ખેડૂત આંદોલન : કિસાનોની ધીરજનો અંત, ટ્રેક્ટરો સાથે 'દિલ્હી કૂચ' શરૂ કરી - BBC TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

દિલ્હીની સરહદે ચાલી રહેલા વિરોધપ્રદર્શનને હવે ખેડૂત સંગઠનોએ તેજ કર્યું છે. હજારની સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈને દિલ્હી તરફ આવી રહ્યા છે.

ખેડૂતોનું કહેવું છે કે દિલ્હીમાં 26 જાન્યુઆરીએ જે પરેડ થવાની છે, તેની તૈયારીના ભાગરૂપે આ ટ્રેક્ટર રેલી યોજાઈ રહી છે.

તો એનડીટીવીના અહેવાલ અનુસાર, સુપ્રીમ કોર્ટે પણ ખેડૂત આંદોલનને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું કે ખેડૂત આંદોલનમાં કોવિડને લઈને શું નિયમોનું પાલન કરાવી શકાય છે?

જસ્ટિસ એસએ બોબડેએ કહ્યું કે અમને ખબર નથી કે ખેડૂતો કોવિડ-19થી સુરક્ષિત છે કે નહીં. જો નિયમોનું પાલન નહીં કરાય તો તબલિગી જમાતની જેમ મુશ્કેલી થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે ખેડૂતનેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે સાત તબક્કાની વાતચીત પછી પણ કોઈ નિવેડો આવ્યો નથી.

કોરોના વાઇરસ : દેશના તમામ જિલ્લામાં આવતીકાલે રસીની ડ્રાય રન થશે

કોવિડ વૅક્સિન માટે બીજી ડ્રાય રન આઠ જાન્યુઆરી થશે.

એનડીટીવી ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર દેશના બધા જિલ્લામાં આ ડ્રાય રન થશે.

વૅક્સિનેશન માટે પહેલી ડ્રાય રન 28 અને 29 ડિસેમ્બરે દેશનાં ચાર રાજ્યોમાં કેટલીક જગ્યાએ કરવામાં આવી હતી.

દેશમાં કોરોનાના રસીકરણનો કાર્યક્રમ શરૂ કરતા પહેલાં કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધન અને બધાં રાજ્યોના સ્વાસ્થ્યમંત્રીઓ સાથે એક મહત્ત્વની બેઠક પણ થશે.

ગત શનિવારે 2 જાન્યુઆરીએ બધાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના 125 જિલ્લાઓમાં રસી માટે ડ્રાય રન કરવામાં આવી હતી.

જેલમાં આસારામના બેનર લગાવીને કાર્યક્રમ કરવા પર છ દોષી

ઉત્તરપ્રદેશની શાહજહાંપુર જેલમાં આસારામનું બેનર લગાવીને કાર્યક્રમ કરવા પર જેલ અધીક્ષક સમેત છ લોકોને દોષી ઠેરવાયા છે.

ધ વાયરના અહેવાલ મુજબ, 21 ડિસેમ્બરે જેલ પરિસરમાં કેદીઓને ધાબળા આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં આસારામની તસવીરવાળું બેનર લગાવામાં આવ્યું હતું.

સોશિયલ મીડિયામાં આ કાર્યક્રમની તસવીર વાઇરલ થયા બાદ સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા હતા.

ધ વાયરે ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટનો હવાલો આપીને લખ્યું કે શાહજહાંપુરસ્થિત જેલમાં બળાત્કારના આરોપમાં જેલ બંધ આસારામના સમર્થનમાં 21 ડિસેમ્બરે એક કાર્યક્રમ કરીને તેમનું મહિમામંડન કરવાનો મામલો સામે આવ્યો હતો.

જેલમાં આ કાર્યક્રમનું આયોજન આસારામના અનુયાયીઓએ લખનઉથી આવીને કર્યું હતું.

કાર્યક્રમ દરમિયાન આસારામની તસવીર લગાવીને કેદીઓને કથિત રીતે ધાબળા અને ઋષિપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સિનેમાઘરોમાં 100 ટકા દર્શક ક્ષમતાવાળો આદેશ પરત લેવા કહ્યું

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર, દેશમાં કોરોના મહામારી દરમિયાન કેન્દ્ર સરકારે તામિલનાડુ સરકારને સિનેમાઘરોમાં 100 ટકા દર્શક ક્ષમતાને મંજૂરી આપવાનો આદેશ પરત લેવા માટે કહ્યું છે.

તામિલનાડુની પલાનીસામી સરકારે ચાર જાન્યુઆરીએ સિનેમાઘર પર લાગેલા 50 ટકા દર્શકસીમા હટાવવાનો નિર્ણય લીધો હતો.

તામિલનાડુ સરકારે સિનેમાઘરોને પૂરી ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપી હતી.

જોકે કેસની વધવાની આશંકાએ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને આ મંજૂરી પરત લેવાનું કહ્યું છે.

WHOની ટીમને ચીનમાં પ્રવેશ આપવાનો ઇન્કાર

કોરોના વાઇરસની ઉત્પત્તિની તપાસ માટે મોકલવામાં આવેલી ડબલ્યુએચઓની ટીમને ચીને પ્રવેશ આપવાનો ઇન્કાર કરી દીધો છે.

બિઝનેસ ટુડેના અહેવાલ અનુસાર, ડબલ્યુએચઓના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ચીનના આ વલણથી ખુશ નહોતા અને તેઓએ એક નિવેદનમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

તેઓએ ડબલ્યુએચઓની ટીમને ચીનમાં પ્રવેશ આપવા માટે વિનંતી કરી હતી.

ચીને એવો દાવો કર્યો હતો કે મોકલવામાં આવેલી ટીમના વિઝાને હજુ મંજૂરી મળી નથી.

ડાયરેક્ટર ટ્રેડોસ ગ્રેબિયસિસે કહ્યું કે "હું આ સમાચાર સાંભળીને ખૂબ નિરાશ છું."

તેમણે કહ્યું કે "હું ચીનના વરિષ્ઠ અધિકારીઓના સંપર્કમાં છું. અને મેં ફરી એક વાર સ્પષ્ટ કર્યું છે કે ડબ્લ્યુએચઓ અને આંતરરાષ્ટ્રીય ટીમ માટે આ મિશન પ્રાથમિકતા છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો