You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ત્રિવેન્દ્રસિંહના રાજીનામા બાદ ઉત્તરાખંડમાં ભાજપના નવા મુખ્ય મંત્રી કોણ બનશે?
મંગળવારે અપેક્ષા મુજબ ઉત્તરાખંડના રાજકારણમાં પરિવર્તન આવ્યું હતું. રાજ્યના મુખ્ય મંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
ભાજપના ધારાસભ્યોના એક વર્ગમાં રાવતની કાર્યશૈલીની વિરુદ્ધ આક્રોશ જોવા મળી રહ્યો હતો, જેના કારણે તેમની વિરુદ્ધ હાઈકમાન્ડને ફરિયાદ ગઈ હતી.
પાર્ટીના ધારાસભ્યોની બુધવારે બેઠક મળશે, જેમાં નવા મુખ્ય મંત્રીની પસંદગી કરવામાં આવશે.
ભાજપ 'નવા ચહેરા' સાથે આગામી ચૂંટણીમાં ઊતરવા માગે છે.
કાર્યપદ્ધતિ સામે અસંતોષ
મુખ્ય મંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતની કાર્યપદ્ધતિ સામે ધારાસભ્યોના એક સમૂહે નવી દિલ્હીમાં પાર્ટી હાઈકમાન્ડને ફરિયાદ કરી હતી. તેમનું કહેવું હતું કે સરકારમાં તેમનાં કામ નથી થતાં.
આને પગલે પાર્ટી હાઈકમાન્ડે છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ડૉ. રમણસિંહને કેન્દ્રીય નિરીક્ષક તરીકે મોકલ્યા હતા અને ધારાસભ્યોની ફરિયાદ સાંભળવાનું કામ તેમને સોંપવામાં આવ્યું હતું.
આને પગલે સોમવારે રાવતને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા, જ્યાં તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
ઉત્તરાખંડ ભાજપના એક નેતાના કહેવા પ્રમાણે, પાર્ટી અધ્યક્ષે ડિસેમ્બર મહિનામાં 120 દિવસના રાષ્ટ્રવ્યાપી પ્રવાસની શરૂઆત કરી હતી. તેમાં પહેલો પડાવ ઉત્તરાખંડ હતો. એ સમયે પણ તેમને રજૂઆતો મળી હતી. આને પગલે રાવતને 'તક' મળી હતી, જેનો તેઓ ઉપયોગ ન કરી શક્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધારાસભ્યોએ આશંકા વ્યક્ત કરી હતી કે 'જો આમને આમ રહ્યું તો 2017ની વિધાનસભામાં 80 ટકા કરતાં વધુ બેઠક મેળવનારી પાર્ટીએ ફરી વિપક્ષમાં બેસવાનો વારો આવશે.
સ્કૅન્ડલ અને વિવાદ
ઑગસ્ટમાં ઉત્તરાખંડ ભાજપના ધારાસભ્ય કુંવર પ્રણવસિંહ ચૅમ્પિયનને છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. હાથમાં બંદૂકો સાથે બોલીવૂડનાં ગીતો ઉપર ઝૂમતો તેમનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયો હતો. આ પ્રકરણને કારણે ત્રિવેન્દ્રસિંહની નાલેશી થઈ હતી.
આ સિવાય પાર્ટીના ધારાસભ્ય દેશરાજ કરનવાલનો સ્યુગર મીલના મૅનેજર સાથેની વાતચીતનો કથિત ઓડિયો વાઇરલ થયો હતો, જેમાં તેમને મૅનેજરને ધમકાવતા તથા તેની સાથે ગાળાગાળી કરતા સાંભળી શકાય છે.
આ સિવાય મહેશ નેગી નામના એક ધારાસભ્ય ઉપર મહિલાએ જાતીય શોષણનો આરોપ મૂક્યો હતો. મહિલાનું કહેવું હતું કે નેગી એ બે વર્ષ સુધી તેમનું શોષણ કર્યું હતું. આ મહિલાએ તેમની પુત્રીના ડી.એન.એ. ટેસ્ટની પણ માગ કરી હતી.
આ પ્રકરણોને કારણે સામાન્ય જનમાનસમાં રાવતની છાપ ખરડાઈ હતી. રાવત ઉપર વારંવાર આરોપ લાગ્યા હતા કે પાર્ટીના ધારાસભ્યોની ગેરશિસ્તને અટકાવવામાં તેઓ નિષ્ફળ રહ્યા.
નવો ચહેરો હશે જેપી નડ્ડાનો ખાસ?
ઉત્તરાખંડ ભાજપના ઉપાધ્યક્ષ ડૉ. દેવેન્દ્ર ભસીને બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ જયદીપ વસંત સાથે વાત કરતા જણાવ્યું, "બુધવારે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક મળશે. જેમાં કેન્દ્રીય નિરીક્ષક તરીકે ડૉ. રમણસિંહ હાજર રહેશે."
પાર્ટી 'નવા ચહેરા' સાથે આગામી ચૂંટણીજંગમાં ઊતરશે. કયાં પરિબળો રાવતને રાજીનામા સુધી દોરી ગયાં અને આગામી મુખ્ય મંત્રી કોણ હશે, તે અંગે તેમણે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા તથા રાજ્યસભામાં પાર્ટીના સંસદસભ્ય અનિલ બલૂનીનું નામ મોખરે ગણાય છે. તેમને જે. પી. નડ્ડા કૅમ્પના સભ્ય માનવામાં આવે છે. નડ્ડાએ જ તેમને પાર્ટીના મુખ્ય પ્રવક્તા બનાવ્યા હતા.
આધ્યાત્મિક ગુરુ તથા રાજ્યના પર્યટન મંત્રી સતપાલ મહારાજ, કેન્દ્રીય પ્રધાન રમેશ પોખરિયાલ, પાર્ટીના પૂર્વાધ્યક્ષ અજય ભટ્ટ, અને રાજ્યના ઉચ્ચશિક્ષણ પ્રધાન ધનસિંહ રાવતનાં નામો પણ ચર્ચાય છે. જોકે રાજકીય નિરીક્ષકો 'સરપ્રાઇઝ' નામને પણ નકારતા નથી.
રાજીનામું આપ્યા બાદ રાવતે કહ્યું હતું કે મેં ક્યારેય કલ્પના નહોતી કરી હતે કે મને ઉત્તરાખંડના મુખ્ય મંત્રી બનવાની 'સ્વર્ણિમ તક' મળશે.
શું નવો ચહેરો ફળશે?
કૉંગ્રેસના પ્રવક્તા સરલ પટેલે ટ્વિટર ઉપર લખ્યું, "ત્રિવેન્દ્રસિંહને હઠાવવા પડ્યા, એ વાતની સાબિતી છે કે ઉત્તરાખંડની ભાજપ સરકાર નેતૃત્વવિહિન હતી. ભાજપને લાગે છે કે મુખ્ય મંત્રીને બદલવાથી તે તમામ અપરાધોથી મુક્ત થઈ જશે. પરંતુ નાગરિકો તેમને યોગ્ય જવાબ આપશે." પાર્ટી દ્વારા કોઈને ઉપમુખ્ય મંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા પણ નકારાતી નથી.
નવેમ્બર-2000માં ઉત્તરાખંડની સ્થાપના થઈ ત્યારથી નારાયણ દત્ત તિવારીને બાકાત કરતાં કોઈ પણ મુખ્ય મંત્રી તેનો કાર્યકાળ (2002-2007) પૂર્ણ નથી કરી શક્યો.
ગત વિધાનસભામાં કૉંગ્રેસે વિજય બહુગુણાને મુખ્ય મંત્રી બનાવ્યા હતા. જોકે, વચ્ચેથી તેમને હઠાવીને હરીશ રાવતને મુખ્ય મંત્રી બનાવી દીધા હતા.
હરીશ રાવતના ચહેરા સાથે કૉંગ્રેસ ચૂંટણીજંગમાં ઊતરી હતી, પરંતુ નિષ્ફળ રહી હતી. નવા મુખ્ય મંત્રી 11મી માર્ચે શપથ લેશે. રાવતે 18મી માર્ચ 2017ના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા.
નિત્યાનંદ સ્વામી, ભગતસિંહ કોશિયારી, ભૂવનચંદ્ર ખંઢૂરી (બે વાર), રમેશ પોખરિયાલ અને હવે ત્રિવેન્દ્રસિંહ રાવતનું નામ પાર્ટીના પૂર્વ મુખ્ય મંત્રીઓની યાદીમાં ઉમેરાઈ ગયું છે.
ત્યારે નવા ચહેરા સાથે ચૂંટણીમેદાનમાં ઊતરવાનો ભાજપનો દાવ કેટલો સફળ રહેશે, તે જોવું રહ્યું.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો