શેહલા રશીદના પિતાએ પુત્રી પર ત્રણ કરોડ રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો -TOP News

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

જેએનયુ છાત્રસંઘનાં પૂર્વ ઉપાધ્યક્ષ અને કર્મશીલ શેહલા રશીદ અંગે 'ઇન્ડિયન એક્સપ્રેસ'માં એક અહેવાલ છપાયો છે. જે અનુસાર તેમના પિતા અબ્દુલ રશીદ શૌરાને ઑક્ટોબર મહિનામાં શ્રીનગરની કોર્ટે ઘરેલુ હિંસા મામલે ઘર જતા અટકાવી દીધા હતા.

ઘરના લોકોએ અબ્દુલ રશીદ વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી.

હવે અબ્દુલ રશીદે જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહને પત્ર લખીને પોતાનાં પુત્રી શેહલા રશીદ પર એક કાશ્મીરી વેપારી પાસેથી ત્રણ કરોડ રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો છે.

અબ્દુલ રશીદે બિઝનેસમૅન ઝાહુર અહમદ શાહ વતાલી પાસેથી જમ્મુ-કાશ્મીર પીપલ્સ મૂવમૅન્ટ પાર્ટીમાં સામેલ થવા બદલ ત્રણ કરોડ રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો છે.

યૂપીએસસી સિવિલ સેવાની પરીક્ષાના ટૉપર આઈએએસ અધિકારી શાહ ફૈસલે આ પક્ષની સ્થાપના કરી હતી.

શાહ ફૈસલનું આઈએએસમાંથી રાજીનામું હજુ સરકાર પાસે પડ્યું છે. વતાલી અને પૂર્વ ધારાસભ્ય એંજિનિયર રશીદની એનઆઈએ 'આતંકવાદ વિતપોષણ કેસ 2017 અને 2019'માં ધરપકડ કરી હતી.

અમદાવાદમાં નવેમ્બરના બીજા હાફમાં કોરોનાથી મૃતાંકમાં 270 ટકાનો વધારો

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર નવેમ્બર મહિનાના બીજા હાફમાં અમદાવાદમાં કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં 270 ટકાનો વધારો જોવા મળ્યો છે.

1થી 15 નવેમ્બરના પહેલા હાફમાં અમદાવાદમાં 35 લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે બીજા હાફમાં એટલે 15થી 30 તારીખ દરમિયાન 119 લોકોનાં મૃત્યુ થયાં છે. પહેલાની સરખામણીએ બીજા હાફમાં 270 ટકાનો વધારો જોવા મળ્યો છે.

અમદાવાદમાં કોરોના વાઇરસના કેસની સંખ્યામાં પણ આ જ પ્રકારે 72 ટકાનો વધારો જોવા મળ્યો છે. પહેલા હાફમાં 2572 કેસ નોંધાયા હતા. બીજા હાફમાં તે સંખ્યા 4414એ પહોંચી છે.

ગુજરાતમાં સોમવારે કોરોના વાઇરસના 1502 કેસ નોંધાયા હતા, જ્યારે 20 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

ગુજરાતમાં કુલ કેસની સંખ્યા 2,09,780 પહોંચી છે. જ્યારે મૃત્યુ પામનારની સંખ્યા 3989એ પહોંચી છે.

ખાનગી શાળાની ફી ન ભરનાર માતા-પિતા સામે સ્કૂલ કરશે કાર્યવાહી

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર ખાનગી શાળાઓના યુનિયને નિર્ણય કર્યો છે કે જે વિદ્યાર્થીઓનાં માતા-પિતાએ છેલ્લા છ મહિનાથી ફી નથી ભરી અને ભવિષ્યમાં નહીં ભરે તેવા વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં નહીં આવે.

ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મૅનેજમૅન્ટ ઍસોસિયેશનના જતીન ભરાડે કહ્યું, "આવાં માતાપિતા તેમનાં બાળકોના શિક્ષણને લઈને જો ગંભીર હોય તો સ્કૂલ મૅનેજમૅન્ટને મળવું પડશે. "

"જો આ માતા-પિતાઓ 15 ડિસેમ્બર સુધી સ્કૂલ મૅનેજમૅન્ટને નહીં મળે તો ઓનલાઈન શિક્ષણને રોકી દેવામાં આવશે."

'ઑલ ગુજરાત પૅરેન્ટ્સ ઍસોસિયેશન'ના નરેશ શાહે તેનો વિરોધ કરતાં કહ્યું, "શાળાઓ માતા-પિતાને ફી ભરવા માટે દબાણ કરી શકે નહીં. "

"એમાં પણ જ્યારે લોકો કોરોના વાઇરસની મહામારી અને લૉકડાઉનના કારણે આર્થિક રીતે નુકસાનમાં હોય. આનાથી બાળકોને અન્યાય થાય છે અને અમે આની સામે સરકારમાં જઈશું."

નૉન-રેસિડેન્ટ ઇન્ડિયન પોસ્ટલ બૅલેટથી મત આપી શકશે

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર નૉન-રેસિડેન્ટ ઇન્ડિયન ચૂંટણીમાં મત નાખી શકે તે માટે ચૂંટણીપંચ તૈયાર છે.

ચૂંટણીપંચે આ અંગે સરકાર પાસે મંજૂરી માગી છે. આ લોકો પોસ્ટલ બૅલટ દ્વારા મત નાખી શકશે.

પંચે ગત અઠવાડિયે કાયદામંત્રાલયને કહ્યું કે એનઆરઆઈ વોટર માટેની ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પૉસ્ટલ બૅલટ સિસ્ટમ આગામી વર્ષે આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ, તામિલનાડુ અને પોંડિચેરીની ચૂંટણીમાં માટે "તકનીકી અને વહીવટી રીતે તૈયાર છે."

એક અંદાજ પ્રમાણે 1 કરોડ ભારતીય હાલ વિદેશમાં વસે છે. જેમાંથી અંદાજે 60 લાખ લોકો વોટ કરી શકે છે. પંજાબ, ગુજરાત અને કેરળમાં તેમની સંખ્યા મોટી છે.

'લવ જેહાદ'નો કાયદો પસંદ કરવાની સ્વતંત્રતાની વિરુદ્ધમાં છે : જસ્ટિસ લોકુર

'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા હાલમાં ધર્માંતરણ મામલે લાવવામાં આવેલા વટહુકમ અંગે સુપ્રીમ કોર્ટના જજ મદન લોકુરે કહ્યું કે તે પસંદગીની આઝાદી, માનવીનું ગૌરવ અને માનવ અધિકારોને પાછળ છોડી દે છે.

તેમણે એક વ્યાખ્યાનમાં કહ્યું હતું કે, આંતરધર્મમાં કરાયેલા લગ્ન બદલ સજા કરવી તે સુપ્રીમ કોર્ટે પસંદગીની આઝાદી અને માનવીય ગૌરવનું જે રક્ષણ કર્યું છે, તે ન્યાયપાલિકા પર હુમલો કરે છે.

સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં કહ્યું હતું કે પુખ્ત મહિલાની પસંદગી ઇસ્લામ અંગીકાર કરવાની છે અને તેને મનપસંદ વ્યક્તિને લગ્ન કરવાની.

આ ચુકાદાને ટાંકીને તેમણે એવું પણ પૂછ્યું, "2018માં હાડિયા કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો જાહેર કરવામાં આવ્યું હતું તેનું શું થયું?"

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો