You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત-ચીન સીમાવિવાદ : અમેરિકા ભારત માટે યુરોપમાંથી સૈન્ય ખસેડશે
ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા સીમાવિવાદ પર અમેરિકાની પ્રતિક્રિયા કેવી છે તેના પર સૌની નજર છે. પરંતુ આખા વિવાદ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશમંત્રી માઇક પૉમ્પિયોના અત્યાર સુધીનાં નિવેદન ભારત માટે બહુ ઉત્સાહજનક નથી રહ્યાં. જોકે ગુરુવારે માઇક પૉમ્પિયોએ જે કહ્યું તે ઘણું મહત્ત્વપૂર્ણ છે.
માઇક પૉમ્પિયોએ બ્રઝેલ્સ ફોરમમાં કહ્યું કે ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયામાં ચીનના વધતાં ખતરાને જોતાં અમેરિકાએ યુરોપમાંથી પોતાના સૈન્યની સંખ્યા ઘટાડવાનો નિર્ણય કર્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ જાહેરાત કરી હતી કે અમેરિકા જર્મનીમાં પોતાના સૈનિકોની સંખ્યા ઘટાડશે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પના આ નિર્ણયથી યુરોપીયન સંઘે નારાજી જાહેર કરી હતી.
પૉમ્પિયોએ કહ્યું કે "ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની કાર્યવાહી ભારત, વિયતનામ, ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ અને દક્ષિણ-ચીની સાગર માટે ખતરો છે."
અમેરિકાના વિદેશમંત્રીએ કહ્યું, "અમે એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીનો સામનો કરવા માટે તૈયાર રહીએ. અમને લાગે છે કે આ એક પડકાર છે અને અમે જોઈશું કે અમારી તૈયારી પૂરી છે."
ચીનનો ખતરો
અમેરિકાના વિદેશમંત્રીએ કહ્યું કે ચીન પોતાના પાડોશી દેશો માટે ખતરો બની ગયું છે અને અમેરિકાની નજર તેના પર છે. પૉમ્પિયોએ કહ્યું કે અમેરિકા ચીનના ખતરાને લઈને યુરોપિયન સંઘ સાથે પણ ચર્ચા કરશે.
અમેરિકાના વિદેશમંત્રીએ ભારત-ચીન સરહદ પર લોહિયાળ ઝડપ, દક્ષિણ ચીની સાગરમાં ચીનનો હસ્તક્ષેપ અને અન્ય દેશોને નુકસાન કરે તેવી ચીનની આર્થિક નીતિ વિશે ખુલીને વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પૉમ્પિયોએ કહ્યું કે ટ્રાંસ-ઍટલાન્ટિક ઍલાયન્સે ચીનના ખતરાને લઈને સહયોગ વધારવામાં મદદ કરી હતી.
પૉમ્પિયોએ કહ્યું કે સંઘ અને અમેરિકાએ ચીનના ખતરાને જોતાં મળીને કામ કરવાની જરૂર છે એટલે કોઈ કાર્યવાહી પણ સાથે મળીને કરી શકાય.
તેમણે કહ્યું કે યુરોપ પર હંમેશાં ચીનને લઈને નરમ રહેવાનો આરોપ લાગતો રહ્યો છે.
માઇક પૉમ્પિયોને એ પણ પૂછવામાં આવ્યું કે "શું ચીનની ટેલિકૉમ્યુનિકેશન કંપની ખ્વાવે પણ ચીન સર્વેલાન્સનો ભાગ છે?"
આ પ્રશ્નના જવાબમાં પૉમ્પિયોએ કહ્યું, "ચીનના સુરક્ષાકર્મી આ કંપનીના મુખ્યાલયમાં કામ કરે છે. ચીની કાયદા હેઠળ ડેટા માગવા પર ખ્વાવે કોઈ પણ ડેટા આપી શકે છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની માગ પર આ કંપની ખાનગી ડેટા પણ આપે છે."
યુરોપમાં સેના ઘટાડવાનો અમેરિકાનો તર્ક
જર્મનીમાં અમેરિકા પોતાના સૈનિકોની સંખ્યા 52 હજારથી 25 હજાર કરવા જઈ રહ્યું છે.
પૉમ્પિયોએ અમેરિકાના નિર્ણય પર કહ્યું, "અમુક ખાસ જગ્યાઓ પર અમેરિકન સૈનિકોની સંખ્યા ઘટાડવામાં આવશે જેથી જ્યાં વધારે જરૂરી છે ત્યાં ખતરાનો સામનો કરી શકાય."
"હું ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના ખતરાની વાત કરી રહ્યો છું. હવે ચીનથી ભારતને ખતરો છે, વિયતનામને પણ ખતરો છે. એ સિવાય મલેશિયા, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને દક્ષિણ ચીની સાગરમાં પડકારો વધી રહ્યા છે. એવા વિસ્તારો વધ્યા છે જ્યાં સુરક્ષાને લઈને ચિંતા છે."
"અમેરિકાના નિર્ણયમાં તે વિસ્તારો પર પણ નજર છે જ્યાં ચીનનો ખતરો વધ્યો છે. અમે ઇચ્છીએ છીએ કે અમારા ભાગીદારો વચ્ચે આને લઈને વાતચીત થાય."
આ નિર્ણય માટે ટ્રમ્પની ટીકા પણ થઈ રહી છે. તેમના ટીકાકારોનું કહેવું છે કે આનાથી યુરોપમાં રશિયાનો ખતરો વધશે. જોકે પૉમ્પિયો આ તર્ક સાથે સહમત નથી. તેમણે કહ્યું કે લાંબા સમયથી વિશ્વમાં અમેરિકન સેનાની હાજરીને લઈને સમીક્ષા નહોતી થઈ.
પૉમ્પિયોએ કહ્યું, "અલગઅલગ સમયમાં આવા નિર્ણયો લેવામાં આવે છે. રણનીતિની નજરે સેનાની તહેનાતીની સમીક્ષા અમારે ન કરવી જોઈએ?"
"આપણે ખતરા અને સંઘર્ષ વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ. અમારે જોવું પડશે કે કયો ખતરો કેટલો ગંભીર છે અને તેના હિસાબથી અમે પોતાના સંસાધનો વાપરીશું. આ સંસાધન જાસૂસી અંગે હોય કે વાયુસેના કે પછી મરીન્સને લગતા હોઈ શકે છે."
તણાવ ઘટાડવાની જવાબદારી ભારતની : ચીન
ભારતમાં ચીનના રાજદૂત સુન વેઇડૉંગે સમાચાર એજન્સી પીટીઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં સીમા પર તણાવ ઘટાડવાની જવાબદારી ભારત ઉપર ઠાલવી દીધી.
ચીનના રાજદૂતે કહ્યું કે ભારત અને ચીન પોતાના મતભેદનું સમાધાન શોધવામાં સક્ષમ છે પરંતુ તેની જવાબદારી ભારત પર છે. તેમણે કહ્યું કે પરિસ્થિતિ વધુ જટિલ ન બને તે જોવું રહ્યું.
જોકે તેમણે કહ્યું કે સરહદ પર પરિસ્થિતિ સ્થિર અને નિયંત્રણમાં છે.
છેલ્લાં છ અઠવાડિયાંથી પૂર્વ લદ્દાખના કેટલાક વિસ્તારોમાં ભારત અને ચીનની સેના સામસામે છે.
ત્યાં સુધી કે 15 જૂનના ગલવાન ખીણમાં બંને દેશોની સેના વચ્ચે હિંસક ઘર્ષણમાં 20 ભારતીય સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં.
ચીનના રાજદૂતે કહ્યું કે પરસ્પર આદર અને સમર્થનથી જ સમાધાન આવશે. જોકે તેમણે કહ્યું કે તણાવ ઘટાડવાની જવાબદારી ભારત પર છે ચીન પર નહીં.
ચીનના રાજદૂતે કહ્યું, "ચીન અને ભારત બહુ મોટા વિકાસશીલ દેશ છે. એક અબજથી વધારેની વસતી ધરાવતા દેશો અર્થતંત્રને આગળ વધી રહ્યા છે."
"બંને દેશ વિકાસનાં કામ કરી રહ્યાં છે. જ્યાં સુધી સરહદના તણાવની વાત છે તો તેને ઘટાડવાની જવાબદારી ભારતની છે, ચીનની નહીં. ભારતની સેનાએ લાઇન ઑફ ઍક્ચુઅલ કંટ્રોને પાર કરીને ચીનની સેના પર હુમલો કર્યો હતો. ભારતની સેનાએ સીમાસમજૂતીનું ઉલ્લંઘન કર્યું હતું."
જોકે ભારતે ચીનના આરોપને નકારી કાઢ્યો હતો. ભારતના વિદેશમંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે તણાવ માટે ચીનને જવાબદાર ઠેરવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે "ચીનની સેનાએ યથાસ્થિતિમાં બદલાવની કોશિશ કરી હતી અને દ્વિપક્ષી સમજૂતીનું ઉલ્લંઘન કર્યું હતું."
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો