો પરંતુ ભારત પાસેથી મળ્યો હતો અને નહેરુએ તે આપ્યો હતો. આ વાત સાથે કોઈ બાંધછોડ ન થઈ શકે."
મોદીની છબિની ચિંતા?
ડૉને પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે, "ભારતના નિયંત્રણવાળા જમ્મુ-કાશ્મીરમાં લોકશાહી બહાલ કરવાને લઈને કેટલાક મતભેદ છે. મોદી ઇચ્છે છે કે ચૂંટણી થતાં પહેલાં પુન:સીમાંકનની પ્રક્રિયા પૂરી થઈ જાય. મોદીએ જમ્મુ-કાશ્મીરનો પૂર્ણ રાજ્યનો દરજ્જો બહાલ કરવાનો પણ વાયદો કર્યો છે પરંતુ તે માટે હજુ ઇંતેજાર કરવો પડશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"એવો રિપોર્ટ છે કે ચીનવિરોધી જૂથ ક્વૉડના નેતા વૉશિંગટનમાં મળી શકે છે. આવી પરિસ્થિતિમાં મોદી માનવાધિકારના મોરચે પોતાની જાતને દુરસ્ત કરવામાં લાગ્યા છે. મોદી ગુરુવારની બેઠક બાદ ખુદને ખુશ જોઈ શકે છે."
આ બેઠક પર ભારતમાં પાકિસ્તાનના હાઇ કમિશનર રહેલા અબ્દુલ બાસિતની પણ નજર હતી. તેમણે આ બેઠકને લઈને યૂટ્યૂબ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. અબ્દુલ બાસિતે આ બેઠકને ભારતનો ડ્રામા ગણાવ્યો છે.
બાસિતે કહ્યું, "આ બેઠકમાંથી જે નીકળ્યું છે. તે એ છે કે જમ્મુ-કાશ્મીરમાં પુન:સીમાંકન પ્રક્રિયા આવતા વર્ષે માર્ચ મહિના સુધી ખતમ થઈ જશે.
"પુન:સીમાંકનનું લક્ષ્ય જ એ છે કે જમ્મુમાં કાશ્મીરની સરખામણીએ બેઠકો વધારવામાં આવે. તેમ છતાં ચૂંટણી કરાવવામાં આવશે."
"પૂર્ણ રાજ્યનો દરજ્જો પણ થઈ જ જશે કારણ કે ભાજપે અગાઉ જ કહ્યું હતું કે પૂર્ણ રાજ્યનો દરજ્જો બહાલ કરવામાં આવશે."
"પરંતુ લદ્દાખ વગર જ આ બધું થશે. પરંતુ આનાથી કંઈ હાંસલ નહીં થાય કારણ કે સુરક્ષા વ્યવસ્થા તો દિલ્હીથી જ કાબૂમાં કરવામાં આવશે."
પાકિસ્તાન માટે મોટો પડકાર
બાસિતે કહ્યું, "ભારત એક હેતુ ધ્યાને લઈને આગળ ચાલી રહ્યું છે. આ મિટિંગ સંપૂર્ણપણે સુનિયોજિત હતી."
"જે 14 લોકોને બોલાવવામાં આવ્યા હતા, તેઓ ભારતના સમર્થક છે. ફારૂક અબ્દુલ્લાહે તો કહી પણ દીધું કે તેઓ તેમના વતનની વાત કરશે ના કે પાકિસ્તાનની."
"નવી દિલ્હી આ નેતાઓનો ઉપયોગ કરી રહી છે. પ્રથમ તેમની ધરપકડ કરાઈ જેથી એવું લાગે કે તેઓ બંડનો ભાગ છે."
"તેમની પ્રાસંગિકતા વધારવા માટે આવું કરાયું હતું. પછી તેમને છોડી પણ દેવાયા અને બેઠકમાં બોલાવી લેવામાં આવ્યા. આ એક ડ્રામા છે. આ તમામ નેતા દિલ્હીના કાબૂમાં છે. "
અબ્દુલ બાસિતે કહ્યું કે, "ભારત પોતાની યોજના અનુસાર જ આગળ વધી રહ્યું છે. જો પૂર્ણ રાજ્યનો દરજ્જો આપી પણ દેવાય તો તેનાથી પાકિસ્તાનને શું. સંવિધાનના સ્તરે જે ફેરફાર આવ્યા છે, તેમાં કોઈ પરિવર્તન નથી થવાનાં.
"મોદીએ બેઠકમાં કહી દીધું છે કે તેમણે જે કરવાનું હતું તે કરી દીધું હવે મામલો સુપ્રીમ કોર્ટમાં છે. મામલો આવી જ રીતે આગળ પણ ચાલશે."
"આપણે રાજી થવાની જરૂર નથી. પાકિસ્તાન માટે એ પડકાર છે કે જમ્મુ-કાશ્મીરમાં તેને લઈને જે ભાવના છે, તેને તેઓ જીવિત રાખે."
અબ્દુલ બાસિતે કહ્યું, "પાકિસ્તાનનું કાશ્મીરીઓ સાથે ઊભું રહેવું ખૂબ જરૂર છે. આપણે નવી દિલ્હી સાથે જંગની શરૂઆત ન કરવી જોઈએ પરંતુ બૅક ચેનલ ડિપ્લોમસીની પણ એક સીમા હોવી જોઈએ."
"મારી સમજ એવી છે કે ભારતે વિશ્વને દેખાડવાનું હતું કે જમ્મુ-કાશ્મીરમાં લોકશાહી બહાલ કરવામાં આવી રહી છે. ભારત પોતાના હિસાબે બધું ઠીક કરી રહ્યું છે."
"હું શરૂઆતથી જ કહી રહ્યો હતો કે જેમને બોલાવવામાં આવ્યા છે, તે લોકો તો ભારતના સમર્થક છે. કાશ્મીરમાં બધું ઠીક હોત તો લાખોની સંખ્યામાં સૈનિક ન રાખવા પડ્યા હોત."
"ભારત આવી જ રીતે આગળ વધી રહ્યું છે. કાશ્મીરીઓને ફિકર છે કે પાકિસ્તાન કંઈ કરી શકશે કે નહીં."
મોદીની મજબૂરી?
પાકિસ્તાની અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યૂને પણ બેઠકનો એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. આ રિપોર્ટમાં લખાયું છે કે મોદી સરકાર જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે પણ તૈયાર છે.
ઍક્સપ્રેસ ટ્રિબ્યૂને પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે, "ભારતના નિયંત્રણવાળા જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવાયો છે."
"હાલ ત્યાં દિલ્હીથી શાસન ચલાવાઈ રહ્યું છે. એ ભાજપના એજન્ડાનો એક ભાગ હતો કે જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને ખતમ કરવાનો છે. આ વાત મોદીના હિંદુ રાષ્ટ્રના એજન્ડાનો એક ભાગ છે."
પાકિસ્તાનની ન્યૂઝ વેબસાઇટ ઇન્ટરનૅશનલ ધ ન્યૂઝે લખ્યું છે કે બેઠકમાં કોઈ મોટો નિર્ણય નથી લેવાયો અને ઘણા કાશ્મીરી નેતાઓએ કહ્યું છે કે તેમને પોતાની માગણી ફરી વાર સરકાર સામે મૂકી છે.
ધ ન્યૂઝ પોતાના રિપોર્ટમાં લખે છે કે, "માત્ર ભારત સમર્થક કઠપૂતળી નેતાઓને બોલાવાયા હતા જ્યારે આઝાદીની માગ કરનારા નેતાઓને નહોતા બોલાવાયા. ભારતે કાશ્મીરના વિશેષ દરજ્જાને લઈને પણ કશું જ નથી કહ્યું."
"આ બેઠક વડા પ્રધાન મોદીએ વિદેશમાં પોતાની ટીકા ઓછી થાય તે માટે બોલાવી હતી."
ધ ન્યૂઝે સેન્ટર ઑફ પૉલિસી રિસર્ચના એક સિનિયર ફેલો સુશાંત સિંહનું એક નિવેદન પણ પોતાના રિપોર્ટમાં લીધો છે, "જિયોપૉલિટિકલ કારણોને લીધે મોદી કાશ્મીરી નેતાઓ સાથે વાત કરવા માટે મજબૂર થયા છે."
"UAE જેવી રીતે બૅક ચેનલ થકી ભારત અને પાકિસ્તાન વચ્ચે વાત કરાવી રહ્યું છે, તેમાં મોદી સરકારની પણ કેટલીક પ્રતબિદ્ધતાઓ નક્કી કરાઈ છે અને આ તેનો જ એક ભાગ છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો