You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં કાકીનું અમદાવાદમાં કોરોનાને કારણે અવસાન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં કાકી નર્મદાબહેનનું કોરોનાને કારણે અવસાન થયું છે.
આ વાતની પૃષ્ટિ વડા પ્રધાનના મોટાભાઈ પ્રહ્લાદ મોદીએ બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યને આ વાતની પુષ્ટિ કરી હતી.
નર્મદાબહેનને કોરોના થયો હતો અને છેલ્લા દસેક દિવસથી તેઓ અમદાવાદની સરકારી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતાં, પરંતુ છેલ્લા કેટલાક દિવસો દરમિયાન તેમની તબિયત કથળી હતી.
80 વર્ષીય નર્મદાબહેન અમદાવાદના નવા રાણીપ વિસ્તારમાં તેમનાં સંતાનો સાથે રહેતાં હતાં
ઉલ્લેખનીય છે કે દામોદરદાસ મોદી તથા નર્મદાબહેનના પતિ જગજીવનદાસ સગા ભાઈ થાય.
વિજય રૂપાણીનો આખરે સ્વીકાર: 'બેડ, ઓક્સિજન અને દવાઓ મેળવવામાં જનતાને તકલીફ પડી છે'
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ મંગળવારે સાંજે રાજ્યની જનતાને જાહેર સંબોધન કર્યું હતું, જેમાં તેમણે જે 29 શહેરમાં નિષેધાત્મક આદેશ લાદવામાં આવ્યા છે, ત્યાં ચુસ્તપણે પાલન કરવા આહ્વાન કર્યું હતું.
રૂપાણીએ રાજ્ય સરકારે કરેલી કામગીરીઓને ગણાવી હતી અને દાવો કર્યો હતો કે એક મહિનાના ગાળામાં બેડની સંખ્યા નોંધપાત્ર વધારો કરવામાં રાજ્ય સરકારને સફળતા મળી છે.
રૂપાણીએ સ્વીકાર્યું હતું કે રાજ્યમાં જનતાને કોવિડના બેડ, ઓક્સિજન તથા દવાઓ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પહેલાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની કામગીરી પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને તેની ઝાટકણી કાઢી હતી.
'અચાનક સ્થિતિ ખતરનાક બની'
અચાનક સ્થિતિ વધુ ખતરનાક બની અને બીજો વૅવ વધુ ભયાનક નીવડ્યો. સંક્રમણ ભયાનક રીતે ફેલાયું અને દૈનિક 14 હજારના હિસાબથી કેસ આવ્યા.
થોડા દિવસ પહેલાં સ્થિતિ અલગ હતી અને 'આપણે કોરોના સામેની લડાઈ જીતી ગયા હોય, એ રીતે કેસ ઘટી ગયા હતા.'
રૂપાણીએ સ્વીકાર્યું હતું કે બેડ મેળવવામાં, ઓક્સિજન મેળવવામાં કે દવા મેળવવામાં મુશ્કેલી પડી રહી છે, પરંતુ આવી પડેલી આપત્તિને મ્હાત કરીને ગુજરાત આગળ વધશે.
પહેલી ઓપ્રિલથી તા. 26 એપ્રિલ દરમિયાન બે લાખ લોકો સંક્રમિત થયા, જેમાંથી 92 હજાર દરદી સાજાં થઈને ઘરે ગયા છે, એવો દાવો રૂપાણીએ કર્યો હતો.
સરકારની સિદ્ધિ ગણાવતા રૂપાણીએ કહ્યું, 15મી માર્ચ આજુબાજુ ગુજરાતની પાસે 41 હજાર બેડ હતા, જ્યારે એક મહિનામાં આ સંખ્યાને વધારીને 94 હજાર સુધી પહોંચાડવામાં સરકારને સફળતા મળી છે. 15મી માર્ચ આજુબાજુ 16 હજાર જેટલા ઓક્સિજન બેડ હતા, જેની સંખ્યા વધીને 52 હજાર પર પહોંચી ગયા છે.
એક મહિનામાં પાંચ લાખથી વધુ ઇન્જેકશન પૂરા પાડવામાં આવ્યા છે, બે લાખ તબીબો તથા મેડિકલ સ્ટાફ કામે લાગેલો છે.
સરકાર, અધિકારીઓ, તબીબી સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓએ દિવરાત જોયા વગર કામ કરી રહ્યા છે.
આ સિવાય કેન્દ્ર સરકાર દ્વારા દૈનિક એક હજાર મેટ્રિક ઓક્સિજન ઉપલબ્ધ થઈ રહ્યો છે, માર્ચ મહિનામાં આ જરૂરિયાત 150 મેટ્રિક ટન જેટલી જ હતી.
કોરોના સામે 'યુદ્ધ' ચાલી રહ્યું છે અને સત્તાનું વિકેન્દ્રિકરણથી નીચેના સ્તરે સુધી સત્તા આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે તબીબીક્ષેત્રના નિષ્ણાતો, વિપક્ષ, કેન્દ્ર સરકાર તથા દેશવિદેશના પ્રબુદ્ધ વર્ગે કોરોનાની બીજી લહેરની આશંકા વ્યક્ત કરી હતી, જેની અવગણના કરવામાં આવી હોવાના આરોપ રૂપાણી સરકાર પર લાગી રહ્યા છે.
ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે ચિંતા કરતા સ્વસંજ્ઞાન દ્વારા સુઓ મોટો અરજી દાખલ કરી, તે પહેલાં પણ રાજ્યની સ્થિતિ અંગે ચિંતા પ્રગટ કરી હતી.
'કર્ફ્યુ નથી પણ....'
રૂપાણીના કહેવા પ્રમાણે, રાજ્યના 29 શહેરોમાં સાંજે આઠથી સવારે છ વાગ્યાનો માત્ર રાત્રિ કર્ફ્યુ લાદવામાં નથી આવ્યો, પરંતુ દિવસની કામગીરીમાં પણ નિયંત્રણ લાદવામાં આવ્યા છે.
સવારે છથી આઠ દરમિયાન બહાર નીકળવાનો કર્ફ્યુ નથી પરંતુ નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આથી જ શૉપિંગ મૉલ, શૉપિંગ કૉમ્પલેક્સ, જિમ વગેરે બંધ કરવામાં આવ્યા છે.
રૂપાણીએ 29 શહેરના લોકોને કહ્યું કે 'બે હાથ જોડીને વિનંતી કે તેઓ બહાર ન નીકળે અને ભીડ એકઠી ન થાય અને સંક્રમણ ન ફેલાય.'
રૂપાણીએ ગામડાંના સરપંચ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગામમાં બેઠક કરીને પબ્લિક હેલ્થ સેન્ટર મારફત તમામ ગ્રામીણોની તબિયતનું પરીક્ષણ કરવામાં આવે તથા તેમાંથી જેમનામાં કોવિડ લક્ષણ હોય તેમને શાળામાં કે કોઈ સમાજની વાડીમાં અલગ રાખવામાં આવે અને તેમના પરીક્ષણ કરાવવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવે.
કોરોના અંગે માલૂમ પડે કે તત્કાળ પરીક્ષણ કરાવીને સારવાર શરૂ કરાવી દેવામાં આવે, જેથી કરીને તેઓ ગામમાં ફરીને અન્યોને ચેપ ન લગાડે તથા તેમની સ્થિતિ કથળે અને ઓક્સિજનની જરૂર પડે તેવા સંજોગ ઊભા ન થાય.
રૂપાણીએ લોકોને એકજૂટ થઈને SMS (સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક તથા સૅનિટાઇઝર)નો ચુસ્તપણે અમલ કરવા આહ્વા કર્યું હતું.
ગુજરાતમાં હાઈકોર્ટની ટકોર છતાં 108માં ન આવનાર દર્દીઓને હૉસ્પિટલો દાખલ નથી કરતી?
કોરોના છે? કે બધાં સંભવિત લક્ષણો છે? અને તાત્કાલિક સારવારની જરૂર હોય એવું લાગે છે?
ગુજરાતમાં આ ઉપરોક્ત તમામ પરિસ્થિતિઓ કોઈ વ્યક્તિને હૉસ્પિટલમાં સારવાર મેળવવા માટે લાયક બનાવતી નથી.
જો કોઈ દર્દી ગુજરાતમાં કોરોનાની સારવાર લેવા માગતી હોય તો ફરજિયાત 108 ઍમ્બ્યુલન્સમાં હૉસ્પિટલે આવવાની ફરજ પાડવામાં આવે છે. આવી વ્યાપક ફરિયાદો ગુજરાતમાં પાછલા ઘણા દિવસોમાં જોવા મળી છે.
આ અંગે હાઈકોર્ટે પણ ટકોર કરી હોવા છતાં હજુ સુધી પરિસ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી.
ધ સ્ક્રોલ ડોટ ઇનના એક અહેવાલ અનુસાર એક અમદાવાદની એક સરકારી કોવિડ હૉસ્પિટલના અધિકારીએ તેમને જણાવ્યું હતું કે આ નિયમ મુખ્ય હૉસ્પિટલમાં નથી અનુસરાઈ રહ્યો પરંતુ AMCના ક્વૉટાવાળી પથારીઓ માટે જ આ નિયમ લાગુ પાડવામાં આવે છે, જોકે હાલ અમારી પાસે બંનેમાંથી કોઈ પણ બેડ ખાલી નથી.
આ સિવાય અન્ય એક જુનિયર અધિકારીએ જણાવ્યું હતું કે સરકારે મ્યુનિસિપલ કૉર્પોરેશન માટે દર્દીઓને દાખલ કરવાની પ્રક્રિયામાં સંકલન સારી રીતે થઈ શકે તે હેતુથી આ નિયમ ઘડ્યો છે. તે બદલાવાનો પણ છે. પરંત હજુ સુધી તો આ નિયમ લાગુ છે.
નોંધનીય છે કે તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં DRDO ધનવતંરી હૉસ્પિટલનું ઉદ્ઘાટન કરાયું હતું.
જેમાં અમદાવાદમાં કોરોનાના દર્દીઓ માટે 900 પથારીની વ્યવસ્થા કરાઈ છે પરંતુ ત્યાં પણ હાલ 108 સિવાય ખાનગી વાહનોમાં આવેલા લોકોને દાખલ કરાતા નથી. જે કારણે કથિતપણે હૉસ્પિટલની સામે જ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
નોંધનીય છે કે તાજેતરમાં જ અમદાવાદની યુ. એન. મહેતા હૉસ્પિટલમાં કોરોનાનાં હળવાં લક્ષણો દેખાયાં બાદ દાખલ થનાર નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલને તાત્કાલિક બેડ મળવા અંગે અને 108નો પ્રોટોકોલ ન અનુસરવો પડ્યો હોવાની ફરિયાદ સોશિયલ મીડિયા પર ઊઠી હતી.
નરેન્દ્ર મોદીને ફોન બાદ જો બાઇડને કહ્યું, 'ભારતે મુશ્કેલીમાં સાથ આપ્યો હતો'
ભારતમાં પાછલા કેટલાક સમયથી કોરોના વાઇરસની બીજી લહેરમાં અત્યાર સુધીના સૌથી વધુ કોરોનાના દર્દીઓ મળી આવી રહ્યા છે. આ કપરા સમયે વિશ્વના જુદા જુદા દેશો ભારત પ્રત્યે સંવેદના વ્યક્ત કરી મદદનો હાથ લંબાવી રહ્યા છે. આ કડીમાં વિશ્વના સૌથી તાકાતવાર દેશ અમેરિકાનું પણ નામ સામેલ થઈ ગયું છે.
સોમવારે વડા પ્રધાન મોદી સાથે ફોન પર વાત કર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપિત જો બાઇડને કહ્યું હતું કે, "અમેરિકાની મુશ્કેલ ઘડીમાં ભારતે અમેરિકનોનો સાથ આપ્યો હતો. હવે અમેરિકા જ્યારે ભારત જાહેર સ્વાસ્થ્ય ક્ષેત્રના તેમના સૌથી કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે તેનો સાથ આપશે."
નોંધનીય છે કે બાઇડેન પ્રશાસન દ્વારા ભારતને આ આપદામાં મદદ કરવા માટેનાં ચક્રો ગતિમાન કર્યાં છે.
વાઇટ હાઉસ દ્વારા ભારત માટે ઓક્સિજન સપ્લાય, રસી બનાવવા માટેના કાચા માલની વ્યવસ્થા, જીવનરક્ષક દવાઓનો જથ્થો અને PPE કિટ વગેરે મોકલાવવાની જાહેરાત કરાઈ છે.
જો બાઇડેન વડા પ્રધાન મોદી સાથે ફોન પર વાત કર્યા બાદ ટ્વીટ કરીને ભારત પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
ગુજરાત : કોરોનાનો આંકડો પાંચ લાખ પાર, સંક્રમણ મામલે રાજ્ય વિશ્વના ઘણા દેશો કરતાં આગળ
ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ રવિવારે રાજ્યમાં કોરોનાનો આંકડો પાંચ લાખ કેસોની પાર પહોંચી ગયો હતો. રવિવારે 14,340 નવા કેસો નોધાયા હતા. આ સાથે જ રાજ્યમાં કુલ દર્દીઓનો આંક 5,10,373 થઈ ગયો હતો.
આટલું જ નહીં 158 લોકોનાં મૃત્યુ પણ થયાં હતાં. મૃત્યુ અને કેસોની બાબતમાં આ ગુજરાતનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.
જોકે, ઘણા નિષ્ણાતો અને પ્રજાજનોની ફરિયાદ છે કે રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા કોરોનાના કારણે થયેલાં મોત અને કેસોના ખરા આંકડા જારી કરાતા નથી.
જોકે, રાજ્ય સરકાર વારંવાર સ્પષ્ટતા કરી ચૂકી છે કે તેઓ તમામ ગાઇડલાઇનો અનુસરીને કોરોનાના કેસો અને મૃત્યુના ખરેખરા આંકડા જારી કરી રહ્યા છે. પરંતુ આ મામલે શંકાનું વાતાવરણ સમેટાવાનું નામ નથી લઈ રહ્યું.
નોંધનીય છે કે સરકારી અધિકારીએ કરેલી ખરાઈ પ્રમાણે માત્ર રાજકોટના એક ગામમાં જ પાંછલા અમુક દિવસમાં જ 45 જેટલાં મૃત્યુ થઈ ચુક્યા છે. ત્યારે સરકારી આંકડાની ખરાઈ બાબતે શંકા પેદા થવાનું સ્વાભાવિક છે.
કેટલીક પ્રખ્યાત સમાચાર સંસ્થાઓએ રાજ્યનાં સ્મશાનોની મુલાકાત લઈને મૃત્યુના આંકડાઓમાં ભારે તફાવત હોવાની વાત કરી હતી. આ સાથે જ કેસોની બાબતમાં પણ હજુ ઘણા લોકો રાજ્ય સરકારના ચોપડે ન નોંધાતા હોવાની ફરિયાદ છે. જોકે રાજ્ય સરકાર આ અંગે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થતી હોવાનો દાવો કરે છે.
સરકારી બોન્ડવાળા તમામ ડૉક્ટરોને તાત્કાલિક કોવિડ ડ્યૂટી જોઇન કરવા આદેશ
NDTV ડોટકૉમના એક અહેવાલ પ્રમાણે ગુજરાત સરકારે રાજ્યમાં સરકારી બોન્ડવાળા તમામ MBBS ડૉક્ટરોને તાત્કાલિક કોવિડ ડ્યૂટી પર હાજર થવાનું ફરમાન કર્યું છે.
નોંધનીય છે કે રાજ્યમાં હાલ કોરોનાની મહામારીના કારણે ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફની ભારે અછત સર્જાઈ છે.
આ મામલે સરકારે જારી કરેલા આદેશમાં કહેવાયું છે કે જે ડૉક્ટરો આ ફરજિયાત ડ્યૂટી પર હાજર થવામાં ચૂક કરશે તો તેમની સામે એપિડેમિક ડિસીઝ ઍક્ટની જોગવાઈઓ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.
સરકારી નૉટિફિકેશન અનુસાર રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ગુજરાતમાં ઠેરઠેર ઘણી નવી કોવિડ હૉસ્પિટલો ઊભી કરાઈ રહી છે.ૉ
ચાલુ હૉસ્પિટલોમાં પથારીઓની સંખ્યા વધારાઈ રહી છે. જે કારણે દર્દીઓના વધતાં જતાં પ્રવાહને પહોંચી વળવા માટે ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફની રાજ્યના આરોગ્યતંત્રમાં ભારે જરૂરિયાત ઊભી થઈ છે.
પરંતુ અહીં એ વાત નોંધવી ઘટે કે રાજ્યમાં ઘણા ડૉક્ટરો પ્રાઇવેટ પ્રૅક્ટિસ કરવાનું પસંદ કરે છે. અને સરકારી નોકરીઓ સ્વીકારતા નથી. ઘણા ડૉક્ટરો ફરજિયાત સેવાનો સરકારી નિયમ ન પાળવા માટે મસમોટી દંડની રકમ ચૂકવવા પણ તૈયાર થઈ જાય છે.
તાજેતરમાં જ રાજ્યની હૉસ્પિટલોમાં સ્ટાફની અછત નિવારવા માટે જુદા જુદા મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ડૉક્ટરો અને અન્ય સ્ટાફની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. ઊંચા પગારધોરણ છતાં આ પ્રક્રિયાને ખૂબ મોળો પ્રતિસાદ મળ્યો હોવાનો દાવો કરાય છે.
જોકે, રાજ્ય સરકાર વારંવાર રાજ્યમાં ઓક્સિજન, પથારી, ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફની કોઈ અછત ન હોવાની વાત કરી ચૂકી છે.
ગુજરાતમાં ઘટ વચ્ચે જામનગરથી 44 ટન ઓક્સિજન ભરેલી ટ્રેન મહારાષ્ટ્ર પહોંચી
દેશભરમાં હાલ કોરોનાના દર્દીઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થવાના કારણે ઓક્સિજનની ભારે તંગી સર્જાઈ છે. આ અછતથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો પૈકી મહારાષ્ટ્ર અને ગુજરાત પણ હોવાનું કહેવાય છે.
આ રાજ્યોમાં ઘણા દર્દીઓએ ઓક્સિજનના અભાવના કારણે જીવ છોડી દીધાના અહેવાલ પાછલા કેટલાક દિવસોમાં જોવા મળ્યા છે. કંઈક આવી જ પરિસ્થિતિ દેશના પાટનગર દિલ્હીની પણ છે.
એક તરફ સ્થાનિક મીડિયામાં જ્યાં ગુજરાતની હૉસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન હોવાની વાત કરાઈ રહી છે, ત્યાં ગુજરાતના જામનગરથી ઓક્સિજન એક્સપ્રેસ મારફતે 45 ટન ઓક્સિજન મહારાષ્ટ્ર પહોંચાડી દેવાયો છે.
ધ બિઝનેસ સ્ટાન્ડર્ડ ડોટકૉમમાં આ અંગેના સમાચાર પ્રકાશિત થયા છે.
નોંધનીય છે કે તાજેતરમાં જ ભારતીય રેલવે દ્વારા ઓક્સિજનની અછતને પહોંચી વળવા માટે વિશેષ ઓક્સિજન એક્સપ્રેસો દોડાવવામાં આવી રહી છે.
ગુજરાતની હૉસ્પિટલોમાં તેમજ ઘરે સારવાર મેળવી રહેલા લોકો માટે ઓક્સિજનના જથ્થાની ભારે અછત ઊભી થઈ હોવાની મોટા પ્રમાણમાં ફરિયાદો થઈ રહી છે. ગુજરાતના કુવાડવા ગામના સ્થાનિકોના દાવા પ્રમાણે તેમના ગામમાં જ માત્ર ઓક્સિજનની અછતને કારણે પાછલા 16 દિવસમાં 53 લોકો ગુજરી ગયા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો