આસામમાં બીફ પર પ્રતિબંધનો કાયદો, કેમ થઈ રહ્યો છે વિવાદ? - Top News

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકારની બે બાળકોની નવી નીતિનો વિવાદ એક તરફ ચાલી રહ્યો છે, ત્યાં હવે આસામની ભાજપ સરકારના નવા પશુધન સંબંધિત બિલ પર વિવાદ છેડાયો છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટ મુજબ મુખ્ય મંત્રી હિમંત બિસ્વા શર્મા દ્વારા વિધાનસભામાં લવાયેલા બિલમાં જોગવાઈ છે કે રાજ્યમાં બીફ અથવા તેની બનાવટની વસ્તુઓ હિંદુ, જૈન, શીખ અને બીફ ન ખાતા સમુદાયોની બહુમતી ધરાવનાર વિસ્તારોમાં વેચી નહીં શકાશે.

નવા બિલે પણ ઘણો વિવાદ સર્જ્યો છે. વિપક્ષી દળો પણ આનો વિરોધ કરી રહ્યા છે.

વળી તેમાં એવી પણ જોગવાઈ છે કે સત્ર (વૈષ્ણવી મઠ) અથવા મંદિરોની આસપાસના 5 કિલોમીટરના વિસ્તારમાં બીફ અથવા તેની બનાવટની વસ્તુઓ નહીં વેચી શકાય.

'ધ આસામ કેટલ પ્રિઝર્વેશન બિલ 2021' પશુધન સંબંધિત બીફ મામલેના કતલખાના, સેવન, ગેરકાનૂનીનું નિયમન કરવા લાવવામાં આવ્યું હોવાનું મુખ્ય મંત્રીનું કહેવું છે.

અત્રે નોંધવું કે ઘણા રાજ્યોમાં બીફ (પશુધન કતલ વિરોધી) કાયદા છે. પરંતુ આસામ જે રીતે કેટલાક નિશ્ચિત વિસ્તારોમાં બીફ અથવા તેની વસ્તુઓ મામલે પ્રતિબંધ લાદી રહ્યું છે એવી જોગવાઈઓ તેમાં નથી.

બીજી તરફ વિપક્ષ કૉંગ્રેસે આ બિલનો વિરોધ કર્યો છે. વિપક્ષી નેતા દેબાબ્રત સૈકીયાએ કહ્યું કે આ બિલ ગૌરક્ષા માટે નહીં પણ મુસ્લિમોની લાગણી દુભાવવા લવાયું છે, તેનાથી સમાજમાં વધુ ધ્રુવીકરણ સર્જશે.

નેપાળની સુપ્રીમ કોર્ટે ઓલીના હરીફને પીએમ બનાવવા આદેશ આપ્યો

નેપાળની સુપ્રીમ કોર્ટે સંસદને પુન:સક્રિય કરી ઓલીના હરીફ શેર બહાદુર દેઉબાને વડા પ્રધાન બનાવવા માટે નિર્દેશ આપ્યા છે.

નેપાળમાં છેલ્લા કેટલાક દિવસથી બંધારણીય સંકટ સર્જાયું હતું. કેમ કે કાર્યકારી વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીએ રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીને સંસદ ભંગ કરવા સલાહ આપ્યા બાદ સંસદ ભંગ કરી દેવાઈ હતી.

પાંચ જજોની બંધારણીય પીઠે આ ચુકાદો આપ્યો છે. તેમણે સંસદ ભંગ અને ઓલીની પીએમ તરીકે નિમણૂકને ગેરબંધારણીય ઠેરવી હતી.

કોર્ટના ચુકાદાને પગલે હવે ચૂંટણીઓ નહીં થાય અને સંસદ કાર્યરત થશે. જોકે, દેઉબાને વડા પ્રધાન બનાવવાને લઈને પણ વિવાદ થઈ રહ્યો છે.

ભારતમાં કોરોનાના કેસો ઘટવાની ગતિ ધીમી પડી

ભારતમાં કોરોના વાઇરસના કેસોમાં જૂન મહિનાથી સતત ઘટાડો થતો આવ્યો છે. 1 લાખથી નીચે આવીને કેસ હવે પ્રતિદિન 30-40 હજારની સપાટી પર છે.

જોકે,'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ મુજબ ભારતમાં કોરોનાના કેસો ઘટવાની ગતિ ધીમી પડી છે. બીજી તરફ કેરળમાં નવા કેસો હજુ પણ વધી રહ્યા છે અને મહારાષ્ટ્ર તથા આસામમાં કેસો ઘટવાનો દર ઘટ્યો છે.

ભારતમાં 5 જુલાઈથી 11 જુલાઈ દરમિયાન 2.9 લાખ કેસ નોંધાયા છે, જે તેના અગાઉના આ જ સમયગાળાના સપ્તાહ માટે 3 લાખ કેસ હતા. એટલે તેમાં 5.5 ટકાનો ઘટાડો નોંધાયો છે.

જૂન 28થી જુલાઈ 4ના સમયગાળા પછીનો આ સૌથી ઓછો ઘટાડો છે.

બીજી તરફ ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ નવા 32 કેસ નોંધાયા અને એક મૃત્યુ થયું છે.

જેકી ચેન કૉમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાશે?

હૉંગકૉંગસ્થિત હોલીવૂડ સ્ટાર જેકી ચેન ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાવા ઇચ્છુક હોવાના સમાચાર છે.

ન્યૂઝ વેબસાઇટ 'મની કંટ્રોલ' અનુસાર જેકી ચેનનું કહેવું છે કે કૉમ્યુનિસ્ટ પાર્ટી સારું કામ કરી રહી છે આથી તેઓ તેના સભ્ય બનવા માગે છે.

જેકી ચેને અગાઉ હૉંગકૉંગમાં થયેલા લોકશાહીતરફી વિરોધપ્રદર્શન સામેના દમનનું સમર્થન કર્યું હતું. જેથી તેમની ઘણી ટીકા થઈ હતી. હવે તેમણે એક ભાષણમાં કૉમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો