યશપાલ શર્માનું નિધન-1983નો ક્રિકેટ વિશ્વ કપ: સચીન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગે શું કહ્યું?

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

1983ની ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહી ચૂકેલા ક્રિકેટર યશપાલ શર્માનું હાર્ટ ઍટેકથી નિધન થયું છે.

1983ના ક્રિકેટ વર્લ્ડ કપમાં એમણે શાનદાર દેખાવ કર્યો હતો અને 34.28ની સરેરાશથી 240 રન કર્યા હતા.

ઇંગ્લૅન્ડ સામેની સેમિ-ફાઇનલમાં એમણે 61 રન કરી વિજયમાં મોટી ભૂમિકા ભજવી હતી. એ મૅચમાં એમણે ઇંગ્લૅન્ડના આધારભૂત મિડલ ઑર્ડર બેટ્સમૅન એજે લેમ્બને રન આઉટ પણ કર્યા હતા.

જોકે, મૅન ઑફ ધ મૅચનો ખિતાબ 2 વિકેટ લેવા બદલ અને 46 રન કરી નૉટઆઉટ રહેવા બદલ અમરનાથને મળ્યો હતો.

ભારતે ઇંગ્લૅન્ડને એ મૅચમાં 213 રનમાં ઑલઆઉટ કરી દીધું હતું અને 54.4 ઓવરમાં 217 રન કરી મૅચ જીતી લીધી હતી.

કપિલ દેવની કપ્તાનીમાં તેઓ સૌથી વધારે રન બનાવનારા બીજા નંબરના બૅટ્સમૅન હતા.

વિશ્વ કપમાં તેમણે બે અર્ધસદી ફટકારી હતી. વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ તેમણે 89 રનની ઇનિંગ રમી હતી.

યશપાલ શર્માએ 1978થી 1985 વચ્ચે ભારત માટે 37 ટેસ્ટ મૅચ અને 42 વન ડે મૅચ રમી હતી.

કોણે શું કહ્યું?

અનેક ક્રિકેટરો અને જાણીતા લોકોએ યશપાલ શર્માના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પૂર્વ ક્રિકેટર દિલીપ વેંગસકરે ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત એક અહેવાલમાં કહ્યું કે, આ માની ન શકાય એવું છે, તેઓ અમારા તમામમાં સૌથી વધારે ફિટ હતા.

કીર્તિ આઝાદે કહ્યું, "મને યાદ છે 1983ના વિશ્વ કપની પહેલી જ મૅચમાં ધરખમ બૉલરો ધરાવનારી વેસ્ટ ઇન્ડીઝની ટીમ સામે એમણે જ એજન્ડા સેટ કર્યો હતો અને અમે એ મૅચ જીતી ગયા."

કીર્તિ આઝાદે કહ્યું, "અત્યારે લોકો કહે છે કે રવીન્દ્ર જાડેજાનો થ્રો જોરદાર છે પણ એ જમાનામાં યશપાલ સ્ટમ્પને તાકી દેતા. એ મેદાન પર જીવંત વીજળીનો વાયર હતા અને દર વખતે સ્ટમ્પ ઉડાડી દેતા."

ક્રિકેટર સચીન તેંડુલકરે પણ યશપાલ શર્માના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

ટ્વિટર પર સચીને જણાવ્યું, "યશપાલ શર્માના નિધનથી બહુ આઘાત અને દુઃખની અનુભૂતિ થઈ છે. 1983 વર્લ્ડ કપમાં તેમની રમત જોઈને કાયમ આનંદ થાય છે."

ક્રિકટર વીરેન્દ્ર સેહવાગે ટ્વિટ કર્યું, 1983માં વિશ્વ કપના હીરો યશપાલ શર્માના નિધન વિશે જાણીને આઘાત લાગ્યો છે.

વેકેંટેશ પ્રસાદે ટ્વીટ કરીને કહ્યું, "1983માં વિશ્વ કપ વિજેતા યશપાલ શર્માના મૃત્યુના સમાચાર સાંભળીને દુઃખ થયું. તેમના પરિવાર અને મિત્રો પ્રતિ હું સંવેદના પ્રકટ કરું છું."

હર્ષા ભોગલેએ પણ યશપાલ શર્માના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે ભારતને 1983માં વિશ્વ કપ જિતાડવા પાછળ યશપાલ શર્માની મહત્ત્વની ભૂમિકા હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો