નિર્મલા સીતારમણ 20 લાખ કરોડ કેવી રીતે આપશે? 4 વાગે પડશે ખબર

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

કોરોના વાઇરસની મહામારી વચ્ચે મંગળવારે રાત્રે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમણે 20 લાખ કરોડના આર્થિક પૅકેજની જાહેરાત કરી હતી.

કોરોના વાઇરસની મહામારી વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચમી વખત રાષ્ટ્રજોગ સંબોધન કર્યું.

મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાન માટે વિશેષ પૅકેજની જાહેરાત કરી હતી.

એમણે કહ્યું હતું કે RBI અને કેન્દ્ર સરકારના અગાઉના પૅકેજને સંયુક્ત રીતે ગણતાં નવું પૅકેજ કુલ રૂ. 20 લાખ કરોડનું રહેશે અને તેની વિગતો નાણામંત્રી બુધવારે જાહેર કરશે.

વડા પ્રધાને કહ્યું હતું કે પૅકેજમાં લૅન્ડ, લેબર, લિક્વિડિટી તથા લૉ એમ તમામ બાબત ઉપર ભાર મુકાશે, જે લઘુ અને કુટિર ઉદ્યોગોને આધાર આપશે, જે સૌથી વધુ રોજગાર આપશે.

કેન્દ્ર સરકારનું આર્થિક પૅકેજ ખેડૂતો, શ્રમિકો, મધ્યમવર્ગ તથા દેશના ઉદ્યોગજગત માટે છે એમ પણ કહેવામાં આવ્યું હતું.

હવે આ વિગતોની જાહેરાત સાંજે ચાર વાગે થવાની છે.

આ દરમિયાન કૉંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે કહ્યું છે કે વડા પ્રધાને આપણને એક હેડલાઇન અને કોરો કાગળ પકડાવી દીધો છે, એટલે મારું રિએકશન પણ સ્વાભાવિક બ્લૅન્ક હતું. આજે એ જોઈશું કે નાણામંત્રી એ કોરા કાગળ પર ભરે છે શું. સરકાર અથતંત્રમાં નાખી રહી છે તે દરેક વધારાના રૂપિયાને અમે ધ્યાનથી ચકાસી રહ્યા છીએ.

અન્ય એક ટ્વીટમાં એમણે કહ્યું કે, કોને શું મળી રહ્યું છે એ અમે જોઈ રહ્યા છીએ અને અમારું પહેલું ધ્યાન ગરીબો, ભૂખ્યાજનો, સ્થળાંતરિત મજૂરો જેમને હજારો કિલોમિટર ચાલવું પડ્યું છે, તેમના પર છે.

વડા પ્રધાનના રાષ્ટ્રજોગ સંબોધન પર પ્રશાંત કિશોરે કહ્યું કે, કાં તો આખી દુનિયા મુર્ખ છે અને કાં તો આપણે બધા કરતાં વધારે હોંશિયાર છીએ કે માની લઈએ કે કોવિડ-19ની જે મહામારી જગત આખામાં જિંદગી, અર્થવ્યવસ્થા માટે મોટો ખતરો બનીને સામે આવી છે તે આપણા માટે ફાયદામાં પલટાઈ શકે છે અને ભારતને જગતમાં ટોચે પહોંચાડી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો