બિહાર ચૂંટણી : 43 બેઠકો સાથે કમજોર નીતીશકુમારની પાસે શું છે વિકલ્પ?

    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

"ભાજપ એક સાથે અહીં ત્રણ ગઠબંધનની સાથે કામ કરી રહ્યું છે. પહેલું હતું, એનડીએનું ગઠબંધન, જેના વિશે સૌ જાણે છે અને માને છે. ભાજપનું બીજુ ગઠબંધન લોક જનશક્તિ પાર્ટી(એલજેપી)ની સાથે હતું અને ત્રીજું ગઠબંધન AIMIMની સાથે હતું. આ બંને ગઠબંધન વિશે લોકો જાણતા હતા, પરંતુ કોઈ માનતું ન હતું. આશા છે કે નીતીશ આ વાતને હવે સમજે."

બિહારની ચૂંટણીના પરિણામો પછી રાજકીય પક્ષોમાં આ ચર્ચા સામાન્ય છે.

વાત ઘણી નાની છે. આને પ્રમાણિત કરવા માટે બિહારની ચૂંટણીના વિશ્લેષક અનેક આંકડાઓ પણ ગણાવી રહ્યા છે. કેવી રીતે ચીરાગે અંદાજે 20થી 30 સીટ પર નીતીશની પાર્ટી જેડીયુને નુકસાન પહોંચાડ્યું અને કેવી રીતે ઓવૈસીની પાર્ટીએ તેજસ્વીની આરજેડીના મુસ્લિમ વોટ લઈ લીધા.

પરંતુ જે વાત સ્થાનિક નેતાઓને સમજમાં આવી ગઈ, શું 15 વર્ષ સુધી મુખ્ય મંત્રીની ખુરશી પર બેસેલા નીતીશકુમારને સમજમાં ન આવી? આ વાત પર જાણકારોને કોઈ સવાલ છે.

બિહારની ચૂંટણીના પરિણામો આવ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જેપી નડ્ડાએ ટ્વીટ કર્યું. સૌએ બિહારની જનતાનો આભાર માન્યો. ભાજપના અનેક નેતાઓએ નિવેદન આપ્યા કે બિહારના આગામી મુખ્યમંત્રી નીતીશ કુમાર હશે.

પરંતુ 'બિહારના થનારા મુખ્ય મંત્રી' નીતીશ કુમારે એક શબ્દ પણ કહ્યો નહીં. છેવટે નીતીશકુમારની સામે શું વિકલ્પ છે? આ સવાલના જવાબમાં તમામ ગણિત છુપાયેલું છે.

વિકલ્પ 1 : નીતીશ પોતાની શરત પર મુખ્ય મંત્રી બને

આનો અર્થ એ છે કે 'નાનો ભાઈ' હોવા છતાં તેમની હેસિયત 'બિગ બ્રધર'ની હોય અને સરકાર ચલાવવામાં તેમને ખૂલી છૂટ મળે. મંત્રીમંડળના ભાગલામાં વધારે હક મળે અને ચિરાગ પાસવાને જેડીયુને જે નુકસાન કર્યું છે, તેની ભરપાઈ થાય. કાંઈક એવી શરત મુખ્ય મંત્રી બનવા માટે નીતીશ કુમાર ભાજપની સામે રાખી શકે છે.

બીબીસી સાથેની વાતચીતમાં જેડીયુના નેતા કેસી ત્યાગીએ કહ્યું, "નીતીશ કુમાર બિહારના આગામી મુખ્ય મંત્રી બનશે. આ નિર્ણય એનડીએના ગઠબંધનનો છે, નીતીશકુમારનો નથી."

ભાજપની જેડીયુ કરતાં 31 સીટ વધારે છે છતાં પણ નીતીશ કુમારની સરકાર કેવી રીતે ચાલશે? સવાલના જવાબમાં કેસી ત્યાગી કહે છે, "આ ચિંતા સરકાર ચલાવવાવાળાઓને હોવી જોઈએ. પત્રકારોને નહીં. આ દેશમાં અનેક વખત આવી સરકાર પહેલાં પણ ચાલી છે. સરકાર કેવી રીતે ચલાવવી છે, તે નેતાના 'મૉરલ' પર અને તેની પોતાની ક્ષમતા પર આધાર રાખે છે."

તેઓ કહે છે, "નીતીશ કુમાર 15 વર્ષ મુખ્ય મંત્રી રહ્યા છે. તેમની પાસે અનુભવ છે અને ક્ષમતા પણ છે. સીટની સંખ્યા ઓછી રહે અથવા વધારે, હાલ સુધી ગઠબંધનમાં સંપૂર્ણ જવાબદારી તેમણે સારી રીતે નીભાવી છે. એવું પણ અમે જ કરીશું. અમારી સામે કોઈ તકલીફ નહીં આવે."

2015ની વિધાનસભાની ચૂંટણીમાં જેડીયુની સીટ આરજેડી કરતા ઓછી હતી પરંતુ મુખ્ય મંત્રી નીતીશ કુમાર બન્યા હતા. વરિષ્ઠ પત્રકાર નિસ્તુલા હેબ્બાર કહે છે કે ભાજપ નીતીશ કુમારને મુખ્ય મંત્રી બનાવશે. પરંતુ નીતીશકુમારને આ સ્થિતિમાં મુખ્ય મંત્રી બનવું છે કે નહીં એ તેમણે નક્કી કરવાનું છે.

ચર્ચા છે કે જેડીયુ ઇચ્છે કે ચિરાગને એનડીએની બહારનો રસ્તો દેખાડવામાં આવે.

મુખ્યમંત્રી તરીકે નીતીશને સરકાર ચલાવવામાં ખુલ્લી છૂટ આપવા માટે ભાજપને પોતાના કામ કરવાની નીતિમાં પરિવર્તન કરવું પડશે.

બિહારના રાજકારણ અને ભાજપને કવર કરનારા પત્રકાર માને છે કે આ થોડું મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી. બિહાર ભાજપના નેતાઓનું કેન્દ્રિય નેતૃત્વ પર દબાણ હશે, આ વાતને નકારી શકાય તેમ નથી.

ભાજપને બિહારમાં આ વખતે 74 સીટ મળી છે. જો ભાજપ આગામી ચૂંટણી એકલા લડવાનું મન બનાવે છે તો કોઈ સમજૂતિ કરવી પડી શકે છે. નીતીશ તેમના માટે બિહારમાં મજબૂરી છે અને કેન્દ્રમાં જરૂરી છે.

વિકલ્પ 2: નીતીશ કેન્દ્રના રાજકારણમાં ચાલ્યા જાય અને રાજ્યમાં ભાજપ પોતાનો મુખ્યમંત્રી બનાવે

કંઈક આ જ પ્રકારનો ઇશારો કેન્દ્રિય મંત્રી અશ્વિની ચૌબે કરી ચૂક્યા છે. બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે તેમનો વ્યક્તિગત મત છે જો નીતીશ ઇચ્છશે તો કેન્દ્રમાં મંત્રી પદ મેળવી શકે છે. જો કેન્દ્રમાં આવશે તો મોદી સરકારને મજબૂતી આપશે.

પરંતુ પટણાના એ. એન સિંહા ઇન્સ્ટીટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સના પ્રૉફેસર ડીએમ દિવાકરને લાગે છે કે આનાથી બિહાર જેડીયુમાં ફાટ પડશે. જેડીયુમાં નીતીશ પછી બીજી પંક્તિના નેતા નથી. આનાથી ન તો નીતીશને ફાયદો થશે, ન તો ભાજપને.

અશ્વિની ચૌબેની આ ઑફરને કેસી ત્યાગી નકારે છે. બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે અશ્વિની ચૌબે ભાજપના અસલ નેતા નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જેપી નડ્ડા ભાજપના અસલ નેતા છે. ત્રણેયે પબ્લિકમાં એ કમિટમેન્ટ આપ્યું છે, એટલા માટે નીતીશ મુખ્ય મંત્રી બનશે.

વરિષ્ઠ પત્રકાર નિસ્તુલા હેબ્બારને નથી લાગતું કે નીતીશ એવા વિકલ્પને સ્વીકારશે નહીં. તેમના કહેવા પ્રમાણે, "બિહારમાં પરિણામો પછી સરકારના ગઠબંધનમાં થોડું સસ્પેન્સ યથાવત્ છે. જેડીયુમાં એ વાતને લઈને નારાજગી છે કે જો ચિરાગ ફેક્ટર નહીં હોતું તો જેડીયુ સરળતાથી 50 પોઇન્ટનો આંકડો પાર કરી લેતી. ચોથી વખત મુખ્ય મંત્રી માટે આટલી સીટની સાથે જેડીયુ ત્યારે વધારે સારી સ્થિતિમાં હોત."

"સત્તા વિરોધી લહેરનો જે નેરેટિવ ઉભો કરવામાં આવ્યો હતો, તે 50 સીટની સાથે ધ્વસ્ત કરી શકાય તેમ હતો. પરંતુ આ બધુ થઈ ના શક્યું. એટલા માટે જેડીયુના કાર્યકર્તાઓમાં નારાજગી અને નીતીશના ખેમામાં શાંતિ છે."

ભાજપને 74 સીટ પર જીત મળી છે જ્યારે જેડીયુને માત્ર 43 સીટ પર જીત મળી.

નિસ્તુલા કહે છે કે ભાજપથી નીતીશની નારાજગી સીટના અંતરને લઈને છે. ક્યાંકને ક્યાંક પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓને લાગે છે કે તેમની જીતનો વૈભવ ઘટાડવામાં ભાજપનો હાથ છે. બંને સત્તામાં સાથે આવી પણ ગયા તો એક 'વિશ્વાસની ઉણપ' હંમેશાં જોવા મળશે.

વિકલ્પ 3 : નીતીશ કુમાર 'રબર સ્ટેમ્પ' મુખ્ય મંત્રી બની જાય

નીતીશ કુમાર પર હંમેશા એ આરોપ લાગે છે કે મુખ્ય મંત્રી બનવા માટે હંમેશાં તેમને કોઈને કોઈ પાર્ટીનો સહારો લીધો. પહેલા ભાજપ પછી આરજેડી અને હવે ભાજપની સાથે ચૂંટણીમાં ઉતર્યા.

જાણકાર આનું નિષ્કર્ષ એ કાઢે છે કે તે 'કોઈને કોઈ પ્રકારે' સત્તામાં બની રહેવાનું જાણે છે. નીતીશની પાસે બીજો કોઈ વિકલ્પ નથી.

ગત દિવસોમાં બિહારના રાજકારણમાં અનેક ઉદ્દાહરણ જોવા મળ્યા છે જ્યારે નીતીશ કુમારે કેન્દ્રની નીતિઓનો રાજ્યમાં વિરોધ કર્યો પરંતુ સંસંદમાં વોટિંગ દરમિયાન બોયકૉટ કરીને સમર્થન કર્યું. સીએએ, એનઆરસી અને અનુચ્છેદ 370 જેવા ઉદ્દાહરણ સામે છે.

વિકલ્પ 4 : નીતીશ કુમાર મહાગઠબંધનની સાથે ચાલ્યા જાય અને સરકાર બનાવી લે

આમ તો આજની સ્થિતિમાં આ દૂરની વાત છે, પરંતુ ભારતના રાજકારણમાં આવા અનેક ઉતાર-ચઢાવ આવ્યા છે. જેના માટે પહેલ મહાગઠબંધને પણ કરવી પડશે અને આ ઑફર માટે નીતીશ કુમાર તરફને પણ માનસિક રીતે તૈયાર રહેવું પડશે. કૉંગ્રેસના નેતા આવી ઑફર આપી પણ રહ્યા છે.

એવું ત્યારે જ સંભવ છે જ્યારે ભાજપ તરફથી કોઈ એવી શરત સરકાર બનાવવા માટે મૂકવામાં આવે જે નીતીશ કુમારને સ્વીકાર્ય ન હોય.

ચૂંટણીના પરિણામો આવ્યા પછી નીતીશે કલાકો સુધી સાધેલી ચુપ્પી અનેક વિકલ્પોને જન્મ આપી રહી છે. આગામી 24 કલાક બિહારના રાજકારણમાં ઘણા મહત્ત્વના સાબિત થશે.

વિકલ્પ 5 : નીતીશ કુમાર મુખ્ય મંત્રી ન બન્યા અને કોઈ બીજાને સીએમ બનાવી દે, જેવું તેમણે જીતનરામ માંજીની સાથે કર્યું હતું.

જૂના નીતીશના રાજકારણને આ વિકલ્પ સૂટ પણ કરે છે.

એક ટ્રેન દુર્ઘટના પછી રાજીનામું આપવું નેતા નીતીશ કુમાર માટે સરળ ભલે હોય, પરંતુ સત્તામાં બની રહેવા માટે પહેલા આરજેડી અને પછી ભાજપની સાથે કરાર કરનારા નીતીશ કુમાર આવું કરશે, તેના પર જાણકારોને શક છે. કદાચ આ વિકલ્પ માટે ભાજપ તૈયાર ન પણ હોય.

આ વચ્ચે આંખો રાજભવન પર ટકેલી છે ત્યાંથી પહેલાં કોને અને કોણ સમર્થનની ચિઠ્ઠી સાથે પહોંચે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો