You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિહારમાં ભાજપના નવા ચહેરા તારકિશોર પ્રસાદ અને રેણુ દેવી કોણ છે?
બિહારમાં નીતીશકુમારે સોમવારે 7મી વખત મુખ્ય મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. સાથે જ ભાજપના નેતાઓ તારકિશોર પ્રસાદ અને રેણુ દેવીએ પણ શપથ ગ્રહણ કર્યા છે.
એવા અહેવાલો છે કે તારકિશોર અને રેણુ દેવીને નીતીશકુમારની સરકારમાં નાયબ મુખ્ય મંત્રી બનાવવામાં આવશે.
બિહાર ભાજપના નેતા અને કટિહાર વિધાનસભા બેઠકથી ધારાસભ્ય તારકિશોર પ્રસાદની ભાજપના વિધાનસભા અને વિધાનપરિષદના નેતા તરીકે વરણી કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે તારકિશોર પ્રસાદની પક્ષના નેતા બનાવવાની જાહેરાત કરી છે.
64 વર્ષના તારકિશોર પ્રસાદ 2005થી કટિહાર બેઠકથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં તેમણે આરજેડીના ઉમેદવાર રામ પ્રકાશ મહતોને 10,000 મતોથી હરાવ્યા છે.
તારકિશોર પ્રસાદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ (RSS)ના સંબંધો વર્ષો જૂના છે.
તેમનો પરિવાર સરહરસા જિલ્લાનાં તલખુઆ ગામમાં રહે છે. તેઓ કલવાર વૈશ્ય સમાજથી આવે છે અને આ સમાજને બિહારમાં પછાત વર્ગનો દરજ્જો મળ્યો છે.
તારકિશોર પ્રસાદ વેપારી પરિવારથી આવે છે અને તેમના પિતા કાપડાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે મેડીકલ સ્ટોર પણ ચલાવ્યો છે. 2001માં તેઓ કટીહારમાં ચૅમ્બર ઑફ કૉમર્સના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.
કટિહારમાં કશીશ ન્યૂઝના સંવાદદાતા રાકેશ રંજન જણાવે છે કે શહેરના વેપારી વર્ગમાં તારકિશોર પ્રસાદ સારો પ્રભાવ ધરાવે છે. ભાજપ વિધાનસભાના અધ્યક્ષ તરીકે વરણી થતાં અને નાયબ મુખ્ય મંત્રી તરીકે પસંદગી થવાની અટકળો હોય કટિહારના વેપારીઓમાં ખુશીની લહેર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2005માં તારકિશોર પ્રસાદે પહેલી વખત ચૂંટણી લડ્યા અને રસાકસી ભરેલી ચૂંટણીમાં ડૉક્ટર રામપ્રકાશ મહતોને 165 મતોથી હરાવીને જીત મેળવી હતી. ત્યારબાદ 2010 અને 2015ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ મોટા અંતરથી ચૂંટાઈ આવ્યા હતા.
રિતેશ રંજન કહે છે કે આ વખતની ચૂંટણીમાં તારકિશોર પ્રસાદ માટે જીત મેળવવી સરળ નહોતી, તેમ છતાં તેઓ દસ હજાર મતોના અંતરથી ચૂંટાઈ આવ્યા છે.
તેઓ કહે છે, "આ વર્ષે કટિહારમાં ભારે વરસાદ થવાના કારણે પૂર આવ્યું, જેના કારણે લોકોને ભારે અસર થઈ હતી. પાણી ભરાઈ જવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીની સામનો કરવો પડ્યો છે."
"કટિહારના એક વિસ્તારમાં લોકોએ ચૂંટણીનો બહિષ્કાર પણ કર્યો હતો. આ વખતે લાગતું હતું કે તારકિશોર પ્રસાદ ચૂંટણી નહીં જીતી શકે, પરંતુ તેમને દસ હજાર મતોથી જીત મેળવી છે."
ભાજપનો મહિલા ચહેરો રેણુ દેવી
તારકિશોર પ્રસાદ સાથે બેતિયાનાં ધારાસભ્ય રેણુ દેવીની વિધાનસભા પક્ષના નાયબ નેતા તરીકે વરણી કરવામાં આવી છે.
અહેવાલ અનુસાર તારકિશોર પ્રસાદ અને રેણુ દેવીને નાયબ મુખ્ય મંત્રીનું પદ મળી શકે છે.
તારકિશોર પ્રસાદ અને રેણુ દેવી બિહાર ભાજપનાં વરિષ્ઠ નેતાઓ છે. બંને નેતાઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે પણ ગાઢ સંબંધો ધરાવે છે.
વરિષ્ઠ પત્રકાર મણીકાંત ઠાકુર કહે છે કે, "ભાજપના જ ઘણા નેતાઓ જણાવી રહ્યા છે કે હવે એવું લાગે છે કે બિહાર ભાજપના તમામ હોદ્દા પર વાણિયા સમાજના નેતાઓનું વર્ચસ્વ થઈ ગયું છે. ભાજપમાં ચર્ચા થઈ રહી છે કે નવા નેતાની જાહેરાત કરતી વખતે બધી જાતિઓના સંતુલનનો વિચાર કરવામાં આવ્યો નથી."
મણીકાંત ઠાકુર જણાવે છે કે તારકિશોર પ્રસાદ કટિહારમાં વિદ્યાર્થી નેતા તરીકે રાજકારણમાં સક્રિય હતા. જોકે તેમની ઓળખ એવા નેતા તરીકે નથી, જેમની પાછળ લોકો ભેગા થઈ જાય.
તારકિશોર પ્રસાદ અને રેણુ દેવીના આગળ આવવાનો અર્થ થાય છે કે હવે નીતીશકુમારના નાયબ મુખ્ય મંત્રી અને ભાજપના નેતા સુશીલકુમાર મોદીને પાછળ જવું પડશે.
મણિકાંત ઠાકુર કહે છે, "લોકો અને બિહાર ભાજપના નેતાઓમાં એવી છાપ ઊભી થઈ ગઈ હતી કે સુશીલ મોદી પોતાના પક્ષ કરતાં નીતિશકુમાર પ્રત્યે વધુ વફાદાર છે. ભાજપમાં તેમની સામે અસંતોષ ઊભો થયો, જેના કારણે તેઓ બિહારમાં સર્વસ્વીકૃત નેતા બનવામાં સફળ ન થયા. હવે લાગે છે કે એનડીએની નવી સત્તામાં સુશીલકુમાર મોદીને જગ્યા આપવામાં આવી રહી નથી."
એવી અટકળો ચાલી રહી છે કે બિહાર ભાજપમાં સુશીલકુમાર મોદીનું કદ ઘટાડીને તેમને બીજી જગ્યા આપવામાં આવશે.
તારકિશોર પ્રસાદ અને રેણુ દેવીના આગળ આવવાના કારણો જણાવતાં ઠાકુર કહે છે કે, "જો નીતીશ પોતાનું ઘાર્યું કરી શક્યા હોત તો ભાજપ સુશીલ મોદીને બિહારમાંથી ખસેડી શક્યું ન હોત. આ સૂચવે છે કે ભાજપ બિહારમાં સત્તા પર મજબૂત પકડ રાખવા માંગે છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો