You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાબરી મસ્જિદ હંમેશાં મસ્જિદ રહેશે- ઓવૈસી અને મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ
લોકસભાના સાંસદ અને ઑલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમિનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે બાબરી મસ્જિદ હતી અને રહેશે. ગત વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટના આવેલા નિર્ણય બાદ બુધવારે અયોધ્યામાં રામમંદિર માટે ભૂમિપૂજન થયું હતું.
આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોદી આદિત્યનાથ પણ સામેલ થયા હતા.
એક તરફ ઘણા નેતાઓ અને સાંસદો ભૂમિપૂજનનું સ્વાગત કરી રહ્યા છે, તો બીજી તરફ ઘણા જૂથોમાંથી વિરોધનો અવાજ પણ આવી રહ્યો છે.
બુધવારે સવારે ઓવૈસીએ ટ્વીટ કરીને કહ્યું- બાબરી મસ્જિદ હતી, છે અને રહેશે ઇંશાઅલ્લાહ. તેઓએ તેમના ટ્વીટમાં #BabriZindaHaiનો પણ ઉપયોગ કર્યો હતો.
તો એક દિવસ પહેલાં જ ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે પ્રેસ રિલીઝ કરીને કહ્યું હતું કે બાબરી મસ્જિદ હંમેશાં એક મસ્જિદ રહેશે.
આ નિવેદનને ટ્વીટ કરીને મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે લખ્યું છે- "હાગિયા સોફિયા આપણી માટે શ્રેષ્ઠ ઉદાહરણ છે. અન્યાયી, જુલ્મી, શરમજનક રીતે બહુમતને સંતોષતા ચુકાદાથી લીધેલી જમીનથી દરજ્જો નહીં બદલાય. દિલગીર થવાની જરૂર નથી. કોઈ પણ સ્થિતિ હંમેશાં માટે રહેતી નથી."
જોકે ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ તરફથી બાબરી મસ્જિદની તુલના હાગિયા સોફિયા સાથે કરાતાં સોશિયલ મીડિયામાં ટીકા પણ થઈ રહી છે. લોકો બોર્ડના નિવેદનને સુપ્રીમ કોર્ટની અવમાનના પણ ગણાવે છે.
કેટલાક દિવસ પહેલાં જ તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆને ઇસ્તંબૂલમાં ઐતિહાસિક હાગિયા સોફિયાને મસ્જિદમાં બદલવાનું એલાન કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાગિયા સોફિયાનું લગભગ 1500 વર્ષ પહેલાં એક ખ્રિસ્તી ચર્ચના રૂપમાં નિર્માણ થયું હતું અને 1453માં ઇસ્લામમાં માનનારા ઑટોમન સામ્રાજ્યના વિજય બાદ તેને એક મસ્જિદમાં બદલી નાખવામાં આવ્યું હતું.
હાગિયા સોફિયાને 1934માં આધુનિક તુર્કીના નિર્માતા ગણતા મુસ્તફા કમાલ પાશાએ દેશને એક ધર્મનિરપેક્ષ ઘોષિત કર્યા બાદ, મસ્જિદમાંથી મ્યુઝિયમમાં તબદિલ કરી નાખી હતી.
સુપ્રીમ કોર્ટનો નિર્ણય
અયોધ્યા મામલે આવેલા નિર્ણય બાદ ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે સુપ્રીમ કોર્ટમાં પુનઃનિરીક્ષણ અરજી દાખલ કરી હતી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને અયોધ્યામાં મસ્જિદ નિર્માણ માટે પાંચ એકર જમીન આપવાનો નિર્દેશ કર્યો હતો.
જોકે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે કહ્યું હતું કે તેઓ અયોધ્યામાં મસ્જિદ માટે અલગ જમીનનો સ્વીકાર નહીં કરે.
6 ડિસેમ્બર, 1992માં બાબરી મસ્જિદ તોડી પડાઈ હતી. બાદમાં દેશમાં ઘણી જગ્યાએ સાંપ્રદાયિક હિંસા ભડકી હતી અને અંદાજે 2000 લોકો માર્યા ગયા હતા.
અયોધ્યામાં રામમંદિર આંદોલન સાથે જોડાયેલા લોકોનો દાવો હતો કે બાબરી મસ્જિદ રામમંદિરને તોડીને બનાવી હતી અને અહીં રામનો જન્મ થયો હતો.
ગત વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની ખંડપીઠે રામમંદિર માટે જમીન આપવાનો નિર્ણય સંભળાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે સરકારને રામમંદિરનિર્માણ માટે એક ટ્રસ્ટની રચના કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
તેમજ મસ્જિદ માટે અયોધ્યામાં અન્ય જગ્યાએ પાંચ એકર જમીન આપવાનો આદેશ પણ કર્યો હતો.
આ દરમિયાન સીપીઆઈ-એમએલે પાંચ ઑગસ્ટને વિરોધદિવસ મનાવવાની વાત કરી છે.
પાર્ટીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક ધાર્મિક સમારોહનો ઉપયોગ રાજકીય મંચના રૂપમાં કરી રહ્યા છે.
પાર્ટીનું કહેવું છે કે બાબરી મસ્જિદ તોડી પાડવાના સ્થળે આવું કરવું એક અપરાધ છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો