You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતના એ પાંચ પાક, જે નબળા ચોમાસામાં પણ પાકી જાય અને સારું વળતર આપે
ભારતીય હવામાન ખાતાએ આગાહી કરી છે કે 2026નું નૈર્ઋત્યનું ચોમાસું વરસાદની ઘટવાળું રહેશે. હવામાન ખાતાએ જણાવ્યું છે કે દેશમાં લાંબા ગાળાના સરેરાશ વરસાદના 90 ટકા જેટલો વરસાદ પડશે અને તેમાં ચાર ટકાનો વધારો કે ઘટાડો થઈ શકે છે.
29 મેના રોજ ભારતીય હવામાન ખાતાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે દેશમાં 1971થી 2020 દરમિયાન વરસેલા વરસાદને આધારે આ વરસ માટે લાંબા ગાળાના સરેરાશ વરસાદની ગણતરી કરાઈ છે.
અખબારી યાદી અનુસાર આ 50 વરસ દરમિયાન નૈર્ઋત્યના ચોમાસાની સિઝનમાં સરેરાશ 87 સેન્ટિમીટર એટલે કે 34.25 ઇંચ (2.54 સેન્ટિમીટર=1 ઇંચ) વરસાદ નોંધાયો હતો. તે મુજબ જો આ વર્ષે પણ સરેરાશ 34.25 ઇંચ વરસાદ પડે તો ચોમાસું સારું રહ્યું કહેવાય અને 100 ટકા વરસાદ પડ્યો ગણાય.
પરંતુ હવામાન ખાતાએ આગાહી કરી છે કે 2026માં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન નૈર્ઋત્યના ચોમાસામાં લાંબા ગાળાના સરેરાશ વરસાદના 90 ટકા એટલે કે 30.82 ઇંચ વરસાદ વરસે તેવી શક્યતા છે.
આણંદમાં આવેલી આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ હવામાન વિભાગના વડા પ્રોફેસર મનોજ લુણાગરિયા તેમજ જૂનાગઢમાં આવેલી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ હવામાન વિભાગના વડા પ્રોફેસર ધીમંત વઘાસિયા કહે છે કે આ પ્રકારના વર્તારાવાળા ચોમાસા દરમિયાન વરસાદના બે રાઉન્ડ વચ્ચે લાંબા સમય સુધી વાયરા ફૂંકાવાની શક્યતા રહેતી હોય છે.
કૃષિ નિષ્ણાતો કહે છે કે આવા સંજોગોમાં ખેડૂતો ખરીફ એટલે કે ચોમાસાના પાકોની પસંદગી તેમજ પાક પદ્ધતિમાં થોડી સાવચેતી દાખવે તો વરસાદની ઘટ વચ્ચે પણ સારું વળતર મેળવી શકે છે.
વળી, તેઓ કહે છે કે ગુજરાતમાં વવાતા ધાન્ય પાકો, તેલીબિયાં પાકો અને કઠોળ વર્ગના પાકોમાંથી અમુક ખાસ પાકો ચોમાસા દરમિયાન વરસાદ ખેંચાય અને હવામાન સૂકું થઈ જાય તો તેવા વાયરાના સમય સામે પણ ઝઝૂમવાની ક્ષમતા ધરાવે છે. તેમનું કહેવું છે કે ખેડૂતો પરંપરાગત પાકોને સ્થાને આ પાકોનું વાવેતર કરી શકે છે અથવા તો તેમાંથી કેટલાકની મિશ્ર પાકો કે આંતરપાકો તરીકે વાવણી કરી શકે છે.
તો આ ખાસ પાક કયા છે અને તે કેમ ખાસ છે તેની માહિતી આ લેખમાં આપવાનો પ્રયાસ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાજરી
ગુજરાતમાં ચોમાસા દરમિયાન સામાન્ય રીતે 80 લાખ હેક્ટર કરતાં વધારે વિસ્તારમાં વિવિધ પાકોનું વાવેતર નોંધાય છે. તેમાં મગફળી અને કપાસ મુખ્ય રોકડિયા પાકો છે અને રાજ્યના કુલ વાવેતર વિસ્તારમાંથી લગભગ અડધોઅડધ વાવેતર વિસ્તાર આ બે પાકનો જ હોય છે. ધાન્ય પાકોમાં ડાંગર, મકાઈ અને બાજરી મુખ્ય છે.
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન વિભાગના વડા, પ્રોફેસર કુંજલકુમાર પટેલ કહે છે કે બાજરી તેના વિશેષ ગુણધર્મોને કારણે વાયરામાં પણ ટકી રહે છે અને વાવણીલાયક વરસાદ મોડો આવે તો પણ લઈ શકાય તેવો પાક હોવાથી તેની ગણના 'દુષ્કાળ ખમી જનાર' પાકોમાં કરવામાં આવે છે.
બીબીસી સાથે વાત કરતા પ્રો. પટેલે કહ્યું, "બાજરીના છોડને ઘણી મોટી સંખ્યામાં મૂળ હોય છે, તેથી જમીનમાં ભેજનું પ્રમાણ ઓછું હોય તો પણ આ છોડ ભેજ ખેંચી લેવા સક્ષમ છે. વળી, બાજરીના છોડની રચના એવી હોય છે કે જો તેને લાંબા સમય સુધી પૂરતો ભેજ ન મળે તો પણ છોડ જીવિત રહી શકે છે અને પછી વરસાદ કે પિયત દ્વારા પાણી મળે તો તેને ઝડપથી ગ્રહણ કરી તેનું જીવનચક્ર આગળ વધારી શકે છે. ખાસ બાબત એ છે કે બાજરી 70 દિવસમાં પાકી જતો પાક છે અને જો છોડનો અમુક હદ સુધી વિકાસ થઈ ગયો હોય તો તેનાં ડૂંડાંમાં થોડી-ઘણી માત્રામાં દાણા થઈ જાય છે અને તે રીતે ખેડૂતને થોડું ઘણું ઉત્પાદન મળી જાય છે."
પ્રો. પટેલ ઉમેરે છે કે જો ચોમાસા દરમિયાન વાયરા વાય તો બાજરીના છોડ નાના રહે છે અને પરિણામે આડપેદાશ તરીકે મળતા પશુઓ માટેના ચારાનું ઉત્પાદન ઓછું રહી શકે છે. પરંતુ તેઓ કહે છે, "બાજરીનો પાક ભાગ્યે જ સાવ નિષ્ફળ જાય છે. જો ડૂંડાં ફૂટવાની અવસ્થા પહેલાં જ વાયરા ફૂંકાય અને પછી વરસાદ ન આવે તેવી અતિશય ખરાબ સ્થિતિમાં ખેડૂતો બાજરીના છોડને પશુઓ માટેના ચારા તરીકે વાઢી શકે છે."
સરકાર છેલ્લાં ત્રણેક વર્ષથી ગુજરાતના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે બાજરીની નિયમિત રીતે ખરીદી કરી રહી છે. કેન્દ્ર સરકારે 2026-27ના વર્ષ માટે બાજરીનો લઘુતમ ટેકાનો ભાવ રૂપિયા 580 પ્રતિ મણ નક્કી કર્યો છે. રાજ્ય સરકારના આંકડા અનુસાર ગત વર્ષે ચોમાસામાં 1.77 લાખ હેક્ટરમાં બાજરીનું વાવેતર નોંધાયું હતું.
મગફળી
છેલ્લાં દસેક વર્ષ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતો પાસેથી મગફળીની ટેકાના ભાવે નિયમિત રીતે ખરીદી કરતા અને સાથે સાથે બજાર ભાવ પણ સતત વધતા રહેવાને કારણે રાજ્યના ખેડૂતો મગફળી તરફ વળ્યા છે. ગત વર્ષે લગભગ 22 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર નોંધાયું હતું.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખેતી વિજ્ઞાન વિભાગમાં ઍસોસિએટ પ્રોફેસર વિનોદ ભલુ કહે છે કે મગફળી પણ ઓછા વરસાદની સ્થિતિ સામે ઝઝૂમવાની ક્ષમતા ધરાવે છે.
બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે, "મગફળીનાં મૂળ જમીનમાં ઊંડાં ઊતરી છોડ માટે ભેજ શોષી લેવાની ક્ષમતા ધરાવે છે, તેથી ચોમાસા દરમિયાન વાયરું ફૂંકાય તો તેવો સમય પણ મગફળી ખમી જાય છે. ત્યાર બાદ જ્યારે વરસાદ આવી જાય કે પિયત આપવામાં આવે ત્યારે તે તેનું જીવનચક્ર આગળ ધપાવે છે. વળી, ઊભડી પ્રકારની મગફળીની જાતો વાવેતર બાદ 100 દિવસમાં પાકી જાય છે અને આ રીતે તે ટૂંકા ગાળાનો પાક ગણાય."
પ્રોફેસર ભલુ ઉમેરે છે કે ગિરનાર-4, ગિરનાર-5, ગુજરાત ગ્રાઉન્ડનટ-35, ગુજરાત ગ્રાઉન્ડનટ-38 અને ગુજરાત ગ્રાઉન્ડનટ-39 વહેલી પાકતી ઊભડી પ્રકારની મગફળીની લોકપ્રિય જાતો છે.
પ્રોફેસર ભલુ કહે છે કે જો મહત્ત્વની અવસ્થા દરમિયાન મગફળીને પૂરતો ભેજ ન મળે તો ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. આ જ કારણસર પ્રો. પટેલ મંગફળીને દુષ્કાળ જેવી પરિસ્થિતિ સામે ઝઝૂમવાની આંશિક ક્ષમતા ધરાવતો પાક ગણાવે છે.
તેઓ કહે છે, "અન્ય દુષ્કાળ-સહનશીલ પાકોની સરખામણીએ મગફળીને વધારે પાણીની જરૂર પડે છે, કારણ કે તેમાં ગ્રીન ફોલિએજ (પાંદ અને ડાળીઓ) વધારે હોય છે. તેને સાતથી દસ દિવસે પિયત આપવું પડે છે અને ઘણી જાતો 120 દિવસે પાકે છે, પરંતુ વાયરા દરમિયાન પાકને બચાવી શકાય તેવું પિયત આપવાની સુવિધા હોય તો મગફળી ખેડૂતોને ખૂબ સારું વળતર આપે છે."
પ્રો. ભલુ કહે છે કે મગફળી બહુ સરળ પાક છે. તેઓ કહે છે, "મગફળીને મુખ્ય પાક ગણી તેમાં તુવેર કે એરંડા આંતરપાક તરીકે લઈ શકાય છે. મગફળીમાં કઠોળ વર્ગના મગ કે અડદ તેમજ તેલ જેવાં તેલીબિયાં પાક આંતરપાક તરીકે લઈ શકાય છે. મગફળીમાં મગ, અડદ, સોયાબીન અને તલ મિશ્ર પાકો તરીકે પણ લઈ શકાય છે. આ ઉપરાંત, મગફળી પોતે કપાસના પાકમાં ગૌણ પાક તરીકે વાવી શકાય છે. આમ, મગફળી કેટલીય પરિસ્થિતિઓમાં ઢળી જાય છે."
કેન્દ્ર સરકારે આ વર્ષે મગફળીનો ટેકનો ભાવ રૂપિયા 1503 પ્રતિ મણ નક્કી કર્યો છે.
એરંડા
ઉત્તર ગુજરાતમાં જેને લોકો દિવેલા કહે છે તે એરંડા આમ તો લાંબા ગાળાનો પાક છે. તે 150થી 180 દિવસે એટલે કે પાંચથી છ મહિને પાકે છે. તેમ છતાં તે ઓછા વરસાદ અને વાયરાવાળા હવામાનમાં પણ તૈયાર થઈ જવાની ક્ષમતા ધરાવે છે તેમ પ્રો. પટેલ કહે છે.
"ડ્રાય સ્પેલ (Dry Spell) એટલે કે વાયરું ઘણી વાર જુલાઈમાં આવે છે. દિવેલાનું વાવેતર ઑગસ્ટમાં કરાતું હોવાથી આવા સ્પેલથી તે બચી જાય છે. જો ડ્રાય સ્પેલ ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં આવે તો પણ દિવેલનો છોડ એક વાર બેસી જાય તો તેના મૂળ જમીનમાં ઊંડા ઊતરી જાય છે અને ઊંડે સંગ્રહાયેલા ભેજ સુધી પહોંચી જાય છે. તેથી તે સૂકા હવામાનના ગાળામાં પણ ટકી જાય છે," પ્રો. પટેલ કહે છે.
તેઓ ઉમેરે છે, "વળી જો છોડ મેઇન ઇન્ફ્લોરેસન્સ (main inflorescence) એટલે કે છોડના મુખ્ય દંડ પર ફૂલની કળીઓવાળા ભાગ સુધી વિકસી જાય અને પછી તેને પિયત ન મળે તો પણ ખેડૂતોને 40 ટકા જેટલું ઉત્પાદન મળી શકે છે. ત્યાર બાદ જો વરસાદ પડે કે પિયત મળી જાય તો મુખ્ય દંડ ઉપરાંત ડાળખીઓમાં પણ ઇન્ફ્લોરેસસન્સ આવે છે અને ખેડૂતોને વધારે ઉત્પાદન મળી શકે છે."
પ્રો. પટેલ કહે છે કે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પડાયેલા એરંડા (કેસ્ટર)ની ગુજરાત કેસ્ટર-4, ગુજરાત કેસ્ટર-7 વગેરે જાતો નબળા ચોમાસામાં ટકી રહેવાની ખાસ ક્ષમતા ધરાવે છે.
સોયાબીન
છેલ્લાં દસેક વર્ષ દરમિયાન ગુજરાતમાં સોયાબીનનું વાવેતર વધી રહ્યું છે. ગત વર્ષે 2.77 લાખ હેક્ટરમાં સોયાબીનનું વાવેતર કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાત આ પાકના મુખ્ય પ્રદેશો છે.
કઠોળ વર્ગનો આ તેલીબિયાં પાક સૂકા દિવસોમાં ટકી રહેવાની ખાસ ક્ષમતા ધરાવે છે તેમ પ્રો. પટેલ જણાવે છે. તેઓ કહે છે, "છોડની શરીર રચના અને ટેવોને કારણે સોયાબીનના છોડને જો ભેજનો અભાવ જણાય તો ઝડપથી પાકવા લાગે છે. પરિણામે પાક સાવ નિષ્ફળ જતો નથી."
સોયાબીનની મૂળ-રચના પણ વિસ્તૃત હોય છે તેથી તેનો છોડ જમીનમાં ઊંડેથી તેમજ આજુબાજુના વિસ્તારમાંથી ભેજ મેળવી લેવાની ક્ષમત ધરાવે છે તેમ ડૉ. પટેલ કહે છે. વળી, આ પાકમાં વધારે ઈયળો કે કીટકો આવતાં નથી અને ખાતર આપવાની પણ ખાસ જરૂર રહેતી નથી તેથી ખેતી ખર્ચ ઓછો રહે છે.
કેન્દ્ર સરકાર સોયાબીનની પણ નિયમિત રીતે ટેકાના ભાવે ખરીદી કરે છે. સરકારે આ વર્ષે સોયાબીનનો ટેકનો ભાવ રૂપિયા 1141 પ્રતિ મણ નક્કી કર્યો છે.
મગ, અડદ અને તલ
પ્રો. પટેલ જણાવે છે કે કઠોળ વર્ગના બધા પાકો દુષ્કાળ સામે ઝીક ઝીલવાની તાકાતવાળા છે. તેઓ કહે છે કે નબળા ચોમાસાની અગાહીવાળા વરસમાં મગ અને અડદને મુખ્ય પાક, મગફળી જેવા પાક સાથે મિશ્ર પાક કે આંતરપાક તેમજ કપાસ જેવા પાક સાથે આંતરપાક તરીકે વાવવા સલાહભર્યું કહેવાય.
"કઠોળ પાકોનો સૌથી મોટો ફાયદો એ છે કે તેના છોડ રાઇઝોબિયમ બૅક્ટેરિયાની મદદથી હવામાં રહેલા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે. મૂળમાં થતી ગાંઠો દ્વારા તે જોઈ શકાય છે. પરિણામે કઠોળના પાકને નાઇટ્રોજન માટે યુરિયા જેવા પૂરક રાસાયણિક ખાતરો આપવાની જરૂર રહેતી નથી. સૂકા હવામાનમાં આમ પણ રાસાયણિક ખતરો આપી શકતા નથી, પરંતુ કઠોળ વર્ગના પાક જાતે જ નાઇટ્રોજન મેળવી લેતા હોવાથી જયારે પણ પરિસ્થિતિ અનુકૂળ થાય એટલે છોડ તેનું જીવનચક્ર આગળ ધપાવે છે," એમ પ્રો. પટેલ કહે છે.
તેઓ ઉમેરે છે કે કઠોળ પાકો 70 દિવસ એટલે કે આશરે અઢી મહિનામાં તૈયાર થઈ જાય છે.
પ્રો. પટેલ કહે છે કે તલ પણ સૂકા હવામાનમાં ટકી રહેતો પાક છે અને તેને મુખ્ય પાક, આંતરપાક કે મિશ્ર પાક તરીકે લઈ શકાય છે.
પ્રો. પટેલ કહે છે, "તલના છોડમાં પાંદની સંખ્યા ઓછી હોવાથી વૃદ્ધિ માટે તેને ઓછા ભેજની જરૂર રહે છે. વળી, છોડમાં ડાળખીઓ ફૂટે તે અવસ્થા પહેલાં જ સૂકા વાતાવરણનો પિરિયડ આવી જાય તો મુખ્ય દંડ પર શીંગો આવી જાય છે અને છોડ થોડી-ઘણી માત્રામાં બીજનું ઉત્પાદન કરી લે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન