You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોદી બોલ્યા : ટેકાના ભાવમાં વર્ષો સુધી છેતરપિંડી કરાઈ, હવે ભ્રમ ફેલાવાઈ રહ્યો છે
વડા પ્રધાન મોદીએ સોમવારે નેશનલ હાઇવ નંબર 19 પર પ્રયાગરાજ-વારાણસીને જોડનારા છ લેનના હાઇવેનું ઉદ્ઘાટન કર્યું.
વડા પ્રધાને આ પ્રસંગે ખેડૂતોના વિરોધ પ્રદર્શન વિશે પણ વાત કરી હતી.
તેમણે કહ્યું, "ખેડૂતોના નામ પર મોટી મોટી યોજનાઓની જાહેરાત કરવામાં આવતી હતી. પરંતુ તેઓ ખુદ માનતા હતા કે 1 રૂપિયામાંથી માત્ર 15 પૈસા ખેડૂતો સુધી પહોંચે છે. એટલે કે યોજનાઓના નામે છેતરપીંડી."
"ટેકાના ભાવ તો જાહેર થતા હતા પરંતુ ટેકાના ભાવે ખરીદી બહુ ઓછી કરવામાં આવતી હતી. વર્ષો સુધી ટેકાના ભાવને લઈને છેતરપિંડી કરવામાં આવી."
વડા પ્રધાનના ભાષણની મુખ્ય વાતો
- જો કોઈ જૂની સિસ્ટમથી જ ખરીદ-વેચાણ ઠીક સમજે છે તો તેના પર પણ ક્યાં પ્રતિબંધ છે? નવા કૃષિ સુધારામાં ખેડૂતોને નવા વિકલ્પ અને નવું કાયદાકીય સંરક્ષણ આપવામાં આવ્યું છે. પહેલા યાર્ડ બહારના ખરીદ-વેચાણને ગેરકાયદે માનવામાં આવતું હતું. હવે નાના ખેડૂતો પણ યાર્ડની બહાર થયેલા દરેક સોદા પર કાયદાકીય કાર્યવાહી કરી શકે છે.
- ખેડૂતોને હવે નવા વિકલ્પ પણ મળ્યા છે અને છેતરપિંડી સામે કાયદાકીય રક્ષણ પણ મળ્યું છે. સરકાર નીતિઓ બનાવે છે, કાયદા બનાવે છે. નીતિઓ અને કાયદાને સમર્થન પણ મળે છે તો કેટલાક સવાલ પણ સ્વાભાવિક છે. આ લોકશાહીનો હિસ્સો છે અને ભારતમાં આ જીવંત પરંપરા છે.
- જોકે, છેલ્લા ઘણા સમયથી એક અલગ જ ટ્રેન્ડ દેશમાં જોવા મળી રહ્યો છે. પહેલાં એવું હતું કે સરકારનો કોઈ નિર્ણય કોઈને પસંદ ના આવે તો તેનો વિરોધ થતો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહ્યું છે કે હવે વિરોધનો આધાર નિર્ણય નહીં પરંતુ આશંકાઓ હોય છે.
- પ્રચાર કરવામાં આવે છે કે નિર્ણય તો ઠીક છે પરંતુ તેમાં આગળ જઈને એવું થઈ શકે છે. જે હજી થયું પણ નથી, જે ક્યારેય થવાનું પણ નથી, તેના વિશે સમાજમાં ભ્રમ ફેલાવવામાં આવે છે. કૃષિ સુધારાના મામલામાં પણ આ થઈ રહ્યું છે. આ એ લોકો છે જેમણે વર્ષો સુધી ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે.
- ખેડૂતોને લઈને મોટી મોટી દેવાંમાફીની ઘોષણાઓ કરવામાં આવતી હતી. પરંતુ નાના ખેડૂતો સુધી તે પહોંચતી જ નહોતી. એટલે કે દેવાંમાફીને લઈને પણ છેતરપિંડી કરવામાં આવી. જ્યારે ઇતિહાસ છેતરપિંડીનો રહ્યો હોય ત્યારે બે વાત સ્વાભાવિક છે. પ્રથમ એ કે ખેડૂત સરકારની વાતોથી શંકાશિલ છે તો તેમાં છેલ્લા દાયકાઓનો ઇતિહાસ પણ ભૂમિકા ભજવે છે.
- જેમણે વચનો તોડ્યાં છે, છેતરપિંડી કરી, તેમના માટે આ જુઠ્ઠાણું ફેલાવવું એક મજબૂરી બની ગયું છે. જો તમે આ સરકારનો ટ્રેક રેકૉર્ડ જોશો તો સત્ય આપોઆપ સામે આવી જવાનું છે. અમે કહ્યું હતું કે અમે યૂરિયાનું કાળાબજાર રોકીશું અને ખેડૂતો પાસે પર્યાપ્ત યૂરિયા પહોંચાડીશું. છેલ્લાં 6 વર્ષમાં તેની અછત નથી થવા દીધી.
સીરમ ઇન્સ્ટિટ્યૂટે રસીથી બીમાર થવાનો દાવો કરનાર પર 100 કરોડનો કેસ કર્યો
'એનડીટીવી ખબર'ના અહેવાલ અનુસાર સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયનાએ કોરોના વાઇરસની વૅક્સિન કોવિશિલ્ડના પરીક્ષણમાં ભાગ લેનારી વ્યક્તિ સામે 100 કરોડનો માનહાનીનો કેસ કર્યો છે.
ઇન્સ્ટિટ્યૂટે આ ઘટનાને "દુર્ભાવનાપૂર્ણ અને ખોટી" ગણાવી છે.
કોવિડશિલ્ડના પરીક્ષણમાં ભાગ લેનારી એક 40 વર્ષની વ્યક્તિએ આરોપ લગાવ્યો હતો કે વૅક્સિન લીધા પછી તેને ગંભીર ન્યૂરોલૉજિકલ અને જ્ઞાનેન્દ્રી સંબંધી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
વ્યક્તિએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ તથા અન્ય પાસે પાંચ કરોડ રૂપિયાની અને પરીક્ષણને રોકવાની માગ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સીરમ ઇન્સ્ટિટ્યૂટે પોતાના નિવેદનમાં કહ્યું, "નોટિસમાં લગાવવામાં આવેલા આરોપ દુર્ભાવનાપૂર્ણ અને ખોટા છે."
"સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા તે વ્યક્તિની મેડિકલ કન્ડિશન પ્રત્યે સહાનુભૂતિ રાખે છે. પરંતુ વૅક્સિનના ડોઝના કારણે તેમની આ સ્થિતિ સાથે કોઈ સંબંધ નથી. તે વ્યક્તિ પોતાના આરોગ્ય માટે ખોટી રીતે વૅક્સિનને જવાબદાર ઠેરવી રહી છે."
ગુજરાતમાં 50 ટકા ઓક્સિજન અનામત રાખવા અનુરોધ
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર ગુજરાત સરકારના આરોગ્યવિભાગે ઓક્સિજનનું ઉત્પાદન કરતાં યુનિટને 50 ટકા ઓક્સિજન મેડિકલ ઉપયોગ માટે બનાવવા કહ્યું છે.
હાલમાં ગુજરાતમાં વધી રહેલાં કોરોના વાઇરસના કેસની વચ્ચે દરદીઓને ઓક્સિજન સરળતાથી મળે તે માટે 50 ટકા અનામત રાખવા જણાવાયું છે.
ઍપિડેમિક ડિસિઝ ઍક્ટ અને ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઍક્ટ હેઠળ ઓક્સિજન બનાવતા યુનિટને સતત અને મેક્સિમમ કૅપેસિટીમાં ઓક્સિજનનું ઉત્પાદન કરવા કહેવાયું છે.
ઉપરાંત ઑદ્યોગિક એકમોને ઓક્સિજન પહોંચતો કરવાની જગ્યાએ હૉસ્પિટલને પ્રાથમિક્તા આપવાનું કહેવામાં આવ્યું છે.
સરકારે 31 ડિસેમ્બર સુધી ઓક્સિજન બનાવતા યુનિટને અમલ કરવા કહ્યું છે.
કોરોનાથી નવેમ્બરમાં થયેલાં કુલ મૃત્યુનાં 49 ટકા મૃત્યુ આઠ દિવસમાં
'અમદાવાદ મિરર'ના અહેવાલ અનુસાર ગુજરાતમાં કોરોના વાઇરસના કારણે નવેમ્બર મહિનામાં જે કુલ દરદીઓનાં મૃત્યુ થયાં છે તેમાંથી 49 ટકા દરદીઓનાં મૃત્યુ છેલ્લા આઠ દિવસમાં થયાં છે.
ગુજરતમાં 22 નવેમ્બરથી 29 નવેમ્બરની એમ આઠ દિવસની વચ્ચે 123 લોકોનાં મૃત્યુ થયાં છે. જે આખા નવેમ્બરમાં મૃત્યુ પામેલા લોકોના 49.2 ટકા છે.
રવિવારે ગુજરાતમાં કોરોના વાઇરસના કારણે રાજ્યમાં વધુ 16 દરદીઓનાં મૃત્યુ થયાં હતાં.
ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઇરસના 1564 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા 2,08,278ને પાર કરી ગઈ છે. જ્યારે 3969 દરદીઓનાં મૃત્યુ થયાં છે.
ગત અઠવાડિયામાં 5,24,555 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 10,866 દરદી કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે.
નવા ધર્માંતરણવિરોધી કાયદાના કારણે ઉત્તર પ્રદેશમાં પહેલો કેસ નોંધાયો
'ધ વાયર'ના અહેવાલ અનુસાર ઉત્તર પ્રદેશ પોલીસે એક યુવતીના પિતાની ફરિયાદના આધારે બરેલી જિલ્લામાં નવા ધર્માંતરણવિરોધી કાયદા હેઠળ પહેલો કેસ નોંધ્યો છે.
રવિવારે એક નિવેદન જાહેર કરીને અધિક મુખ્ય સચિવ (ગૃહ) અવનીશ અવસ્થીએ કહ્યું કે બરેલીમાં દેવરનિયા પોલીસ સ્ટેશન હેઠળ શરીફનગર ગામના ટીકારામે કેસ નોંધાવ્યો છે.
ફરિયાદીએ તે ગામની એક વ્યક્તિ પર ફોસવાલીને પોતાની દીકરીનું ધર્મપરિવર્તન કરાવવાનો આરોપ મૂક્યો છે.
આઈપીસી અને નવા ધર્માંતરણવિરોધી કાયદા હેઠળ આ કેસ નોંધવામાં આવ્યો છે.
નોંધનીય છે કે શનિવારે જ રાજ્યના રાજ્યપાલે આ કાયદાને મંજૂરી આપી હતી.
આમાં લગ્ન માટે છળકપટ, લાલચ આપવી અથવા જબરજસ્તી ધર્માંતરણ કરાવવા બદલ વધારેમાં વધારે 10 વર્ષની સજા અને 50 હજાર સુધી દંડની જોગવાઈ છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો