અફઘાનિસ્તાનમાં ગુરુદ્વારા પર ઉગ્રવાદી હુમલામાં 25 લોકોનાં મૃત્યુ

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગુરૂદ્વારા પર થયેલા ઉગ્રવાદી હુમલામાં 25 લોકો માર્યા ગયા છે.

ઇન્ટિરિયર મંત્રાલયે કહ્યું છે કે બંદુકધારીઓ ગુરૂદ્વારા પરિસરમાં વહેલી સવારે ઘૂસી ગયો હતો. સુરક્ષાદળો સાથે 6 કલાકની અથડામણ પછી બંદુકધારીને ઠાર કરવામાં આવ્યો છે.

ઇસ્લામિક સ્ટેટે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.

હુમલા સમયે ગુરૂદ્વારામાં 150 લોકો હતા. જોકે, કેટલાય લોકોને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર સવારે આઠ વાગ્યે આત્મઘાતી હુમલાખોરોએ ગુરુદ્વારા પર હુમલો કર્યો હતો.

આ ગુરુદ્વારા સૅન્ટ્રલ કાબુલના શોરબઝાર વિસ્તારમાં આવેલું છે. જ્યારે હુમલો થયો ત્યારે ત્યાં લગભગ 150 લોકો હાજર હતા.

બે વર્ષ પહેલાં જ અફઘાનિસ્તાનમાં શીખો પર ઇસ્લામિક સ્ટેટે હુમલો કર્યો હતો, જેમાં 19 લોકો માર્યા ગયા હતા.

તાલિબાને જણાવ્યું છે કે બુધવારના હુમલામાં તેનો કોઈ હાથ નથી. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક શીખ ગુરુદ્વારા પર ઉગ્રવાદીઓએ હુમલો કર્યો છે.

ઘટનાને નજરે જોનારાઓના મતે ગુરુદ્વારામાંથી વિસ્ફોટો અને ગોળીબારના અવાજો સંભળાયા હતા. હવે સમગ્ર વિસ્તારને અફઘાનિસ્તાનની સ્પેશિયલ ફૉર્સ ઘેરી લીધો હતો.

અફઘાનિસ્તાનના આંતરિક સુરક્ષામંત્રાલયના પ્રવક્તા તારિક એરિયને સમાચાર સંસ્થા એએફપીને જણાવ્યું, "લોકો ઇમારતની અંદર ફસાયેલા હતા અને સુરક્ષાકર્મીઓ તેમને બહાર કાઢવાના પ્રયાસ કરી રહ્યા હતા."

ઘટનાસ્થળની જે તસવીરો મળી રહી છે, તેમાં સુરક્ષાકર્મીઓ લોકોને સ્ટ્રૅચર પર લઈ જતાં દેખાયા હતા.

અફઘાનિસ્તાનની સંસદમાં એક શીખ સાંસદ અનારકલી કૌરે હોનારયારે કહ્યું કે લોકો ગુરુદ્વારામાં સંતાયા છે અને તેમના ફોન બંધ આવી રહ્યા છે. તેમણે કહ્યું કે ગુરુદ્વારામાં લગભગ 150 લોકો છે અને તેમને ભારે ચિંતા થઈ રહી છે.

અફઘાનિસ્તાનમાં આ વખતે રાજકીય અસ્થિરતાનો સમય ચાલી રહ્યો છે. બે ટોચના રાજનેતાઓ અશરફ ઘની અને અબ્દુલ્લાહ અબ્દુલ્લાહે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતપોતાની જીતનો દાવો કર્યો છે.

અમેરિકા આનો ઉકેલ લાવવા પ્રયાસ કરી રહ્યું છે. હાલમાં જ અમેરિકાએ ઉગ્રવાદી સંગઠન તાલિબાન સાથે પણ એક સમજૂતિ કરી છે, જેથી ત્યાં શાંતિ સ્થાપી શકાય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો