You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોનાના લીધે ઉત્તર પ્રદેશની પંચાયતની ચૂંટણીમાં લાગેલા 700 શિક્ષકોનાં મોત થયાં?
- લેેખક, સમીરાત્મજ મિશ્ર
- પદ, લખનૌથી બીબીસી હિન્દી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમણ વચ્ચે પંચાયત ચૂંટણીને લઈને શરૂઆતથી સવાલ ઉઠાવાતા હતા. પણ હવે ચૂંટણીમાં લાગેલા સેંકડો શિક્ષકોની કોરોનાથી કથિત મૃત્યુ પર એક નવી જ ચર્ચા શરૂ થઈ છે.
પ્રાથમિક શિક્ષક સંઘે રાજ્ય ચૂંટણીપંચ અને યુપીના મુખ્ય મંત્રીને ચૂંટણીફરજમાં લાગેલા 706 શિક્ષકોનાં મોતની સૂચિ સોંપીને બે મેના રોજ થનારી મતગણતરીને રોકવાની માગ કરી છે.
તો બીજી તરફ વિપક્ષ પાર્ટીઓએ મૃતકોના પરિજનોને સહાય આપવાની માગ કરી છે, તો કેટલાક લોકો શિક્ષક સંઘના આ દાવા પર પણ સવાલ ઉઠાવે છે.
પ્રાથમિક શિક્ષક સંઘે આરોપ લગાવ્યો કે ટ્રેનિંગથી લઈને મતદાન સુધી રાજ્ય ચૂંટણીપંચે કોરોના ગાઇડલાઇનનું ક્યાંય પાલન કરાવ્યું નથી, જેથી સ્થિતિ ભયાવહ થઈ ગઈ.
શિક્ષક સંઘે જિલ્લાવાર એક સૂચિ જાહેર કરીને દાવો કર્યો છે કે ચૂંટણીફરજમાં લાગેલા કમસે કમ 706 શિક્ષકો કોવિડ સંક્રમણે લીધે જીવ ગુમાવી ચૂક્યા છે અને મોટી સંખ્યામાં શિક્ષકો સંક્રમિત થઈને બીમાર થયા છે.
સંઘનું કહેવું છે કે શિક્ષકોના પરિવારમાં સંક્રમિતોની કોઈ ગણતરી જ નથી.
ઉત્તર પ્રદેશ પ્રાથમિક શિક્ષક મહાસંઘના અધ્યક્ષ ડૉક્ટર દિનેશચંદ્ર શર્માએ બીબીસીને જણાવ્યું, "ચૂંટણીપંચે કોરોના મહામારી વચ્ચે પંચાયતની ચૂંટણી કરાવી. સંઘે 12 એપ્રિલે અનુરોધ કર્યો હતો કે ચૂંટણી પહેલાં કોવિડથી બચવાની ગાઇડલાઇન્સનું પાલન કરાવવામાં આવે, પણ તેને લઈને કોઈ વ્યવસ્થા કરાઈ નહોતી."
"શિક્ષકો-કર્મચારીઓને સુરક્ષાના ઉપાયો વિના મહામારીના સમયમાં મતદાન કરાવવા મોકલવામાં આવ્યા, જેના લીધે મોટી સંખ્યામાં શિક્ષકો અને કર્મચારીઓ સંક્રમિત થયા. કોરોના સંક્રમણથી અત્યાર સુધીમાં અંદાજે 706 શિક્ષકો જીવ ગુમાવી ચૂક્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો
પોતાના આ દાવા પાછળ દિનેશચંદ્ર શર્માનો તર્ક છે કે દરેક જિલ્લામાં સંગઠનના એકમે ફરજ પરના શિક્ષકો, ફરજ બાદ સંક્રમિત થનારા અને પછી ઇલાજ બાદ મરનારા શિક્ષકોની સૂચિ તૈયાર કરી છે.
ડૉક્ટર દિનેશચંદ્ર શર્મા કહે છે, "બે મેના રોજ થનારી મતગણતરીને લઈને શિક્ષકો અને કર્મચારીઓમાં ડર છે. પંચાયત ચૂંટણી કરાવી દીધી છે, તો પરિણામ કેટલાક દિવસો પછી આવે તો શું નુકસાન છે?"
દિનેશચંદ્ર શર્મા કહે છે કે જો ચૂંટણીપંચ અમારી વાત નહીં માને તો શિક્ષક મતગણતરીનો બહિષ્કાર પણ કરી શકે છે, કેમ કે જીવ બચાવવો મહત્ત્વનો છે.
કોરોના સંક્રમણ વચ્ચે પંચાચત ચૂંટણી કરાવવાને લઈને અલાહાબાદ હાઈકોર્ટે પણ ચૂંટણીપંચ પાસે જવાબ માગ્યો છે.
હાઈકોર્ટે રાજ્ય ચૂંટણીપંચ પાસેથી પંચાયત ચૂંટણીમાં ફરજ દરમિયાન કોરોના સંક્રમણથી મૃત સરકારી કર્મચારીઓની સંખ્યા માગી છે.
અગાઉ દાવો કરવામાં આવ્યો હતો કે કોરોના સંક્રમણને કારણે ફરજમાં રહેલા 135 શિક્ષકોનાં મોત થયાં હતાં. તેના પર સંજ્ઞાન લેતા અલાહાબાદ હાઈકોર્ટે રાજ્ય ચૂંટણીપંચને નોટિસ પાઠવી છે, જેની સુનાવણી ત્રણ મેના રોજ થવાની છે.
બતાવાઈ રહ્યું છે કે રાજ્ય ચૂંટણીપંચે જિલ્લાના અધિકારીઓને આ અંગે યોગ્ય જાણકારી આપવા માટે કહ્યું છે.
જોકે રાજ્ય ચૂંટણીપંચ પાસે આ અંગે જાણકારી માટે અનેક વાર સંપર્ક કરવાની કોશિશ કરાઈ હતી, પણ તેમની સાથે વાતચીત શક્ય બની નહોતી.
રાજ્ય ચૂંટણીપંચના એક વરિષ્ઠ અધિકારી કહે છે, "ત્રણ મેના રોજ પંચને હાઈકોર્ટમાં જવાબ આપવાનો છે, પણ આયોગના મોટા ભાગના અધિકારીઓ પોતે કોરોનાથી સંક્રમિત છે. જોકે પંચે જિલાધિકારીઓને પત્ર લખીને ફરજમાં રહેતા શિક્ષકો અને કર્મચારીઓનાં મોત અંગે વિગત માગી છે."
તો રાજ્ય સરકારનું આ મામલે કહેવું છે કે ચૂંટણી હાઈકોર્ટના નિર્દેશ અનુસાર થઈ છે અને ચૂંટણીપ્રક્રિયા પંચે સંપન્ન કરાવી છે, આથી રાજ્ય સરકારનો આનાથી વધુ કોઈ મતલબ નથી.
રાજ્ય સરકાર કરાવશે આંકડાની તપાસ
રાજ્યના ઉચ્ચ મુખ્ય સચિવ નવનીત સહગલ કહે છે, "ચૂંટણીમાં ફરજ અને બાકી પ્રક્રિયાઓ ચૂંટણીપંચના માધ્યમથી નક્કી કરાઈ હતી. જોકે શિક્ષક અને અન્ય કર્મચારી રાજ્ય સરકારના કર્મચારી હતા. આથી તેમનાં મૃત્યુ થયાં છે, તો સરકાર તેને ધ્યાને લેશે અને તેમના પરિજનોને નિયમોનુસાર યોગ્ય મદદ પણ કરાશે."
જોકે એ વાત પર નવનીત સહગલ પણ હેરાન છે કે ચૂંટણીફરજમાં સામેલ મૃતકોની સૂચિ બે દિવસમાં 135થી વધીને 706 સુધી કેવી રીતે પહોંચી ગઈ.
સહગલ કહે છે કે રાજ્ય સરકાર પણ આ આંકડાઓનું સત્ય તપાસશે અને જો એ સાચું હોય તો પરિજનોને યોગ્ય અને નિયમોનુસાર મદદ કરાશે.
સૂચિ ભલે હેરાન કરનારી હોય પણ તમામ જિલ્લાના શિક્ષકો અને કર્મચારીઓના કોરોનાથી સંક્રમિત થવાની અને ઘણા લોકોનાં સારવાર દરમિયાન મૃત્યુના સમાચારો પંચાયત ચૂંટણીના પહેલા તબક્કા એટલે કે 15 એપ્રિલ બાદ આવવા લાગ્યા હતા.
આગ્રામાં પંચાયત ચૂંટણીમાં ફરજ પરથી પરત ફરેલા પ્રાથમિક સ્કૂલના છ શિક્ષકોનાં કોરોનાથી મૃત્યુ થયાં હતાં, જેમાંના ચાર પરિષદીય સ્કૂલો અને એક સહાયતાપ્રાપ્ત વિદ્યાલયમાં કાર્યરત હતા.
ઉત્તર પ્રદેશના સિનિયર પ્રાથમિક શિક્ષક સંઘના જિલાધ્યક્ષ ડૉ. મહેશકાંત શર્મા કહે છે કે જિલ્લાના શિક્ષક 15 એપ્રિલે પંચાયત ચૂંટણીમાં ફરજ પૂરી કરીને પાછા આવ્યા હતા.
બાદમાં તેમને તાવ, શરદી અને ખાંસી થઈ હતી. આ બધાનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ હતો, જેમાં છ લોકોએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો.
દરમિયાન આ મામલે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે ટ્વીટ કર્યું કે જે અધિકારી, શિક્ષક અને કર્મચારીઓનાં કોરોનાથી મૃત્યુ થયાં છે, તેમને સરકારે 50 લાખની આર્થિક સહાય આપે.
તો કૉંગ્રેસનાં મહાસચિવ અને પ્રદેશ પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ લખ્યું કે પંચાયત ચૂંટણીમાં મોટી સંખ્યામાં શિક્ષકોનાં મૃત્યુ બિહામણાં છે. તેમને 50 લાખ રૂપિયાની સહાય અને આશ્રિતોને નોકરી આપવામાં આવે.
યુપીમાં પંચાયત ચૂંટણી ચાર તબક્કામાં થઈ હતી અને અંતિમ તબક્કાનું મતદાન 29 એપ્રિલે થયું હતું, જ્યારે મતગણતરી બે મેના રોજ થશે.
પ્રાથમિક શિક્ષક સંઘનું કહેવું છે કે મતદાનમાં લાખ પ્રયત્નો છતાં ફરજ આપી, જેનું પરિણામ શિક્ષકોને ભોગવવું પડ્યું, પણ કમસે કમ આટલા તીવ્ર સંક્રમણને જોતા મતગણતરીનો કાર્યક્રમ રોકી દેવો જોઈએ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો