જો બાઇડન બની શકે છે અમેરિકાના સંકટમોચક : બરાક ઓબામા - Top News

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ મંગળવારે રાષ્ટ્રપ્રમખપદની ચૂંટણીમાં જો બાઇડનની દાવેદારીનું ઔપચારિક સમર્થન કર્યું.

તેમણે કહ્યું કે અમેરિકા જ્યારે મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યું છે ત્યારે જો બાઇડન સંકટમોચક બની શકે છે.

બાઇડન ઓબામાના શાસનકાળમાં લાંબા સમય સુધી ઉપરાષ્ટ્રપતિ રહ્યા હતા.

બરાક ઓબામાએ કહ્યું કે, જો બાઇડન પાસે લાંબો અનુભવ અને ચરિત્ર છે અને તેઓ આપણા કઠણ સમયમાં માર્ગરદર્શન પૂરૂં પાડી શકે છે. લાંબા સમયથી જ્યારે અમેરિકા મુશ્કેલીમાંથી બહાર આવવા મથી રહ્યું છે ત્યારે સંકટમોચક બની શકે છે. મને વિશ્વાસ છે કે જો બાઇડનમાં એ બધા ગુણ છે જે એક રાષ્ટ્રપ્રમુખમાં હોવા જોઈએ.

અમેરિકામાં આ વર્ષે નવેમ્બર મહિનામાં રાષ્ટ્રપ્રમુખપદ માટે ચૂંટણી યોજાવાની છે.

ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્રપ્રમુખ બનવા માટે ચૂંટણી મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે પરંતુ અત્યારે વિશ્વમાં કોરોના સંક્રમણનો સૌથી વધારે પ્રકોપ અમેરિકામાં જોવા મળી રહ્યો છે.

આ પહેલાં બર્ની સૅન્ડર્સ રાષ્ટ્રપ્રમુખપદની ઉમેદવારીના દાવેદાર તરીકે રેસમાં સામેલ હતા પરંતુ તેમણે પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી હતી.

ઍરલાઇન્સ ઉદ્યોગની કમાણીમાં 55 ટકાનો ઘટાડો થવાની આશંકા

ઇકોનૉમિક ટાઇમ્સના એક અહેવાલ મુજબ ઇન્ટરનૅશનલ ઍર ટ્રાન્સપોર્ટ ઍસોસિયેશન કહ્યું છે કે કોરોના મહામારીને કારણે 2020માં વિશ્વમાં ઍરલાઇન્સના પૅસેન્જર રૅવેન્યુમાં 55 ટકાનો ઘટાડો થશે.

ઇન્ટરનૅશનલ ઍર ટ્રાન્સપોર્ટ ઍસોસિયેશન પ્રમાણે મોટાભાગના દેશોએ ફ્લાઇટ્સ પર લગાવેલી પાબંદીને કારણે યાત્રીઓથી થતી કમાણીમાં 314 અબજ અમેરિકન ડૉલરનું નુકસાન થશે.

લગભગ ત્રણ અઠવાડિયા પહેલાં અનુમાન હતું કે ઍરલાઇન ઉદ્યોગને આ મંદીમાં 44 ટકાનું એટલે કે અંદાજે 252 અબજ અમેરિકન ડૉલરનું નુકસાન થશે.

એસોસિયેશનના કાર્યકારી નિદેશક ઍલેગ્ઝેન્ડર ડે જુનિએકે કહ્યું કે આ ઉદ્યોગ માટે આવનારો સમય દિવસે-દિવસે વધારે અંધકારમય દેખાય છે.

પીપીઈ કિટ્સ માટે ચીન પર આધાર, ભારતે આપ્યો 1.5 કરોડ પીપીઈ કિટ્સનો ઑર્ડર

કોરોોના વાઇરસની મહામારી સામે લડવા ભારતે 1.5 કરોડ પીપીઈ કિટ્સનો ઑર્ડર ચીનને આપ્યો છે. આ ઑર્ડરમાં કોરોનાની લડતમાં સામેલ કર્મીઓ માટે ગાઉન્સ, માસ્ક, ગ્લવ્સ અને ગૉગલ્સ વગેરે પણ સામેલ છે.

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ ભારતે 15 લાખ રૅપિડ ટેસ્ટિંગ કિટ પણ ચીન પાસે મગાવી છે જેમાંથી થોડીક કિટ ભારત પહોંચી પણ ગઈ છે.

ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ મિસ્ત્રીએ બીજિંગમાં એક ઑનલાઇન પત્રકારપરિષદમાં આ બાબતે જાણકારી આપી હતી.

ઇન્ડિયન એક્સપ્રેસ લખે છે કે ભારતમાં પીપીઈ કિટની કમીના અહેવાલ પણ સામે આવ્યા છે ત્યારે ભારત પીપીઈ કિટ્સ માટે ચીન પર નિર્ભર છે.

હાલ ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિતોનો આંકડો દસ હજારને પાર કરી ગયો છે.

ભારતની સરકારના અનુમાન મુજબ દેશમાં આવતા બે મહિનામાં 1.5 કરોડ પીપીઈ અને 16 લાખ ડાયગ્નોસ્ટિક કિટ્સની જરૂર પડી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો