મહેબૂબા મુફ્તીએ પરિવારની સાથે પાકિસ્તાન જતા રહેવું જોઈએ - નીતિન પટેલ - BBC TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર ગુજરાતના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે સોમવારે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તીને જો ભારત અને તેના કાયદાઓ પસંદ ન હોય તો તેમણે સહપરિવાર પાકિસ્તાન જતું રહેવું જોઈએ.

તેમણે કહ્યું, "મહેબૂબા ગત બે દિવસથી વિચિત્ર નિવેદનો આપી રહ્યા છે, તેમણે પ્લેનની ટિકિટ બૂક કરાવવી જોઈએ અને પોતાના પરિવારની સાથે કરાચી જતા રહેવું જોઈએ. બધા માટે આ યોગ્ય રહેશે."

મહેબૂબા મુફ્તીએ હાલમાં આર્ટિકલ 370ને રદ કરવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી.

નીતિન પટેલે કહ્યું, "જેમને ભારત પસંદ નથી અથવા સરકાર દ્વારા બનાવેલા સીએએ જેવા કાયદા અથવા આર્ટિકલ 370ને હઠાવવાનો નિર્ણય પસંદ નથી, તેમણે પાકિસ્તાન જતા રહેવું જોઈએ."

મિલિટરી સેટેલાઇટનો ડેટા મેળવવા ભારત અમેરિકા સાથે કરાર કરશે

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પિયો અને સંરક્ષણમંત્રી માઇક એસ્પર હાલ ભારતમાં છે, ત્યારે અનેક કરાર થવાની સંભાવનાઓ છે.

ભારત અમેરિકાના સૈન્ય ઉપગ્રહો દ્વારા વાસ્તવિક સમયનો સચોટ ડેટા અને ટોપોગ્રાફિકલ તસવીર મળે તે માટેનો કરાર કરવાનું છે.

બેઝિક ઍક્સચેન્જ ઍન્ડ કૉઓપરેશન એગ્રીમૅન્ટ (BECA) અમેરિકાએ પોતાના તમામ આંતરરાષ્ટ્રીય મિત્રો સાથે કર્યો છે.

આ પહેલાં પણ બંને દેશોએ સૈન્ય વસ્તુઓના આદાન-પ્રદાન અને કૉમ્યુનિકેશનને સક્ષમ બનાવવા માટે કરાર કર્યા હતા.

સોમવારે એક નિવેદનમાં સરકારે કહ્યું કે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને તેમના અમેરિકાના સમકક્ષ માઇક એસ્પરે સંતોષ વ્યક્ત કર્યો છે કે આ પ્રવાસ દરમિયાન BECA પર કરાર કરવામાં આવશે.

CAA પસાર થાય અને આર્ટિકલ 370 હટે, એ માટે કૉંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં - વિજય રૂપાણી

ઇન્ડિયને એક્સપ્રેસના અહેવાલ અનુસાર ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું, 'ભાજપ રાજ્યસભામાં બહુમત મેળવે' અને એનાથી જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370ની નાબૂદી થાય, નાગરિકતા કાનૂન અને ત્રિપલ તલાક અંગે કાયદા પસાર થા, એના માટે કૉંગ્રેસના ધારાસભ્યએ રાજીનામાં આપ્યાં.

વિજય રૂપાણીએ સોમવારે ડાંગ અને કરજણ વિધાનસભાની પેટાચૂંટણીઓ માટે પ્રચાર કર્યો હતો.

વિજય રૂપાણીએ કૉંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

આ ઉપરાંત મહારાષ્ટ્રની કોરોના વાઇરસની સ્થિતિને લઈને મહાવિકાસ અઘાડી સરકાર પર પ્રહાર કરતાં કહ્યું, "કોરોના વાઇરસના કારણે 40 હજાર લોકોનાં મહારાષ્ટ્રમાં મૃત્યુ થયાં છે."

"આપણી સરકાર ખૂબ જ આકરું કામ કરી રહી છે અને ગુજરાતમાં ત્રણ હજાર લોકોનાં મૃત્યુ થયાં છે અને સાજા થયેલા લોકો 90 ટકા છે."

ગુજરાત રમખાણોની નવ કલાક ચાલેલી પૂછપરછ દરમિયાન મોદીએ ચા પણ નહોતી સ્વીકારી : રાઘવન

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર 2002નાં ગુજરાતનાં તોફાનોની તપાસ ટીમના ચીફ આર. કે. રાઘવને કહ્યું છે કે નરેન્દ્ર મોદીએ નવ કલાક સુધી ચાલેલી પૂછપરછમાં ચા પણ સ્વીકારી નહોતી.

રાઘવને પોતાની આત્મકથા 'અ રોડ વેલ ટ્રાવેલ્ડ'માં આ દાવો કર્યો છે.

રાઘવને કહ્યું છે કે એસઆઈટીની ઑફિસમાં મારી ચેમ્બરમાં નરેન્દ્ર મોદીની તપાસ નવ કલાક સુધી ચાલી હતી. મલ્હોત્રાએ મને પછી કહ્યું કે મોડી રાત સુધી ચાલેલા સેશનમાં નરેન્દ્ર મોદી શાંત રહ્યા હતા.

તેમણે વધુમાં કહ્યું, "તેમણે કોઈ પણ પ્રશ્નને નકાર્યો ન હતો અને કોઈ પ્રશ્નનનો નિરર્થક વાક્યો બોલીને જવાબ આપ્યો ન હતો."

"જ્યારે મલ્હોત્રાએ તેમને લંચ બ્રેક માટે પૂછ્યું તો તેમણે પહેલાં ના કહી હતી. તેઓ તેમની પોતાની પાણીની બૉટલ લઈને આવ્યા અને તેમણે ચા પણ નહોતી સ્વીકારી."

સુપ્રીમ કોર્ટે 2002નાં તોફાનોની તપાસ માટે એસઆઈટીની નિમણૂંક કરી હતી. રાઘવન તેના અધ્યક્ષ બન્યા હતા. આ પહેલાં તેઓ સીબીઆઈના પણ ડિરેક્ટર રહી ચૂક્યા છે.

ફ્રીમાં વૅક્સિન આપવીએ રાજ્ય સરકારનો મામલો : મનોજ તિવારી

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર સોમવારે ભાજપના સંસદસભ્ય મનોજ તિવારીએ વૅક્સિન ફ્રીમાં આપવાના મામલે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને આડે હાથ લીધા હતા.

તેમણે કહ્યું, "ભાજપ પર આરોપ મૂકતાં પહેલાં ઉદ્ધવ ઠાકરેએ જાતે મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસની રસીને કેમ ફ્રી ન કરી."

"આ રાજ્યની બાબત છે, બિહારમાં ચૂંટણી ચાલી રહી છે અને એનડીએની સરકાર બનશે તો ફ્રીમાં વૅક્સિન મળશે. અઉદ્ધવજી જો વિચારતા હોય તો તેઓ પોતે વૅક્સિનનો ખર્ચ ઉપાડી શકે છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો