You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ બાદ સુરત, વડોદરા, રાજકોટમાં આવતીકાલથી રાત્રી કર્ફ્યુ, શું ખુલ્લું રહેશે?
ગુજરાતમાં દિવાળીના તહેવાર બાદ વધી રહેલા કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર સર્તક બની છે.
આ મામલે શુક્રવારે મુખ્ય મંત્રીની અધ્ક્ષતામાં બેઠક મળી હતી. જેમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલના કહેવા પ્રમાણે અમદાવાદની સાથે સાથે સુરત, વડોદરા અને રાજકોટમાં શનિવારથી રાત્રે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ લાગુ કરી દેવાયું છે. જ્યાં સુધી સરકાર બીજો નિર્ણય જાહેર ન કરે ત્યાં સુધી આ કર્ફ્યુ અમલ રહેશે.
નીતિન પટેલે કહ્યું કે ચાર મહાનગરોમાં બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી રાત્રી કર્ફ્યુ ચાલુ રહેશે.
તેમણે કહ્યું, "અમદાવાદમાં આજ રાત્રીથી શરૂ થતો કર્ફ્યૂ સોમવાર સવાર સુધી ચાલુ રહેશે. જે બાદ સરકાર સ્થિતિની સમીક્ષા કરીને બીજો નિર્ણય લઈ શકે છે."
તેમણે કહ્યું, "અમદાવાદ સિવાયનાં શહેરોમાંથી સેવાભાવી સંસ્થાઓ, વેપારી ઍસોસિયેશન તથા અગ્રણીઓ તરફથી કોરોનાની સ્થિતિને કાબૂમાં લેવા માટે કર્ફ્યુની માગ કરવામાં આવી હતી."
મીડિયા સાથે વાત કરતાં નીતિન પટેલે કહ્યું કે સરકારે મોટા પ્રમાણમાં રાજ્યમાં ટેસ્ટિંગ શરૂ કરી છે. લોકો પણ સામેથી ટેસ્ટિંગ કરાવવા આવી રહ્યા છે. સરકારે દિવાળી પહેલાં જ આગોતરાં પગલાં લેવાનું શરૂ કરી દીધું હતું."
તેમણે કહ્યું, "રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વાઇરસનું સંક્રમણ બેકાબૂ બન્યું છે તેવા કોઈ આંકડા નથી, રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નીતિન પટેલે કહ્યું, "અમદાવાદમાં દિવસના સમયે પોલીસની મંજૂરી સાથે લગ્ન સમારંભ યોજવા દેવામાં આવશે. રાજ્ય સરકારે 200 મહેમાનોની છૂટ આપી છે, તેમનાં નામ આપીને મંજૂરી લઈ લગ્ન સમારંભ યોજી શકાશે."
કર્ફ્યુમાં શું ખુલ્લું રહેશે અને શું બંધ?
- જાહેર ઉપયોગિતાની સેવાઓ જેવી કે પેટ્રોલ પંપ, સીએનજી, એલપીજી, પીએનજી પંપ, પાણી સ્વચ્છતા સહિતની સેવાઓ, વીજળીની સેવાઓ, ટેલિકૉમ્યુનિકેશનની સેવાઓ ચાલુ રહેશે.
- પોલીસ, હોમગાર્ડઝ, સિવિલ ડિફેન્સ, ફાયર અને ઇમરજન્સી સેવાઓ, ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ, સંરક્ષણ, પોલીસ દળ, જેલ અને મહાનગરપાલિકાની સેવાઓ ચાલુ રહેશે.
- જાહેર અને ખાનગી ક્ષેત્રની તમામ તબીબી સેવાઓ એટલે કે હૉસ્પિટલ અને મેડિકલ સહિતની સેવાઓ ચાલુ રહેશે. ફાર્માસ્યુટિકલની હોમડિલિવરીની સેવાઓ ચાલુ રહેશે.
- દૂધ વિતરણ, આવશ્યક ચીજવસ્તુઓ અને તેનાં ઉત્પાદનનાં એકમો પણ ચાલુ રહેશે.
- ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા અને ખાનગી સિક્યૉરિટી સેવાઓ ચાલુ રહેશે.
- લગ્નપ્રસંગમાં સ્થાનિક પોલીસની મંજૂરી અનુસાર વ્યવસ્થા કરવાની રહેશે. જેમાં 200 જેટલાં મહેમાનોને આમંત્રણ આપી શકાશે. આ તમામનું લિસ્ટ પોલીસને આપવાનું રહેશે. રાત્રે લગ્ન હોય તો તેના અંગે કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા નથી.
- અંતિમસંસ્કારમાં વીસ જેટલી વ્યક્તિઓ સાથે કરી શકાશે.
- રેલવે અને હવાઇયાત્રા કરનારા મુસાફરોને લેવા-મૂકવા તથા તેમને અવરજવર માટે માન્ય ટિકિટ સાથે જવા દેવામાં આવશે. અહીં ટેક્સી તથા રેડિયો કૅબ સેવાઓ ચાલુ રહેશે.
- એટીએમની સેવાઓ તથા તમામ પ્રકારના માલસામાનનું પરિવહન ચાલુ રહેશે.
- અમદાવાદમાં બે દિવસના કર્ફ્યુ દરમિયાન લેવાનારી તમામ પરીક્ષાઓ આપવા માટે વિદ્યાર્થીઓ જઈ શકશે. સીએ, એનઆઈસી, સીએસઆઈઆર અને એસસીની પરીક્ષા આપવા જનારા ઉમેદવારોએ એડમિશન કાર્ડ અને આઈડી કાર્ડ સાથે રાખવાં જરૂરી છે.
- આ ઉપરાંત કર્ફ્યુ દરમિયાન અનિવાર્ય સંજોગોમાં અવરજવર માટે મંજૂરી લીધેલ હોય તેવી વ્યક્તિઓને જવા દેવામાં આવશે.
આ સાથે જ આ તમામ છૂટછાટોમાં કોરોના વાઇરસની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.
અમદાવાદમાં કર્ફ્યુ કેમ?
અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકાએ બે દિવસના સંપૂર્ણ કર્ફ્યૂની જાહેરાત કરી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન સાથે સંકળાયેલા અધિક મુખ્ય સચિવ ડૉક્ટર રાજીવકુમાર ગુપ્તાએ કર્ફ્યૂ અંગેની ટ્વીટ કરીને જાણ કરી હતી.
અમદાવાદમાં શુક્રવારે રાત્રે નવ વાગ્યાથી સોમવાર સવારસુધી સંપૂર્ણ કર્ફ્યૂ લાદવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને પોતાની પ્રેસ નોટમાં કર્ફ્યુનું કારણ જણાવતા લખ્યું છે :
"દિવાળીનો તહેવાર લોકોએ આનંદથી ઉજવ્યો છે. ખરીદી માટે બજારોમાં ખૂબ જ ભીડ જોવા મળી. હરવા-ફરવાની જગ્યાઓમાં બહુ મોટી સંખ્યામાં લોકો ગયા. શિયાળાની ઋતુનો પ્રારંભ થયો. આ બધાના કારણે કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી હતી."
અમદાવાદમાં કૉર્પોરેશનના હદ વિસ્તારમાં ગત નવમી તારીખે 169 કેસ નોંધાયા હતા.
જ્યારે 19 નવેમ્બરે તે કેસની સંખ્યા વધીને 230એ પહોંચી હતી.
અમદાવાદમાં 18 નવેમ્બરે 218 કેસ નોંધાયા હતા. આ પહેલાં 17 નવેમ્બરે 210 કેસ નોંધાયા હતા. આમ અમદાવાદમાં કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે.
અમદાવાદ કૉર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન અમૂલ ભટ્ટે બુધવારે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું :
"જે પ્રમાણે દિવાળી દરમિયાન તહેવાર અને ખરીદી માટે જે ભીડ જોવા મળી એને લીધે કોરોનાનો થોડો વ્યાપ વધ્યો છે. અમદાવાદના કોઈ ચોક્કસ વિસ્તારમાં નહીં પણ દરેક વિસ્તારમાં કોરોનાના કેસ જોવા મળ્યા છે."
શાળા-કૉલેજો ખોલવાનો નિર્ણય મોકૂફ રખાયો
ગુજરાતમાં 23 નવેમ્બરથી શાળાઓ અને કૉલેજો ખોલવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી.
જે નિર્ણયને રાજ્ય સરકાર દ્વારા કોરોના વાઇરસની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને મોકૂફ રાખવામાં આવ્યો હતો.
રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે "વર્તમાન પરિસ્થિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવો પડ્યો છે."
આ પહેલાં ચુડાસમાએ ગુરુવારે સવારે રાજ્યના તમામ જિલ્લા-શિક્ષણાધિકારીઓ, શાળાસંચાલકો તેમજ સરકારી-ખાનગી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાથે બેઠક કરીને શાળાઓ ખોલવા માટે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજરની જાહેરાત કરી હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો