મનોજ સિન્હા જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ, જીસી મુર્મુનું રાજીનામું - Top News

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

જમ્મુ-કાશ્મીરના લેફ્ટન્ટ ગવર્નર (એલજી) જીસી મુર્મુએ રાજીનામું આપી દીધું છે.

પૂર્વ કેન્દ્રીયમંત્રી મનોજ સિન્હાને જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ બનાવાયા છે.

મનોજ સિન્હા મોદી સરકારના પહેલા કાર્યકાળમાં રેલરાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. ગત વર્ષે તેઓ ગાઝીપુરથી પોતાની સીટ પરથી ચૂંટણી હારી ગયા હતા.

મુર્મુએ અચાનક બુધવારે રાજીનામું આપી દીધું હતું. રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે.

નોંધનીય છે કે ભારતીય સંસદે 5 ઑગસ્ટે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરી તેને કેન્દ્રશાસિત રાજ્ય બનાવી દીધું હતું, એ દિવસે જ મુર્મુએ રાજીનામું આપ્યું છે.

મૂળ ઓડિશાના ગિરીશચંદ્ર મુર્મુ ગુજરાત કૅડરના 1985ની બૅચના આઈએએસ અધિકારી છે.

નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્ય મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન મુર્મુ પ્રદેશના મુખ્ય સચિવ હતા.

ખાનગી શાળાઓ ફક્ત ટ્યુશન ફી લઈ શકે- ગુજરાત હાઇકોર્ટ

ગુજરાતમાં કોરોના વાઇરસને કારણે સરકારી અને ખાનગી શાળાઓ બંધ છે એવા સમયે ગુજરાત હાઈકોર્ટે ખાનગી શાળા સંબંધિત એક ચુકાદો આપ્યો છે.

ધ હિંદુના અહેવાલ અનુસાર, ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે રાજ્યમાં ઑનલાઇન શિક્ષણ પૂરું પાડતી ખાનગી શાળાઓ ટ્યુશન ફી ચાર્જ કરી શકે છે.

જોકે કોવિડ-19ને કારણે શાળાઓ બંધ છે ત્યાં સુધી પરિવહન, સ્ટેશનરી વગેરેની ફી નહીં લઈ શકે.

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારના આદેશને રદ કર્યો છે, જેમાં ખાનગી શાળાઓને ફરીથી ચાલુ ન થાય ત્યાં સુધી ટ્યુશન ફી વસૂલવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ અને ન્યાયાધીશ જે. બી. પારડીવાલાની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે, "બાળકોને યોગ્ય શિક્ષણ પૂરું પાડવું અને શાળાઓને ચાલુ રહેવા દેવા વચ્ચે સંતુલન જાળવવું પડશે."

તેમણે એમ પણ કહ્યું કે "શાળાઓને ફી વસૂલવાની મંજૂરી ન આપવી એ ઘણી નાની શાળાઓને કાયમી ધોરણે બંધ કરવાની ફરજ પાડશે, જ્યારે વિદ્યાર્થીઓને લાંબા સમય સુધી શિક્ષણ ન આપતા તેમના સર્જનાત્મક અને સામાજિક વિકાસને અસર કરશે."

દાદરા અને નગર હવેલીમાં દીવાલ પડતાં 5 મજૂરનાં મોત

સેલવાસ પાસે દીવાલ પડતાં પાંચ મજૂરોનાં મૃત્યુ થયાં હોવાનું જાણવા મળ્યું છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલીના સેલવાસ પાસે ભારે વરસાદને કારણે કારખાનાની નવી બનાવેલી દીવાલ ધરાશાયી થતાં પાંચ મજૂરનાં મોત અને બે મજૂરને ઈજા થઈ છે.

ખાનવેલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર હરીશ રાઠોડે જણાવ્યું કે, આ ઘટના મંગળવારે રાત્રે મુખ્યમથક સેલવાસથી લગભગ 16 કિમી દૂર સુરંગી ગામમાં બની હતી.

તેમણે જણાવ્યું કે "ભારે વરસાદના પગલે દીવાલ તૂટી પડતાં મજૂરો પર પટકાઈ હતી અને તેમાંથી પાંચનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું."

બે ઈજાગ્રસ્ત કામદારોને નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

અધિકારીએ જણાવ્યું કે મૃતક મજૂરો નજીકના સિંદોની ગામના વતની હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો