8600થી વધુ ગ્રામપંચાયતની ચૂંટણીની મતગણતરી શરૂ, ટૂંક સમયમાં પરિણામ TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ગુજરાતમાં રવિવારના રોજ ગ્રામપંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. આજે મંગળવારે તેની મતગણતરી યોજાઈ રહી છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, ગ્રામપંચાયતની ચૂંટણીમાં રાજ્યભરમાં 77 ટકા મતદાન થયું હતું.

ચૂંટણીપંચ પ્રમાણે, રાજ્યની 10,879 ગ્રામપંચાયતોમાં ચૂંટણી માટે 27, 085 મતદાનમથકો પર 54,387 મતપેટીઓની વ્યવસ્થા રાખવામાં આવી હતી.

જે પૈકી કેટલીક ગ્રામપંચાયતો સમરસ જાહેર થતાં રવિવારના રોજ રાજ્યની 8,686 ગ્રામપંચાયતો અને 48,573 વોર્ડ માટે ચૂંટણી યોજાઈ હતી.

રાજ્યના ચૂંટણીપંચ દ્વારા 22 નવેમ્બરના રોજ આ ચૂંટણીપ્રક્રિયાની જાહેરાત કરાઈ હતી.

ગ્રામપંચાયતની આ ચૂંટણી બૅલેટ પેપરથી યોજાઈ હતી.

ઓમિક્રૉન : ક્રિસમસ દરમિયાન વૅકેશનના પ્લાન રદ કરવા વિશ્વ આરોગ્ય સંસ્થાની અપીલ

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાઇરસના વૅરિયન્ટ ઓમિક્રૉનના ઝડપથી વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને લોકોને ક્રિસમસ વૅકેશનના પ્લાન રદ કરવા અપીલ કરી છે, જેથી સાર્વજનિક સ્વાસ્થ્યની રક્ષા કરી શકાય

ડબલ્યૂએચઓના પ્રમુખ ડૉ. ટેડ્રોસ એડનૉમ ગેબ્રિયેસસે કહ્યું કે, “કાર્યક્રમ રદ કરવા એ જિંદગીને જોખમમાં મૂકવા કરતાં યોગ્ય છે. ”

તેમણે વધુમાં કહ્યું હતું કે, “હવે ’સખત નિર્ણયો’ લેવા પડશે. તેનો અર્થ એ છે કે કેટલાક મામલાઓમાં સમારોહ તેમજ વિવિધ આયોજનો રદ કરવામાં આવે અથવા તો પાછા ઠેલવવામાં આવે. હવે અમારી પાસે પૂરતા પુરાવા છે કે ઓમિક્રૉન ડેલ્ટા કરતાં વધુ ઝડપથી પ્રસરે છે.”

ડૉ. ટેડ્રોસનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ફ્રાન્સ અને જર્મની સહિત અનેક દેશોએ કોવિડ પ્રતિબંધો આકરા કર્યા છે અને તહેવારો ટાણે યાત્રા પર પ્રતિબંધો લાદ્યા છે.

નેધરલૅન્ડ્સમાં ક્રિસમસ દરમિયાન ચુસ્ત લૉકડાઉનનું એલાન કરવામાં આવ્યું છે.

ભારતમાં ઓમિક્રૉનના 80 ટકા દર્દીઓ નહિવત લક્ષણો ધરાવે છે : મનુસખ માંડવિયા

ભારતમાં સોમવાર સુધીમાં નોંધાયેલા કોરોના વાઇરસના વૅરિયન્ટ ઓમિક્રૉનના 161 દર્દીઓ પૈકી 80 દર્દીઓ નહિવત્ લક્ષણો ધરાવતા હોવાનું કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં જણાવ્યું હતું.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, ભારતમાં નોંધાયેલા ઓમિક્રૉનના 161 દર્દીઓ પૈકી 13 ટકા દર્દીઓ હળવાં લક્ષણો ધરાવતા હતા. જ્યારે 80 ટકા દર્દીઓ નહિવત્ લક્ષણો ધરાવતા હતા.

જ્યારે 161માંથી 44 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા હોવાનું તેમણે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર હાલમાં આ વૅરિયન્ટની ગતિવિધિઓ પર ધ્યાન રાખી રહી છે અને વૅરિયન્ટ પર વૅક્સિનની અસર તપાસવા માટે પ્રયોગો પણ ચાલી રહ્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો