You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીન સાથે સરહદ વિવાદ મુદ્દે મોદીનો પિત્તો ગયો છે, ટ્રમ્પનો દાવો નકારાયો - Top News
ભારત અને ચીન વચ્ચે સરહદ મામલે સર્જાયેલા વિવાદને લીધે તણાવ વધ્યો છે અને આ મામલે મધ્યસ્થી કરાવવાની તૈયારી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે, પરંતુ તેમના નિવેદન બાદ વિમાસણ ઊભી થઈ છે.
સમાચાર એજન્સી એએનઆઈ ટ્વીટમાં લખે છે કે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "હું તમારા વડા પ્રધાનને પસંદ કરું છું, તેઓ સજ્જન છે."
ભારત અને ચીનની વચ્ચે તણાવની સ્થિતિ છે. બંને દેશોની એક અબજ 40 કરોડની વસતી છે. બંને દેશોની સેના પણ મજબૂત છે."
"ભારત ખુશ નથી અને કદાચ ચીન પણ ખુશ નથી. વડા પ્રધાન નરેન્દ્ર સાથે મારે વાત થઈ હતી અને ચીન મામલે જે કંઈ પણ થઈ રહ્યું છે એ અંગે તેમનો મૂડ ઠીક નથી."
ગુરુવારે ઓવલ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં ડોનાલ્ડ ટ્રમ્પે આ વાત કરી હતી અને એક ભારતીય પત્રકારે પૂછેલા પ્રશ્નમાં જવાબ આપતાં આ અંગે વાત કરી હતી.
ન્યૂઝ એજન્સી પી.ટી.આઈના અહેવાલ બાદ વિમાસણ ઊભી થઈ છે. સરકારી સૂત્રોને ટાંકતા એજન્સી લખે છે:
"છેલ્લે ચોથી એપ્રિલે ટ્રમ્પ તથા મોદીની વચ્ચે વાતચીત થઈ હતી. તે પછી બંને નેતાઓ વચ્ચે કોઈ વાતચીત નથી થઈ."
"તે સમયે બંને નેતાઓએ હાઇડ્રોક્સિનક્લોરોક્વિન (કોરોનાની સારવાર માટે વપરાતી દવા, જેનો ઉપયોગ હાલ WHOએ મોકૂફ રખાવ્યો છે.) મુદ્દે વાત થઈ હતી. "
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું હતું કે બંને દેશો વચ્ચેના સરહદ મામલેના તણાવને લઈને તેઓ મધ્યસ્થી કરવા માટે તૈયાર છે.
મધ્યસ્થી કરાવવા મામલે ટ્રમ્પે કહ્યું, "હું આ માટે તૈયાર છું. જો તેમને લાગતું હોય કે આથી કોઈ મદદ મળશે તો હું આ કરી શકું છું."
જોકે, ભારત અને ચીન બંને આ પ્રસ્તાવને નકારી ચૂક્યા છે.
લૉકડાઉન 5.0 આવશે?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે ચર્ચા કરી હતી અને લૉકડાઉન મુદ્દે તેમના અભિપ્રાય જાણ્યા હતા.
આ અંગે અંગ્રેજી અખબાર 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' નોંધે છે કે, નિષેધાત્મક આદેશો લાગુ કરવામાં તથા તેને હળવા કરવામાં રાજ્ય સરકારોની ભૂમિકા ચાવીરૂપ રહેશે.
ચોથા તબક્કાના લૉકડાઉન પૂર્વે પણ શાહે મુખ્ય પ્રધાનોના અભિપ્રાય જાણ્યા હતા. આ સિવાય વડા પ્રધાને પણ વાત કરી હતી. હજુ પણ પાંચમા તબક્કાના લૉકડાઉન વિશે અટકળો ચાલુ છે.
આ પહેલાં કેન્દ્રીય કૅબિનેટ સેક્રેટરીએ રાજ્યોના મુખ્ય સચિવો સાથે બેઠક કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી. વતન પહોંચેલા પરપ્રાંતીય શ્રમિકોને કારણે કેવી અસર થઈ છે, તેને સમજતા હજુ અઠવાડિયું-10 દિવસ લાગશે તેવો અંદાજ મૂકવામાં આવ્યો છે.
વધુ એક લાખ ભારતીયોનું સ્વદેશાગમન
કોરોનાને કારણે આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનવ્યવહાર બંધ છે ત્યારે કેન્દ્ર સરકારે વિદેશમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવા માટે 'વંદે ભારત મિશન' હાથ ધર્યું છે.
એ.બી.પી.ના અહેવાલ પ્રમાણે, તા. 13મી જૂન સુધીમાં વધુ 60 દેશમાંથી એક લાખ ભારતીયોને વતન પરત લાવવાનું લક્ષ્યાંક મૂકવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 45 હજાર ભારતીયો વતન પરત ફર્યા છે.
વિદેશ વિભાગના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવને ટાંકતા વેબસાઇટ લખે છે કે આફ્રિકા, લેટિન અમેરિકા અને કૅરેબિયન વિસ્તારોમાં પણ ભારતીય ફસાયેલાં છે, જેમને બહાર નીકળવા માટે મદદ કરવામાં આવી રહી છે.
હિમાચલમાં ઍલર્ટ
ન્યૂઝ એજન્સી એ.એન.આઈ.ના રિપોર્ટ મુજબ હિમાચલ પ્રદેશના કાંગડા, બિલાસપુર, ઉના તથા સોલાન જિલ્લામાં તીડ ત્રાટકે તેવી શક્યતા છે, જેના પગલે ચેતવણી આપવામાં આવી છે. ખેડૂતોને જણાવવામાં આવ્યું છે કે જો તેમના ખેતરમાં તીડ જોવા મળે તો તત્કાળ કૃષિ અધિકારીઓને જાણ કરવામાં આવે.
બીજી બાજુ, સરકારી રેડિયો સેવા 'ઑલ ઇન્ડિયા રેડિયો' જણાવે છે કે તીડના આક્રમણને જોતાં રાજસ્થાન, પંજાબ, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં સરવેની કામગીરી ઝડપી બનાવી દેવામાં આવી છે.
ગુજરાતમાં (જામનગર, કચ્છ, બનાસકાંઠા, મધ્ય પ્રદેશમાં (સતના, સિદ્ધિ, ગ્વાલિયર, રાજગઢ, બૈતુલ, દેવાસ તથા અગર માલવા) અને રાજસ્થાનમાં (બાડમેર, જોધપુર, નાગૌર, બિકાનેર, ગંગાનગર, હનુમાનગઢ, સિકર અને જયપુર) પ્રભાવિત હોવાનું જણાવે છે.
રાજ્ય સરકારો દ્વારા ફાયર બ્રિગેડ, ટ્રૅક્ટર તથા અન્ય માધ્યમોથી કેમિકલનો છંટકાવ કરીને કે કર્કશ સાઇરન વગાડીને તેમને દૂર ભગાડવાના ઉપાય અજમાવવામાં આવી રહ્યા છે.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો