You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જિજ્ઞેશ મેવાણીને આસામની કોર્ટે આપ્યા જામીન
વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને આસામની કોર્ટે બીજા કેસમાં પણ જામીન આપ્યા છે.
સમાચાર સંસ્થા એએનઆઈ વકીલ અંશુમન બોરાને ટાંકીને જણાવે છે કે બારાપેટાની જિલ્લા કોર્ટે જિજ્ઞેશ મેવાણીને જામીન આપ્યા છે.
ઉલ્લેખનીય છે દસેક દિવસથી જિજ્ઞેશ મેવાણી આસામ પોલીસની કસ્ટડીમાં છે.
આસામ પોલીસની ટીમે ગત 21 એપ્રિલની રાતે 11.30 વાગ્યાની આસપાસ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સર્કિટ હાઉસથી વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ધરપકડ કરી હતી. તેમની ધરપકડ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંગેની ટ્વિટ મામલે સ્થાનિક ભાજપના નેતાની ફરિયાદ બાદ કરવામાં આવી હતી.
જિજ્ઞેશ મેવાણીને નરેન્દ્ર મોદી અંગેની ટ્વિટ મામલે પોલીસે જામીન આપ્યા તેની તરત બાદ તેમની સામે આસામના બારપેટા જિલ્લામાં બીજો કેસ નોંધવામાં આવ્યો હતો જેમાં પોલીસની કામગીરીમાં રુકાવટ અને પોલીસ સાથે દુર્વ્યવહારનો આરોપ મુકવામાં આવ્યો હતો. આ કેસમાં અદાલતે શરૂઆતમાં જામીન આપવા ઇનકાર કરી જિજ્ઞેશ મેવાણીને પાંચ દિવસ પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે જિજ્ઞેશ મેવાણી સામે કેસ અને ધરપકડને લઈને ગુજરાતમાં અનેક સ્થળોએ ઉગ્ર દેખાવો પણ થયા છે તો વિપક્ષ કૉંગ્રેસે પણ અનેક સ્થળોએ વિરોધપ્રદર્શન કર્યું છે.
જિજ્ઞેશ મેવાણી પોતાની સામે થઈ રહેલી પોલીસ કાર્યવાહીને રાજકીય કિન્નાખોરી ગણાવે છે તો ગુજરાત ભાજપ આ મામલા સાથે કોઈ સંબંધ ન હોવાનું કહે છે.
ઉલ્લેખનીય છે કે જિજ્ઞેશ મેવાણીની ધરપકડ બાદ આસામ પોલીસના સર્ચ વૉરંટ પર ગુજરાત પોલીસે જિજ્ઞેશ મેવાણીના પીએ સહિત અનેક સાથીદારોને ત્યાં પણ સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ ઑપરેશનમાં શું બન્યું તે વાંચો અહીં ક્લિક કરીને.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જિજ્ઞેશ મેવાણી અદાલતની પ્રક્રિયા પૂરી કરીને 30 તારીખે પોલીસ કસ્ટડીમાંથી મુક્ત થઈ શકે છે.
ગુજરાત ગરમીથી ત્રાહિમામ, હીટ વૅવની અસર ક્યાં સુધી રહેશે?
આ વર્ષે ઉનાળામાં એક દાયકામાં સૌથી વધારે ગરમી પડી રહી છે. ગુરુવારે સતત બીજા દિવસે અમદાવાદમાં તાપમાનનો પારો 44 ડિગ્રી સેલ્યિસ પહોંચી ગયો હતો.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર અમદાવાદમાં ગુરુવારે પારો 44.4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો અને આ છેલ્લાં 10 વર્ષનું સૌથી વધારે તાપમાન છે.
તો બુધવારે ઉચ્ચતમ તાપમાન 44.2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું.
હવામાન વિભાગના અધિકારીઓ અનુસાર એપ્રિલમાં ત્રણ દિવસ તાપમાન ઉચ્ચતમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું હતું, આવું છેલ્લાં દસ વર્ષમાં પહેલી વખત બન્યું હતું.
ગુજરાતમાં કંડલા બાદ અમદાવાદમાં સૌથી વધારે તાપમાન નોંધાયું હતું, કંડલામાં ઉચ્ચતમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. હવામાન વિભાગ અનુસાર અમદાવાદ, ગાંધીનગર, સુરત, વલસાડ, રાજકોટ, પોરબંદર અને કચ્છમાં શુક્રવારે પણ હિટ વૅવની અસર રહેવાનું અનુમાન છે.
હવામાન વિભાગના અધિકારી અનુસાર, "ઉચ્ચતમ તાપમાનમાં આવનારા ચારથી પાંચ દિવસમાં કોઈ ફેરફાર આવવાની સંભાવના નથી."
હવામાન વિભાગ અનુસાર દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઓડિશામાં આવનારા પાંચ દિવસ માટે ઑરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
હવામાનને લઈને ચેતવણી આપવા માટે હવામાન વિભાગ ચાર રંગોનો ઉપયોગ કરે છે જેમકે ગ્રીન ઍલર્ટ (કોઈ કાર્યવાહીની જરૂર નથી), યલો ઍલર્ટ (જુઓ અને અપડેટ લેતા રહો), ઑરેન્જ (તૈયારી રાખો) અને રેડ (પગલાં લેવાં).
અયોધ્યામાં પ્રાર્થનાસ્થળને અપવિત્ર કરવાનો પ્રયત્ન કરવાના કેસમાં સાતની ધરપકડ
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર યુપી પોલીસ અનુસાર અયોધ્યામાં પ્રાર્થનાસ્થળને અપવિત્ર કરવાનો પ્રયત્ન કરવાના કેસમાં સાતની ધરપકડ કરવામાં આવી છે.
અયોધ્યામાં ત્રણ મસ્જિદો અને એક દરગાહની બહાર આપત્તિજનક પોસ્ટર્સ અને ધાર્મિક સામગ્રીના ફાડેલાં પાનાં ફેકવાના કેસમાં પોલીસે આ ધરપકડ કરી છે.
પોલીસ અનુસાર દિલ્હીમાં થયેલી ઘટનાઓના વિરોધમાં આ લોકોએ આવું કૃત્યુ કર્યું હતું.
આરોપીઓની ઓળખ મહેશકુમાર મિશ્રા, પ્રત્યુષ શ્રીવાસ્તવ, નીતિન કુમાર, દીપક કુમાર (ઉર્ફે ગુંજન), બ્રિજેશ પાંડે, શત્રુઘ્ન પ્રજાપતિ અને વિમલ પાંડે તરીકે થઈ છે. આ બધા લોકો અયોધ્યાના રહેવાસી છે. પોલીસનું કહેવું છે કે દીપક કુમાર ગૌર 22 વર્ષના છે અને આરોપીઓમાં સૌથી મોટા મહેશ કુમાર મિશ્રા 37 વર્ષના છે.
આરોપીઓની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 295 અને 295-એ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કલમો અંતર્ગત તેમની પર એક ધાર્મિક સમુદાયનું અપમાન કરવા માટે પ્રાર્થનાસ્થળને નુકસાન પહોંચાડવા અથવા અપવિત્ર કરવા, ધર્મ અથવા ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે.
ભારતમાં મિશ્રિત કોરોના વૅરિયન્ટ્સ ખૂબ ઓછા
હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર ભારતના સાર્સ-કોવ-2 જિનોમિક્સ કન્સોર્શિયમના એક રિપોર્ટ અનુસાર કોરોના વાઇરસના બહુ ઓછા મિશ્રિત વૅરિયન્ટ્સ ભારતમાં મળ્યા છે અને આ વૅરિયન્ટ્સથી સંક્રમણ વધવાના મામલા પણ ખૂબ ઓછા છે.
આ રિપોર્ટ અનુસાર આ વૅરિયન્ટ્સને કારણે ગંભીર બીમારી અથવા હૉસ્પિટલમાં દાખલ થવાના મામલા પણ નહોતા જોવા મળ્યા.
યુનાઇટેડ સ્ટેટ્સ સેન્ટર્સ ફૉર ડિઝિઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન અનુસાર રિકૉમ્બિનેન્ટ વૅરિયન્ટ (મિશ્રિત વૅરિયન્ટ) બે અલગ-અલગ વૅરિયન્સ્ટના જિનેટિક મટિરિયલના મિશ્રણથી બને છે.
જિનોમ સિક્વન્સિંગના આધારે ભારતમાં મિશ્રિત વૅરિયન્ટ્સ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળ્યા છે.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો કોરોના વાઇરસ સંક્રમણની નવી લહેર આવે તો પણ તે ગત વર્ષના એપ્રિલ મહિનામાં આવેલી ત્રીજી લહેર જેવી ઘાતક નહીં રહે.
કન્સોર્શિયમનું કહેવું છે કે મ્યૂટેશન્સ પર તેના નેટવર્કની 52 લૅબોરેટરીમાં નજર રાખવામાં આવી રહી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો