ગુજરાત હાઈકોર્ટે સરકારને નોટિસ આપી એ મૃતદેહોની અદલાબદલીનો કેસ શું છે?

પ્રકાશિત

વી.એસ.હૉસ્પિટલના શબઘરમાંથી મહિલાનાં શબની અદલા-બદલી થઈ હોવાના મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારને નોટિસ આપીને જવાબ રજૂ કરવા કહ્યું છે.

લેખા ચંદ નામની મહિલાને હાર્ટઍટેક આવતાં 10 નવેમ્બરે રાત્રે ખાનગી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં જ્યાં તેઓ મૃત્યુ પામ્યાં.

એ પછી તેમનાં મૃતદેહને વી.એસ.હૉસ્પિટલના શબઘરમાં રાખી દેવામાં આવ્યો હતો. 13 નવેમ્બરે હૉસ્પિટલે તેમનાં મૃતદેહને બીજા પરિવારને સોંપી દીધો. એ પરિવારે મહિલાનાં અંતિમસંસ્કાર પણ કર્યા હતા. મૃતદેહ જે મહિલાનો હતો એ પરિવારને 15 નવેમ્બરે આખી ઘટનાની જાણ થઈ હતી.

આ બાબતે પરિવારે હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો છે. તેમણે કોર્ટને કહ્યું છે કે મહિલાનાં અંતિમસંસ્કાર બંગાળી પરંપરા મુજબ કરવા હતા પરંતુ થઈ શક્યા ન હતા જે બંધારણીય અધિકારોનું હનન છે.

શું છે સમગ્ર મામલો?

લેખાબહેનનાં શબને અમદાવાદની વી.એસ.હૉસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યું હતું. તેમનાં મૃતદેહને તેમનાં પરિવારની જગ્યાએ બીજી કોઈ વ્યક્તિના પરિવારને આપી દેવામાં આવ્યો હતો. જેમણે પોતાના સ્વજનનો વ્યક્તિનો મૃતદેહ સમજીને અંતિમક્રિયા પણ કરી દીધી હતી.

માતાનો છેલ્લી વખત ચહેરો જોવા કૅનેડાથી આવેલા છોકરા અમિત ચંદનાએ તે વખતે કહ્યું હતું કે “મેં મારી માતાનો છેલ્લી વખત ચહેરો જોવા માટે 36 કલાકની મુસાફરી કરી હતી. મારે મારી માતાનાં હાથને પકડીને છેલ્લી વખત રડવું હતું. તેની જગ્યાએ અમને અહીં પુરુષનું શરીર મળ્યું. અધિકારીઓ પાસે અમે શબની સાથે જમા કરાવેલા પુરાવા પણ નથી. અમને કોઈ પણ પ્રકારની રસીદ આપવામાં આવી નથી.”

ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ સમાચાર સંસ્થા અને પીટીઆઈના અહેવાલ અનુસાર મહિલાના દીકરા અમિત ચંદને ટાંકી લખે છે, “આ હૉસ્પિટલની ખૂબ મોટી બેદરકારી છે. તેમની પાસે પૂરતા કાગળિયાં પણ નથી. હું જાણતો નથી કે મારી લાચારીને કેવી રીતે વ્યક્ત કરું.”

મહિલાનાં પરિવારે તેમનાં દેહને 11 નવેમ્બરની સવારે હૉસ્પિટલના શબઘરમાં મૂક્યો હતો. તેઓ તેમની અંતિમક્રિયા કરવા તેમના કૅનેડાથી પરત ફરી રહેલાં દીકરાની રાહ જોઈ રહ્યા હતા.

જ્યારે તેઓ રવિવારે હૉસ્પિટલ ગયા ત્યારે હૉસ્પિટલે શબને ‘મિસિંગ’ ગણાવ્યું હતું.

ચંદના પરિવારના સભ્યએ કહ્યું, “ત્યાર પછી, એ વાત પ્રકાશમાં આવી હતી કે તેમના દેહ પર બીજા પરિવારે દાવો કર્યો હતો. જેમણે તેમની અંતિમક્રિયા કરી હતી.”

જે પરિવારે મહિલાનાં મૃતદેહનાં અંતિમસંસ્કાર કર્યા હતો તેમના વર્તનની પણ ન્યાયાધીશે ટીકા કરી કે તેમણે અંતિમસંસ્કાર કરતાં પહેલાં મોઢું જોવાનું પણ યોગ્ય ન સમજ્યું.

પરિવારે હૉસ્પિટલની બેદરકારી અંગે કહ્યું, “હૉસ્પિટલમાં યોગ્ય પુરાવા અને સીસીટીવી કૅમેરા નથી, જેના કારણે મૃતદેહ બદલાઈ જવાં અને ગુમ થઈ જવાની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે.”

તેમણે વધુમાં કહ્યું, “મહિલા 10મી તારીખની રાત્રે પક્ષાઘાતનાં કારણે ગુજરી ગયાં હતાં.”

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર પરિવારે દલીલ કરી હતી કે બની શકે કે તેમના માતાનાં અંગોની ચોરી કરવામાં આવી હોય. ગુજરાત હાઈકોર્ટના જજ ઉમેશ ત્રિવેદી આ વાત પર સહમત પણ થયા હતા.

'હૉસ્પિટલે નહોતી આપી કોઈ રસીદ'

11 નવેમ્બરે, પરિવારે નક્કી કર્યું કે મૃતદેહને હૉસ્પિટલના શબઘરમાં રાખવામાં આવે જેથી તેમનો દીકરો કૅનેડાથી પરત આવી તેમની અંતિમક્રિયા કરી શકે.

તે સમયે પરિવારના સભ્ય અમરીશ શાહે કહ્યું, “હૉસ્પિટલમાં દેહને ચાર દિવસ સાચવી રાખવા માટે 400 રૂપિયા આપવામાં આવ્યા હતા. ડૉક્યુમેન્ટ જમા કરાવ્યા હતા પણ હૉસ્પિટલે રસીદ આપી ન હતી. ત્યારબાદ વધારાના બે દિવસ રાખવા બીજા 200 રૂપિયા આપ્યા હતા.”

આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. પરિવારે હાઇકોર્ટમાં કહ્યું હતું કે અમને મ્યુનિસિપલ કૉર્પોરેશન કે પોલીસ દ્વારા સરખો જવાબ પણ આપવામાં આવ્યો નથી.

મહિલાનાં પરિવારે 50 લાખ રૂપિયાના વળતરની અને શબઘરમાં શબની જાળવણી અને હૅન્ડ ઓવર મામલે સરકારે યોગ્ય નીતિ બનાવવી જોઈએ તેવી કોર્ટ સમક્ષ માગણી કરી છે.

સાત વર્ષમાં ત્રીજી વખત આવી ઘટના બની

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર વી. એસ. હૉસ્પિટલમાં ગત સાત વર્ષમાં ત્રીજી વખત આ પ્રકારે શબ ગુમ થવાની ઘટના બની છે.

વર્ષ 2013માં આ જ પ્રકારની ઘટના બની હતી. નજમા બાનુ અને ટીના ઠાકોર બંને સળગવાથી મૃત્યુ પામ્યાં હતાં. તેમના પરિવારને અલગ અલગ શબ આપી દેવામાં આવ્યાં હતાં. જોકે, પરિવારને જાણ થઈ ગઈ હતી અને તેઓ સાચા શબ સુધી પહોંચી શક્યા હતા.

ગત વર્ષે મે મહિનામાં પણ આ પ્રકારની ઘટના બનતાં "પોલીસે ડૉક્ટર અને મેડિકલ સ્ટાફ" પર ફ્રોડ અને ગુનાહિત કાવતરાનો કેસ નોંધ્યો હતો.

એક 19 વર્ષીય મહિલા કે જેમની હત્યા કરી દેવામાં આવી હતી, તેમનું શબ બાળકનાં જન્મ સમયે હૉસ્પિટલમાં મૃત્યુ પામેલી મહિલા સાથે બદલાઈ ગયું હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો